લોકસભા ચૂંટણીનો સાતમો અને અંતિમ તબક્કો નજીક આવ્યો ત્યાં સુધીમાં તો રાજનીતિની જે હીન કક્ષાનું વરવું પ્રદર્શન થયું તે જોઈને કદાચ લોકશાહી પણ લોહીલુહાણ થઈ ગઈ હશે. કહેવાય છે કે રાજકારણમાં કોઈ કાયમી દોસ્ત કે દુશ્મન હોતા નથી, પરંતુ આ વખતની ચૂંટણીમાં સહન ન થઈ શકે તેવી કડવાશ-સાવ ઊતરતી અને વાહિયાત ભાષા-અંગત જિંદગીના ગંદા આક્ષેપોનો એવો મારો ચાલ્યો છે કે કોઈ પણ બુદ્ધિશાળી નાગરિકનું માથું શરમથી ઝૂકી જાય.
ભાજપ, કોંગ્રેસ અને પ્રાદેિશક પક્ષોના નેતાઓએ જે રીતે એકબીજા ઉપર કાદવ ઉછાળ્યો-અભદ્ર અને ફૂવડ ભાષાનો પ્રયોગ કર્યો તેનાથી દેશની રાજનીતિનું સ્તર સાવ છેલ્લી પાયરીએ પહોંચી ગયું છે. રેલીઓમાં ભીડને ખુશ કરવા અને તેમની તાળીઓનો ગડગડાટ મેળવવા માટે તરસતા નેતાઓ શું બફાટ કરી જાય છે તેની જાણ ખુદ તેમને પણ હોતી નથી. સૌથી વધુ ચોંકાવનારી વાત એ છે કે વિવાદ થવા છતાં પણ આ બફાિટયા નેતાઓને લેશમાત્ર પણ અફસોસ થતો નથી.
આ અગાઉ ક્યારેય પણ ભારતીય રાજનીતિની આટલી હીન કક્ષાનું પ્રદર્શન થયું નથી. કોઈ સ્વર્ગસ્થ વડા પ્રધાનને ભ્રષ્ટાચારી કહીને ભાંડી રહ્યું છે તો કોઈ જાહેર સભામાં મહિલા નેતાનાં અન્ડરવેરનો રંગ જણાવી રહ્યું છે. વડા પ્રધાન માટે ‘ફેંકુ’થી લઈને ‘હિટલર’, ‘તાનાશાહ’, ‘નીચ’ જેવી ગાળોનો વરસાદ વરસાવવામાં આવે છે તો દેશની સૌથી જૂની રાજકીય પાર્ટીના અધ્યક્ષને ‘પપ્પુ’ અને ‘નામદાર’ના નામે નવાજવામાં આવે છે.
સૌથી મોટી અફસોસની વાત એ છે કે લોકશાહીના મહાપર્વ સમાન લોકસભા ચૂંટણીની લડાઈ આ વખતે કોઈ મુદ્દા આધારિત નથી, પરંતુ દેશને દૂર દૂર સુધી કોઈ સંબંધ નથી એવી વાતો પર લડવામાં આવી રહી છે. પ્રજાના ગંભીર પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં કોઈને રસ નથી. નેતાઓના સંવાદનું સ્તર-ભાષણની ગરિમા હવે કથળી ગઈ છે. રાજકારણની હવામાં એટલું ઝેર ફેલાઈ ગયું છે કે સામાન્ય વ્યક્તિ તેમાં ગૂંગળામણ અનુભવે છે અને આ ગંદકીથી દૂર ભાગે છે.
રાજકારણમાં સૌથી વધુ જરૂરી એવી સાર્વજનિક શાલીનતાને જાણે આ નેતાઓએ તિલાંજલિ આપી દીધી છે. એક સમયે રાજકારણમાં નેતાઓ સૌમ્ય ભાષામાં હરીફ પક્ષનો ઉપહાસ કે તેમના પર તીખા વ્યંગ કરતા હતા પણ હવે ‘બિલો ધ બેલ્ટ’ ફટકારવાની જાણે ફેશન બની ગઈ છે. સાવ ગલીના મવાલી જેવી ભાષાના પ્રયોગથી નેતાઓ પ્રજાને પણ ખોટો રસ્તો ચીંધી રહ્યા છે. ‘રાજા તેવી પ્રજા’ના ન્યાયે તમને આ પ્રકારની માનસિકતાનાં દર્શન સોશિયલ મીડિયા પર પણ થશે.
જો તમે ભાજપ કે મોદીના સમર્થક હો તો તમે ‘ભક્ત’ છો. ભૂલથી પણ કોંગ્રેસ કે રાહુલ ગાંધીના પક્ષમાં કોઈ વાત રજૂ કરી દીધી તો તમે ‘ચમચા’, ‘દરબારી’, ‘ગુલામ’ અને ‘દેશદ્રોહી’ બની જશો. સ્વસ્થ અને હકારાત્મક ચર્ચાને હવે કોઈ પ્લેટફોર્મ પર સ્થાન નથી મળતું. કોઈ ને કોઈ પક્ષના ભાડેથી ખરીદેલા અને સાવ જડસુ પ્રકૃતિના ‘શાર્પશૂટર્સ’ હંમેશાં તૈયાર જ હોય છે, તમને ટ્રોલ કરીને તમારું એન્કાઉન્ટર કરવા માટે.
લોકશાહી માટે આ સૌથી ખતરનાક સ્થિતિ છે, જ્યારે તમે કોઈ પક્ષ, વ્યક્તિ કે વિચારસરણીનો વિરોધ પણ કરી શકતા નથી. રાજનૈતિક કે જાહેર સંવાદમાં મર્યાદાની એક લક્ષ્મણરેખા જળવાઈ રહે તે ખૂબ જરૂરી હોય છે. મતદારોને ખુશ કરવા માટે હીન કક્ષાની રાજનીતિનું આ હથિયાર ક્યારે બૂમરેંગ થઈને વિવાદ ઊભો કરનારા નેતાને જ ભરખી જાય તેની ખબર પણ રહેતી નથી.
અભદ્ર ભાષા જાહેર જીવનની કોઈ વ્યક્તિ પાસેથી સ્વીકાર્ય હોઈ જ ના શકે. જો નેતાઓ રાજનીતિના આ હીન કક્ષાથી ઉપર આવીને સંવાદ કરવાનો શરૂ કરશે તો એ દેશની સૌથી મોટી સેવા જ ગણાશે.•