શિવજીને મનાવવા માટે તેમની સરળ પૂજા શ્રદ્ધા ભાવે જો કરવામાં આવે તો તરત તે પ્રસન્ન થનાર છે અને તે મહાકાળ હોવાથી આપણા બધામાં તે અંશ રૂપે પરમાત્માથી જોડાયેલ છે તેથી તે સરળતાથી પ્રસન્ન થાય છે.
શિવમહાપુરાણમાં ઉલ્લેખ છે કે સૌ પ્રથમ અવકાશમાં ઘોર અંધકાર હતો ક્યાંય કશું જણાતું ન હતું અને ઘોરતમ અંધારમાં એક તત્વ હતું આ તત્વને અંતિમ તત્વ કહેવામાં આવે છે; જેનો કોઈ આકાર નથી તે નિરાકાર તત્વ હતું અને પરમતત્વ તરીકે ઓળખ આપણા શાસ્ત્રોએ આપી તે આ તત્વ હતું.
તેને ઈચ્છા થઈ કે તે પોતાના સ્વરૂપનું સર્જન કરે છે. તે શિવ તત્વ તરીકે શાસ્ત્રકાર ઓળખાવે છે. તે પોતાના જમણા અંગને ઘસે છે તો તેમાંથી એક બીજા પુરુષનું સર્જન કરે છે. (અને આ શિવતત્વએ જ ડાબા અંગને ઘસ્યું તો તેમાંથી પરાંબાનું સર્જન થયું જે આ જગતની પ્રકૃતિ રૂપ છે.)
બીજો પુરુષ જે શિવ તત્વમાંથી પ્રગટ થયા તે મહાબાહુ અને નીલી આભા ધરાવતો આ પુરુષ વિશાળ વિશાળ થતો ગયો તેથી શિવે તેને કહ્યું ‘’તમે વિસ્તૃત થાવો છો માટે તમારું નામ વિષ્ણુ રાખવામાં આવશે.’’ આ રીતે શિવ ભગવાને વિષ્ણુને જન્મ આપ્યો. વિષ્ણુજીએ સમગ્ર જગ્યાએ કેવળ પ્રકાશ જોયો તેથી તેણે બધું જળવત્ કરી દીધું. અને ઘણું કામ કરી થાક્યા પછી તેણે પોતે સર્જેલા જ પાણીમાં ઘણા વર્ષો સુધી સુતા રહ્યા. ત્યારે પછી શિવજીની ઈચ્છાથી તે યોગ નિદ્રામાંથી જાગૃત થયા.
મહાપુરુષ તરીકે ઓળખાતા વિષ્ણુ ક્ષીરસાગરમાં સૂતા હતા ત્યારે તેની નાભિમાંથી એક કમળનો ઉદભવ થયો અને તેમાંથી બ્રહ્માજીનો જન્મ થયો. બ્રહ્માજીએ આસપાસ જોયું પણ કશું જણાયું નહીં તેથી તેને થયું કે મારો જન્મ ક્યાંથી થયો તે જાણું તેમ કરી, તે કમળની નાળમાં છેક ઊંડે સુધી ગયા પણ તેનો ક્યાંય પતો લાગ્યો નહીં તેથી તેને સો વર્ષ સુધી તપ કર્યું. અને તપ આંખો ખોલી તો વિષ્ણુ ભગવાને દર્શન દીધા અને તેની સાથે વિવાદ થયો. બંનેનો વાદ વિવાદ જોઈ અને શિવજી પ્રગટ થયા બંનેના જન્મની કથા કરી બંનેને શાંત કર્યા.
બ્રહ્મા વિષ્ણુનો વિવાદ ચાલતો હતો ત્યારે અચાનક જ એક પ્રકાશમાન પટ્ટો બંને વચ્ચે આવી ગયો, બંને આ પ્રકાશમાન પટ્ટાને ઉપર-નીચે વારંવાર નિહાળવા લાગ્યા પણ તેનું મૂળ બંનેને ન જડ્યું ત્યારે શિવજી પ્રગટ થયા અને પ્રકાશમાન પટ્ટાને તેના જ્યોતિર્લિંગ સ્વરૂપે ઓળખાવ્યું અને કહ્યું કે મારા માંથી એક પુરુષ પેદા થશે તે રુદ્ર કહેવાશે આ રુદ્ર અને હું કંઈ અલગ નથી પરંતુ એક જ જાણવા, આમ તે શિવે વિષ્ણુને કહ્યું તમે આ સૃષ્ટિનું પાલન પોષણ કરજો અને બ્રહ્માને સૃષ્ટિના સર્જનનો ભાર સોંપવામાં આવ્યો અને કહ્યું કે મારું સ્વરૂપ જે રુદ્ર છે તે પ્રલય કાળે વિનાશ કરશે. આમ, ત્રિદેવનો જન્મ અને તેના કાર્યનું પ્રતિપાદ શિવપુરરાણની રુદ્ર સંહિતાના અધ્યાય ૬ થી ૯માં જોવા ઉલ્લેખિત થયેલું જોવા મળે છે.•