કોંગ્રેસ અને ભાજપ માટે કેટલીક બેઠક માથાનો દુઃખાવો બની છે. કોને લોકસભા જંગ લડવા ઉતારવા? એ પક્ષો માટે મોટો પ્રશ્ન બન્યો છે. લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ બનાસકાંઠા, બારડોલી, ભરૂચ બેઠકને લઇને કોંગ્રેસમાં મહામંથન ચાલી રહ્યું છે.
બનાસકાઠા બેઠક કોંગ્રેસ માટે માથાનો દુઃખાવો બની
લોકસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષને બનાસકાંઠા બેઠક પર કોને ઉમેદવારને લઈને બનાવવા તે માટે મુંઝવણ ચાલી રહી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કોંગ્રેસ દ્વારા પરથી ભટોળને ટિકિટ આપવામાં આવી શકે છે. બનાસકાંઠાના ત્રણેય ધારાસભ્યોને પરથી ભટોળને ટેકો આપી રહ્યા છે.
ભરૂચમાં BTP-કોંગ્રેસનુ તૂટશે ગઠબંધન?
લોકસભાની ચૂંટણી પહેલા ભરૂચ અને નર્મદા જિલ્લામાં કોંગ્રેસ અને BTP વચ્ચે ગઠબંધન તૂટે તેવી શક્યતા છે. જીલ્લા પંચાયત નર્મદા અને ભરૂચ લોકસભાની ચૂંટણીના ઉમેદવારના કારણે બન્ને પક્ષ વચ્ચે ગઠબંધન તૂટવાના એંધાણ છે. મહત્વનુ છે કે, હાલમાં ભરૂચ અને નર્મદા જિલ્લા પંચાયતમાં BTP અને કોંગ્રેસનું ગઠબંધન છે. ત્યારે હવે લોકસભાની ચૂંટણીના ઉમેદવારને લઈને BTPના નેતા બહાદુર વસાવાએ છોટુ વસાવાને પત્ર લખીને ટેકો પાછો ખેચ્યો છે.
બારડોલી લોકસભા સીટને લઇ ગુજરાત કોંગ્રેસમાં ભડકો
બારડોલી લોકસભા સીટને લઇ ગુજરાત કોંગ્રેસમાં ભડકો થયો છે. તુષાર ચૌધરીનું નામ જાહેર થવાની વાત મળતા કોંગ્રેસમાં નારાજગી જોવા મળી છે. માંડવીના ધારાસભ્ય આનંદ ચૌધરીએ પણ દાવેદારી નોંધાવી હતી. ત્યારે તેમને ટિકિટ ન મળતા તેઓએ રાજીનામાની ચીમકી ઉચ્ચારી છે. આનંદ ચૌધરીએ દિલ્હીના કોંગ્રેસના ટોચના નેતાઓ સાથે વાતચીત કરી છે. હાલ બારડોલી સીટની જાહેરાત અટકાવાઇ છે. હાલ આનંદ ચૌધરીને સમજાવવાનો કોંગ્રેસ દ્વારા પ્રયાસ થઇ રહ્યો છે. ત્યારે આજે બારડોલી સીટ પર વિધિવત રીતે નામ જાહેર કરાશે અને તુષાર ચૌધરીના નામની જ જાહેરાત થાય તેવી સંભાવના છે.
બારડોલી બેઠક મુદ્દે તુષાર ચૌધરીનુ નિવેદન
બારડોલી બેઠક પર તુષાર ચૌધરીનું નામ સામે આવતા કોંગ્રેસમાં આંતરિક જૂથવાદ સામે આવ્યો છે. ત્યારે બારડોલી બેઠક મુદ્દે તુષાર ચૌધરીએ નિવેદન આપતા કહ્યું કે, આજે સાંજ સુધીમાં મારું નામ સત્તાવાર રીતે જાહેશ થશે. બારડોલી બેઠક પરથી ચૂંટણી હું લડીશ. ઉલ્લેખનીય છે કે, બારડોલી બેઠક પરથી તુષાર ચૌધરીનું નામ સામે આવતા વિરોધના સૂર ઉઠ્યા છે. માંડવીના ધારાસભ્ય આનંદ ચૌધરીએ વિરોધ વ્યક્ત કર્યો છે.
પાટણ કોંગ્રેસમાં ભડકો
પાટણ બેઠક પર કોંગ્રેસે નામ જાહેર કરાતા નારાજગી સામે આવી છે. જગદીશ ઠાકોરનું નામ જાહેર થતા કોંગ્રેસમાં વિવાદ સર્જાયો છે. 3 પૂર્વ MLA અને 1 હજારથી વધુ કાર્યકર્તાઓએ રાજીનામા આપ્યા છે. પાટણનાં પૂર્વ MLA જોધાજી ઠાકોરે રાજીનામું આપ્યું છે. ઠાકોર સમાજમાં મોટું જોધાજી ઠાકોરનું નામ છે. અગાઉ અલ્પેશ ઠાકોરના નામનો વિરોધ કર્યો હતો.
તાલાળાની પેટા ચૂંટણીનો મામલો
તાલાળા વિધાનસભાની પેટા ચૂંટણી માટે કોંગ્રેસમાંથી હિરેન બારડનું નામ સૌથી આગળ છે. કોંગ્રેસ હિરેન બારડને વિધાનસભાની ટિકિટ આપી શકે છે. હિરેન બારડ જશુભાઇ બારડના પુત્ર અને ભગવાન બારડના ભત્રીજા છે. લોકસભામાં કોંગ્રેસ કોળી અને વિધાનસભામાં આહિરને ટિકિટ આપવાનો વ્યૂહ બનાવી રહી છે. લોકસભા બેઠક માટે કોંગ્રેસમાંથી કોળી આગેવાન પુજા વંશને ટિકિટ અપાઇ છે. ઉલ્લેખનીય છે કે, ભગવાન બારડને ધારાસભ્ય પદથી સસ્પેન્ડ કરાતા ચૂંટણી પંચે તાલાળા વિધાનસભાની પેટા ચૂંટણીની જાહેરાત કરી છે.
કોંગ્રેસ દ્વારા વધુ 8 નામ જાહેર કરવામાં આવે તેવી શક્યતા
લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ દ્વારા આજે વધુ નામ જાહેર કરવામાં આવશે. કોંગ્રેસ દ્વારા અત્યાર સુધી 12 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. આજ સાંજ સુધીમાં કોંગ્રેસ દ્વારા વધુ 8 નામ જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે.
મહત્વનુ છે કે, ગુજરાતની 26 બેઠકો પર 23 એપ્રિલે લોકસભાની ચૂંટણી યોજાશે. કોંગ્રેસ દ્વારા અત્યાર સુધી માત્ર 12 નામ જાહેર કરવામાં આવ્યા છે. કોંગ્રેસના 14 ઉમેદવારોના નામ જાહેર કરવાના બાકી છે.
હાલમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે. 4 એપ્રિલ સુધી ઉમેદવારો ફોર્મ ભરી શકશે. ત્યારે આજે કોંગ્રેસ દ્વારા વધુ ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે.