અચલગઢના પર્વતો પાસે આવેલા અચલેશ્વર મંદિરમાં ભગવાન શિવના અંગૂઠાની પૂજા કરવામાં આવે છે. આ પહેલી એવી જગ્યા છે જ્યાં શંકર ભગવાનની પ્રતિમા કે શિવલિંગની પૂજા થવાને બદલે તેમના અંગૂઠાની પૂજા થાય છે. માઉન્ટ આબુથી લગભગ 11 કિલોમીટરન અંતરે અચલગઢના પહાડો પર કિલ્લા પાસે આવેલા અચલેશ્વર મંદિરને ચમત્કારોનું મંદિર કહેવાય છે.
માન્યતા અનુસાર અહીંયા પર્વત ભગવાન શિવના અંગૂઠાના કારણે જ ટકેલા છે. જો શિવજીનો અંગૂઠો ન હોય તો પર્વત નષ્ટ થઇ ગયા હોત. ભગવાન શિવના અંગૂઠા અંગે પણ ચમત્કારની ઘણી કથાઓ વહેતી થયેલી છે. ભગવાન શિવના અંગૂઠા નીચે એક પ્રાકૃતિક ખાડો છે. માન્યતા છે કે અહીં ગમે તેટલુ પાણી હોય ખાડો પૂરતો જ નથી. ભોળાનાથને ચડાવાતું જળ પણ ક્યાં જાય છે તે જાણી શકાતું નથી.
અચલેશ્વર મંદિર પરિસરમાં ચંપાનું વિશાળ વૃક્ષ આવેલું છે. આ વૃક્ષ પરથી જ મંદિક કેટલું પ્રાચીન હશે તેનો અંદાજો આવી જાય છે. મંદિરમાં ડાબી તરફ 2 કલાત્મક થાંભલા પર ધર્મકાંટો બનેલો છે. તેના પર કરવાના આવેલી શિલ્પકલા અદ્ભુત છે. મંદિર પરિસરમાં દ્વારકાધીશનું મંદિર પણ આવેલું છે. ગર્ભગૃહની બહાર વરાહ નૃસિંહ વામન કશ્યપ મત્સ્ય કૃષ્ણ રામ પરશુરામ બુદ્ધ અને કલંગી અવતારની કાળા પથ્થરની બનેલી પ્રતિમા આવેલી છે.
શું છે પૌરાણિક કથા?
પૌરાણિક અનુસાર એક વાર અર્બુદ પર્વત સ્થિત નંદીવર્ધન હલવા લાગ્યો. જેથી હિમાલય પર તપસ્યા કરી રહેલા શિવજીના તપમાં ભંગ પડ્યો. આ પર્વત પર ભગવાન શિવના નંદી હતા. નંદીને બચાવવા માટે શંકર ભગવાને હિમાલયથી જ પોતાના અંગૂઠાને અર્બૂદ પર્વત સુધી પહોંચાડ્યો અને પર્વતને સ્થિર કર્યો. આ જ કારણ છે કે ભગવાન શિવના અંગૂઠા પર આ પર્વત ટકેલો છે.