રાજકોટ: દર વર્ષે જન્માષ્ટમી પર રાજકોટની જાહેર જનતા માટે યોજાતા લોક મેળાને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આજથી આ પાંચ દિવસીય લોકમેળોનો પ્રારંભ થશે. આ વખતે લોકમેળાનું નામ ગોરસ મેળો રાખવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે જેમાં 350થી વધુ સ્ટોલને મંજૂરી આપવામાં આવી છે. તો આ મેળામાં 60થી વધુ રાઈડ્સને પણ મંજૂરી આપવામાં આવી છે. રાજકોટની શાનસમા આ મેળામાં અંદાજે 12 લાખથી વધુની જનમેદની ઉમટી પડવાની શકયતા છે. જેને લઈને ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ લોકમેળાની ખાસ વાત એ છે કે તેમાં પ્લાસ્ટિક પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
આપને જણાવી દઇએ કે છેલ્લા 3 દાયકાથી રંગીલા રાજકોટમાં યોજાતા પારંપરિક જન્માષ્ટમીનો મેળો સૌરાષ્ટ્રભરમાં મોટા મેળા તરીકે ખુબ જ જાણીતો છે. આ મેળામાં દર વર્ષે મોટી સંખ્યામાં જન મેદની આ મેળો માણવા આવી ચડે છે.
જો કે સ્થાનિક જિલ્લા તંત્ર દ્વારા યોજાતા આ મેળાને ચાલુ વર્ષે ગોરસ લોકમેળો એવું નામ આપવામાં આવ્યું છે. રાજકોટનો સુવિખ્યાત લોકમેળો ગોરસ ૨૦૧૮ લોકોને માણવા માટે રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાં ખુલ્લો મુકશે.