જામનગરઃ જામ વંથલીનાં હરિ બાપાએ ઇચ્છા મૃત્યુની આગાહી કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે "મારા કામથી ભગવાન ખુશ થયાં છે અને 24 એપ્રિલે સાજે 5 વાગે ભગવાન પોતે તેમને લેવા માટે આવશે. આજનાં દિવસે સાંજે 5 વાગે હરિ બાપાએ ભગવાન તેમને ધામમાં લેવા આવશે તેવો મૃત્યુનો દાવો કર્યો હતો પરંતુ 5 વાગ્યા પછી પણ હરિ બાપા હયાત હોવાંથી તેમનાં દાવા પોકળ સાબિત થયાં છે તેવું તેઓએ ખુદ સ્વીકાર કર્યો હતો.
જો કે તેઓએ આવું કેમ કર્યુ તેનાં જવાબમાં તેઓએ જણાવ્યું હતું કે "મને કાંઇ ખબર નથી હું તો બેભાન હતો. મારે ભગવાન સાથે કોઇ પણ પ્રકારની વાત નથી થઇ તેમજ મને આ બાબતે કંઇ જ ખબર નથી."
હરિ બાપાનાં ઈચ્છા મૃત્યુ મામલે જુદા-જુદા નિવેદનો પણ લોકો દ્વારા સામે આવી રહ્યાં છે. એક તરફ જુનાગઢનાં સ્વામીનું એમ કહેવું હતું કે હરિ બાપા ધામમાં પહોંચી ગયાં છે. જ્યારે હરિ બાપાનાં મિત્ર અને ગ્રામજનોનું કહેવું છે કે હરિ બાપા નાટક કરી રહ્યાં છે. આ પહેલા પણ તેમણે આ પ્રકારનું નાટક કર્યું હતું.
જો કે હરિ બાપાનાં ઈચ્છા મૃત્યુ મામલે સત્ય સામે આવી ગયું છે. મહત્વનું છે કે 5 વાગે ભગવાન ખુદ પોતાનો રથ લઈને તેમને લેવા આવનાર હોવાનો દાવો કરનાર હરિ બાપાનો આ દાવો નાટક રૂપે પોકળ સાબિત થયો હતો.
રથ લઈને ભગવાન તો ન આવ્યાં પણ ગુજરાત સરકારની 108 એમ્બ્યુલન્સ આવીને હરિ બાપાને હોસ્પિટલ લઈ ગઈ હતી. હરિ બાપાનાં તમામ દાવાઓ નાટક સાબિત થતાં આખરે હરિ બાપાની બોલતી બંધ થઈ ગઈ હતી અને મિડીયા સામે નિવેદન આપવાનું પણ તેઓએ ટાળ્યું હતું.