કોરોનાકાળ તમામ ઉદ્યોગો માટે બહુ આકરો સાબિત થયો છે. ખાસ કરીને ભારતીય સિનેમા જગતની દશા અને દિશા આ મહામારીએ સાવ બદલી નાખી છે. ભારતીય સિનેમા માટે ગત વર્ષ કોરોના મહામારીના કારણે સૌથી ખરાબ રહ્યું.
ફિલ્મ ઉદ્યોગને મહામારીના કારણે મોટું નુકસાન
ફિલ્મોનાં શૂટિંગ લગભગ સાત મહિના રહ્યા બંધ
ગયા વર્ષે ઓવર-ધ-ટોપ (OTT)નો વિકલ્પ મળ્યો
ફિલ્મોનાં શૂટિંગ લગભગ સાત મહિના સુધી બંધ રહ્યાં, જેના કારણે નાના કલાકારો અને ટેકનિશિયનની આજીવિકા પડી ભાંગી. એક સમયે હંમેશાં ચમકતા રહેતાં સિનેમાઘરની રોનક જાણે સાવ જ ગાયબ થઈ ગઈ હતી.
ફિલ્મ ઉદ્યોગને મહામારીના કારણે કરોડો રૂપિયાનું નુકસાન
ફિલ્મ પ્રોડક્શન (નિર્માણ), ડિસ્ટ્રિબ્યૂશન (વિતરણ) અને એક્ઝિબિશન (પ્રદર્શન) એમ ત્રણેય ક્ષેત્રમાં મહામારીના કારણે કરોડો રૂપિયાનું નુકસાન ફિલ્મ ઉદ્યોગે વેઠવું પડ્યું છે. ‘લાઈટ, કેમેરા એન્ડ એક્શન’ સાવ ઠપ થઈ જવાથી બોલિવૂડની તો જાણે કમર જ તૂટી ગઈ હતી. જે ફિલ્મો બનીને સાવ તૈયાર થઈ ગઈ હતી તેને પણ કોઈ વિતરક ઉઠાવવા માટે તૈયાર નહોતા.
ગયા વર્ષે ઓવર-ધ-ટોપ (OTT)નો વિકલ્પ મળ્યો
ગયા વર્ષે ઓવર-ધ-ટોપ (ઓટીટી)નો વિકલ્પ મળ્યો. કેટલીક વેબ સિરીઝ અને ફિલ્મો ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવી. ઓટીટી પ્લેટફોર્મને મનોરંજન બજારની મુસીબતની દવા ભલે માનવામાં આવ્યું, પરંતુ આ વિકલ્પ થિયેટર કે મિલ્ટપ્લેક્સનો પર્યાય નથી જ. દર વર્ષે ૨૮ ભાષામાં અંદાજે ૨,૦૦૦ જેટલી ફિલ્મો બનાવનારા ઉદ્યોગને એકલું ઓટીટી સંજીવની આપી શકશે એ વાત થોડી અતિશયોક્તિ લાગે છે. ફિલ્મ ઉદ્યોગના પાંચ લાખ લોકો પર કોરોનાનો માર પડ્યો છે. આ પાંચ લાખમાંથી અઢી લાખ શ્રમિકો છે, જેમાં જુનિયર આર્ટિસ્ટ, મેકઅપ આર્ટિસ્ટ, સેટ ડિઝાઈનર, બેકગ્રાઉન્ડ ડાન્સર વગેરે સામેલ છે. મોટી સંખ્યામાં લોકો બેરોજગાર થયા, જેમની મદદ માટે કરવામાં આવેલા છૂટક પ્રયાસો અપૂરતા સાબિત થયા છે. આર્થિક સંકટ કે બેરોજગારીના ડિપ્રેશનના કારણે દેશના ઘણા કલાકારોએ જીવન પણ ટૂંકાવ્યું. સપના વેચરાનો આ ઉદ્યોગ આજે ખુદ હતાશ અને ઉદાસ નજરે પડી રહ્યો છે. એપ્રિલથી લઈ આખું વર્ષ કોઈ ફિલ્મ રજૂ ન થઈ. બોલિવૂડના લગભગ ૫૦થી વધુ મોટી બજેટની હિન્દી ફિલ્મોના નિર્માતા પ્રભાવિત થયા.
દેશમાં ૬,૩૨૭ સિંગલ સ્ક્રીન સિનેમા સહિત સાડા નવ હજાર સ્ક્રીન ઠપ થઈ ગયા હતા. ૬૮ શહેરમાં ૬૨૬ સ્ક્રીન ચલાવનારા આઈનોક્સથી લઈ ૭૧ શહેરમાં ૮૪૫ સ્ક્રીન ચલાવતા પીવીઆરને ખૂબ ભારે નુકસાન સહન કરવું પડ્યું. એક અંદાજ અનુસાર સિંગલ સ્ક્રીન થિયેટરને એક મહિનામાં જ લગભગ ૨૫થી ૭૫ લાખ રૂપિયાનું નુકસાન વેઠવું પડ્યું છે.
હિન્દી ફિલ્મોની કમાણી પ્રતિવર્ષ લગભગ ૩,૦૦૦ કરોડ રૂપિયા આસપાસ રહે છે, પરંતુ આ વર્ષે ફક્ત ૫૦૦-૬૦૦ કરોડની કમાણી થઈ છે. આથી ફિલ્મ નિર્માતાઓને ૧,૭૦૦થી ૨,૦૦૦ કરોડનું નુકસાન થયું હોવાનો અંદાજ છે.
કોરોના મહામારીના સાત મહિના બાદ પ્રતિબંધ સાથે સિનેમાઘર ખૂલવા લાગ્યાં, પરંતુ ફક્ત જૂની ફિલ્મો જ ફરી રિલીઝ કરાઈ, કેમ કે દર્શકો આવતા જ નહોતા. સિનેમાઘર ૫૦ ટકા ક્ષમતા સાથે ખોલવામાં આવ્યાં. કોરોનાનો ખોફ જરૂર હતો અને લોકો ફિલ્મ જોવા જતાં ડરતા પણ હતા. એવું લાગતું હતું કે ૨૦૨૧માં પણ મનોરંજન ઉદ્યોગને કોઈ રાહત નહીં મળે. ભારતે કોરોનાની બીજી લહેરનો પ્રભાવશાળી રીતે સામનો કર્યો અને મહામારીને મહદંશે કાબૂમાં લાવી દીધી. કોરોનાની વેક્સિન આવી ગયા બાદ લોકોનું આત્મબળ પણ વધ્યું છે અને સ્થિતિ ફરી સામાન્ય થવા લાગી છે. આખરે સરકારે પણ હવે સિનેમાઘરને સો ટકા ક્ષમતા સાથે ખોલવાની મંજૂરી આપી દીધી છે. સિનેમાઘરના માલિકોના નુકસાનની ભરપાઈ કરવા માટે તમામ રાજ્યની સરકાર પણ રાહત આપે તો ઉદ્યોગ માટે બહુ સારું રહેશે.
કોરોનાથી બચવા માટે ઉપાયોનું ચુસ્ત પાલન જરૂરી છે
સિનેમાઘરના માલિકોએ એ વાતનું પણ ધ્યાન રાખવું પડશે કે તેઓ કોરોનાથી બચવા માટેના ઉપાયોનું સંપૂર્ણ અને ચુસ્ત પાલન કરે. દર્શકો પણ એકદમ આવવા લાગશે એવું નહીં બને. મોટા સ્ટારની મેગા બજેટ ફિલ્મો દર્શકોને ફરી થિયેટર તરફ લઈ આવશે જ પણ એ માટે સૌથી વધુ જરૂરી છે કે થિયેટર-મલ્ટિપ્લેક્સમાં સેનિટાઈઝેશનની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે. દર્શકોને જ્યારે ખુદને સુરક્ષિત હોવાનો અહેસાસ થશે ત્યારે આપોઆપ જ થિયેટરમાં આવવાનું શરૂ કરી દેશે. સિનેમાઘરની રોનક વધશે ત્યારે જ ફિલ્મ ઉદ્યોગની ગાડી ફરી પાટે ચડશે. •