સંસદમાં ચોમાસું સત્ર દરમિયાન સતત ચાલતા હોબાળાના કારણે વારંવાર બંને ગૃહોની કામગીરી સ્થગિત કરવી પડે છે. હવે લોકસભાના અધ્યક્ષને આ મામલે ચેતવણી આપવાની ફરજ પડી છે.
પેગાસસ જાસૂસી કાંડ મામલે તપાસની માંગ કરી રહેલા વિપક્ષના દળોએ ચોમાસું સત્રમાં હજુ સુધી કાર્યવાહી સરખી રીતે ચાલવા નથી દીધી. આજે પણ સંસદમાં વિપક્ષના હોબાળાં વચ્ચે બંને ગૃહોને સ્થગિત કરવા પડ્યા હતા. વિપક્ષે પણ પોતાનો ઇરાદો સ્પષ્ટ કરતાં કહ્યું હતું કે જ્યાં સુધી સરકાર આ વિષે ચર્ચા કરવા માટે સહમત નહીં થાય ત્યાં સુધી આ હોબાળો યથાવત રહેશે.
શું બોલ્યા અધ્યક્ષ?
સતત ચાલતા હોબાળાના પગલે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું હતું કે જો આવું જ રહેશે તો તેમણે સદસ્યો વિરુધ્ધ કાર્યવાહી કરવાની ફરજ પડશે. સંસદમાં અમુક સભ્યો એવી પ્રવૃત્તિ વારંવાર કરી રહ્યા છે જે સંસદના નિયમોથી વિરુદ્ધ છે.
લોકસભામાં બે અને રાજ્યસભામાં એક વિધેયક પસાર
સરકારે પણ પોતાનો ઇરાદો સ્પષ્ટ કરી દીધો છે. તેમણે આ પરિસ્થિતિ વચ્ચે પણ લોકસભામાં બે અને રાજ્યસભામાં એક વિધેયક પસાર કરી દીધું હતું અને વિપક્ષને એવો સંદેશ આપ્યો હતો કે તેમને પણ આ દબાણની પરવા નથી.
તેમણે કાગળ કેમ ફાડયું?
વિપક્ષ પર સંસદમાં પેગાસસ મામલે ચર્ચાની માંગ વિષે બોલતા કેન્દ્રીય મંત્રી અર્જુન રામ મેઘવાલે કહ્યું હતું કે રાજ્યસભામાં અમારા મંત્રીનું સુઓ મોટો સ્ટેટમેન્ટ હતું. રાજ્યસભામાં સ્ટેટમેન્ટ આપ્યા બાદ ચર્ચા થતી હોય છે. તેમણે મંત્રીજીનું એ સ્ટેટમેન્ટ કેમ ફાડી નાખ્યું? એનો અર્થ એ જ થાય છે કે તેઓ ચર્ચા નથી ઇચ્છતા.
હોબાળા વચ્ચે વિધેયક પસાર
વિપક્ષનાં આ હોબાળાને ધ્યાનમાં ન લેતા નાણામંત્રી નિર્મલા સિતારમણે ફેકટરીંગ રેગ્યુલેશન અને બેન્કરપ્સી એક્ટમાં સુધારણના વિધેયકો પસાર કરી દીધા હતા. આગળ પણ સરકારનું ધ્યાન હવે બિલ પસાર કરવા ઉપર જ રહેશે.
રાજ્યસભામાં પ્રશ્નકાળ પણ માંડ ચાલ્યો હશે
બુધવારે રાજ્યસભામાં કાર્યવાહી શરૂ થતાં પહેલા જ હોબાળો શરૂ થઈ જતાં કાર્યવાહી રદ કરવી પડી હતી. ભારે શોરબકોર વચ્ચે માંડ 40 મિનિટ કાર્યવાહી ચાલી હશે ત્યાં ફરી સદન સ્થગિત કરવાની ફરજ પડી હતી. મહિલા અને બાલ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ આ હોબાળાં વચ્ચે જ વિધેયક ધ્વનિમતથી પસાર કરી દીધો હતો.