શ્રીવિષ્ણુ પૂજનનો મહિમા વિશેષ છે. ભગવાન વિષ્ણુનું અર્ચન-પૂજન કરવાથી જે ફલશ્રુતિ થાય છે તે ગંગા, કાશી, ગયા, પ્રયાગ, પુષ્કર, હરિદ્વાર વગેરે તીર્થોનાં પુણ્ય કરતાં પણ વધારે છે. આ એકાદશીના દિવસે જો શ્રીધર નામના દેવનું પૂજન કરવામાં આવે તો ગંધર્વો, નાગદેવતા, સર્પ વગેરેનું પૂજન કરવાનું પુણ્ય મળે છે, સુખ-શાંતિ મળે છે.
તુલસીપત્ર દ્વારા ભગવાન શ્રીહરિનું પૂજન કરવાનો મહિમા વિશેષ છે. તુલસીદલથી ભગવાન વિષ્ણુનું પૂજન કરનારને વધારે ફળ મળે છે, તેને પાપનો સ્પર્શ થઈ શકતો નથી. તે સંસારમાં જળકમળવત્ રહી શકે છે. સુવર્ણ દાન કરતાં પણ શ્રીહરિની પૂજાનું ફળ વિશેષ છે.
શ્રીહરિ તુલસીપત્રને મોતી અને માણેક કરતાં પણ અતિ મૂલ્યવાન માને છે. તુલસીની માળાથી શ્રીહરિની પૂજા કરનારનાં સર્વ પાપો નષ્ટ થાય છે. તુલસીને પ્રણામ કરવાથી પાપ નાશ પામે છે, તેના સ્પર્શથી દેહ પવિત્ર બને છે અને રોગમુક્ત થવાય છે. તુલસીના છોડને જળ સિંચવાથી યમનો ભય દૂર થાય છે અને વિષ્ણુલોકની પ્રાપ્તિ થાય છે.
તુલસીને વૃંદા કહેવામાં આવે છે. ભગવાન શ્રીકૃષ્ણને મા તુલસી અતિપ્રિય હતાં. વિષ્ણુ ભગવાનની કૃપા મેળવવા મા તુલસીને પ્રસન્ન કરવા આ દ્વારા મહાલક્ષ્મીમા તમને આકસ્મિક લાભ આપે છે. ભગવાન શ્રીકૃષ્ણ જે જગ્યા ઉપર રાસ રમતા હતા તે જગ્યાનું નામ વૃંદાવન છે. વૃંદા એટલે તુલસી. વન એટલે અનેક વૃક્ષોનો સમૂહ. જે આજે પણ વૃંદાવન છે. આ પ્રયોગ બહુ અલભ્ય છે. આ તુલસીમાને પ્રસન્ન કરવા માટે વિષ્ણુ ભગવાનની મૂર્તિ અથવા ફોટો તમારા ઘરમાં ઉત્તર દિશા તરફ એક બાજોટ પાથરીને તેના ઉપર મૂર્તિ અથવા ફોટો મૂકવો.
યથાશક્તિ પૂજન કરવું. હવે ભગવાનને જે માળા પહેરાવવાની છે તે માળા તુલસીની બનાવવી. લીલી તુલસીની અને સુકી તુલસીની પણ માળા ચઢાવો છો તે માળાની ઉપર થોડી હળદર ભભરાવવી. ત્યાર બાદ વિષ્ણુ ભગવાનની છબી અથવા મૂર્તિને આ માળા પહેરાવવી. ભગવાન વિષ્ણુના સહસ્ત્ર નામથી ૧૦૦૮ પાન ચઢાવવાં. આ પ્રયોગ દર ગુરુવારે કરી શકો છો અથવા નિત્ય કરવાથી ઘણી બધી રાહત જોવાશે.
વિષ્ણુ ભગવાનને બારશના દિવસે ૧૦૮ તુલસી પત્ર ચઢાવવાં તેમજ શ્રી સૂક્તના ૧૨ પાઠ કરવા. રાત્રે ૭ થી ૯ માં ખીર બનાવીને મહાલક્ષ્મીને અર્પણ કરવી, ૩ અલગ-અલગ રંગના કાપડ લેવાં, એક સફેદ, એક લાલ અને એક લીલું. લીલા કાપડની અંદર ચાંદીનો એક સિક્કો મૂકવો, જેની શક્તિ ના હોય તેમણે એક બીલીપત્ર મૂકવું.
સફેદ કાપડની અંદર કેસર મૂકવું, જેની કેસરની શક્તિ ના હોય તેમણે હળદર મૂકવી. લાલ કપડામાં ચોખા, ત્રણ હળદરના ગાંગડાં મૂકવા. પીળા કલરનો દોરો મૂકવો, આ બધું ક્રમ પ્રમાણે, પહેલાં લીલો, પછી સફેદ, પછી લાલ આ પ્રમાણે મૂકીને એક સાથે પોટલી વાળી દેવી અને તિજોરીમાં મૂકી દેવી, થોડા સમયે તેના પર ગુલાબનું અત્તર લગાવવું. આ આપના માટે ખૂબ શુભદાયી રહેશે.•