દશેરા એટલે અસત્ય પર સત્યની જીતનો પાવન પર્વ. આ દિવસે ફાફડા-જલેબી ખાવાની અનોખી પરંપરા હોય છે. ત્યારે અમદાવાદમાં ફાફડા-જલેબીના ભાવ આસમાને પહોંચ્યા છે.
અમદાવાદમાં આજે દશેરા પર્વની ધામધૂમથી ઉજવણી
ફાફડા-જલેબી ખાવા માટે શહેરીજનોમાં ભારે ઉત્સાહ
અમદાવાદમાં ફાફડા-જલેબીના ભાવ આસમાને પહોંચ્યા
દશેરા એટલે અસત્ય પર સત્યની જીતના પાવન પર્વની દેશભરમાં ભવ્ય ઉજવણી. આ દિવસે લોકોમાં ફાફડા-જલેબી ખાવાની એક અનોખી પરંપરા હોય છે. પરંતુ આ વર્ષે ફાફડા-જલેબીના ભાવ આસમાને પહોંચી ગયા છે. જોકે તેમ છતાં અમદાવાદમાં વહેલી સવારથી જ ફાફડા જલેબી ખાવા માટે શહેરીજનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી જ સ્વાદના રસિયાઓની ફરસાણની દુકાનો પર લાંબી કતારો લાગી ગઇ છે. જેના લીધે વેપારીઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
તમને જણાવી દઇએ કે, દશેરાના દિવસે દર વર્ષે અમદાવાદમાં ફાફડા જલેબીનું સૌથી વધુ વેચાણ થાય છે. અમદાવાદીઓ સામાન્ય રીતે દર વર્ષે દશેરાના દિવસે કરોડો રૂપિયાના ફાફડા અને જલેબી આરોગી જતા હોય છે. ત્યારે આ વર્ષે અમદાવાદમાં ફાફડા-જલેબીના ભાવ આસમાને પહોંચ્યા છે. શહેરમાં ફાફડાના પ્રતિ કિલોના ભાવ રૂ. 650થી 900 એ પહોંચ્યા છે જ્યારે શુદ્ધ ઘીની જલેબીના પ્રતિ કિલોના ભાવ રૂ. 750થી 1050 એ પહોંચ્યા છે.
વર્ષો જૂની પરંપરા
મહત્વનું છે કે, વિજ્યાદશમીના પર્વ નિમિત્તે ફાફડા જલેબી ખાવાની વર્ષો જૂની પરંપરા છે. જોકે, કોરોનાના કારણે બે વર્ષથી મંદ પડેલા ફાફડા જલેબીના વેચાણને પણ આ વખતે વેગ મળશે. આ વખતે પણ દશેરાના દિવસે શહેરમાં ખૂણેખૂણે ફાફડા અને જલેબીની હાટડીઓ ખુલી જશે. નાનામાં નાના વેપારીથી માંડીને જાણીતી ફરસાણની બ્રાન્ડના વેપારીઓ ફાફડા-જલેબીમાં સારી એવી કમાણી કરી લેશે. જે માટે દશેરાને લઈ ફરસાણના વેપારીઓ આગોતરું આયોજન કરી નાખતા હોય છે.
જાણો કેમ ઉજવાય છે દશેરાનો પર્વ?
નોંધનીય છે કે, આસુરી શક્તિ પર દૈવી શક્તિના વિજયના પ્રતીક સમાન વિજય દશમી ઉત્સવના ભાગરૂપે દશેરાની ઉજવણી થાય છે. દશેરા એટલે કે વિજયાદશમી કે જે હિન્દુઓનો પ્રમુખ તહેવાર છે. એવી માન્યતા છે કે ભગવાન શ્રીરામે દશમીના દિવસે અધર્મી રાવણને હણ્યો હતો. એટલું જ નહીં આ જ દિવસે માતા દુર્ગાએ મહિષાસુર નામના દાનવનો વધ કરીને તેના આતંકથી દેવોને મુક્ત કર્યા હતાં. ત્યારે નવરાત્રીના નવ દિવસ બાદ 10મો દિવસ નવ શક્તિઓના વિજયના ઉત્સવ તરીકે વિજયાદશમી રૂપે ઉજવાય છે.