ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રાને લઈ પુરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. આજે જળયાત્રા માટેની જગન્નાથજી મંદિર અને સરસપુર મંદિરમાં પણ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. રથયાત્રા પહેલાં મહત્વપૂર્ણ ઉત્સવ વિધિ ''જળયાત્રા’ જેઠ સુદ પૂનમ રવિવારે સવારે 8 વાગ્યે જમાલપુર જગન્નાથજી મંદિરેથી નીકળી સાબરમતી નદીના સોમનાથ ભુદરના આરે ગંગા પૂજન માટે વરઘોડારૂપે પહોંચશે. સાબરમતી નદીના સોમનાથ ભુદરના આરે ગંગા પૂજન કર્યા બાદ ત્યાંથી 108 કળશમાં જળ ભરીને મંદિરમાં લાવવામાં આવશે. ત્યાર બાદ ષોડ્પશોચાર પૂજા વિધિ કરવામાં આવશે. આ જળથી ભગવાનનો જળાભિષેક કરવામાં આવશે અને ત્યાર બાદ ભગવાનનાં ગજવેશનાં દર્શન થશે. આરતી બાદ ભગવાન જગન્નાથજીને મોસાળ મોકલવામાં આવશે. જળયાત્રા વિધિમાં ગૃહરાજ્યપ્રધાન હર્ષ સંઘવી, શિવાનંદ આશ્રમના સ્વામી પરમાત્માનંદ સરસ્વતી મહારાજ, અમદાવાદના મેયર કિરીટ પરમાર, સહિત શહેરના ધારાસભ્યો, કોર્પોરેટર અને ભાજપ સંગઠનના નેતાઓ હાજર રહેશે.
જળયાત્રાને મિની રથયાત્રા તરીકે પણ ઓળખવામાં આવે છે
આ જળયાત્રાને મિની રથયાત્રા તરીકે પણ ઓળખવામાં આવે છે. 11 વાગ્યે ભગવાન જગન્નાથજીને ગજવેશમાં શણગારી મોસાળ મોકલવામાં આવશે. સાંજે 4 વાગ્યે સરસપુર ખાતે આવેલા રણછોડરાય મંદિરમાં ભગવાન પોતાનાં મોસાળમાં પહોંચી જશે અને ત્યાં લોકો દર્શન કરી શકશે. ભગવાન જગન્નાથજી આજથી 15 દિવસ સુધી સરસપુર ખાતે મોસાળની મહેમાનગતિ માણશે. હાલ ભગવાનની જગન્નાથજીની જળયાત્રા અને રથયાત્રા માટે બંને મંદિરમાં આમંત્રણ પત્રિકાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.
ભાણેજને વધાવવા સરસપુરમાં ઉત્સાહનો માહોલ
આજે જળયાત્રા બાદ ભગવાન તેમના મોસાળ સરસપુર જવાના છે અને 15 દિવસ મામાના ઘરે રોકાવાના છે. જેને લઈને મોસાળ સરસપુરમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. વરસાદની શક્યતાને લઈને સરસપુરમાં રણછોડરાય મંદિરમાં વોટરપ્રૂફ ડોમ બાંધવામાં આવ્યાે છે. જેની સાથે આ વર્ષે 15 દિવસ સુધી અલગ અલગ પ્રકારે ભગવાનનાં મનોરથ, ભજન, કીર્તન, શોભાયાત્રા અને લક્ષ્મીનારાયણ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. 7 જૂનથી 17 જૂન સુધી ભગવાન સરસપુરમાં રહેશે.