આજે આણંદ લોકસભાના ધર્મજ બૂથ-8 પર ફેર મતદાન યોજાઇ રહ્યું છે. સોજિત્રા વિધાનસભામાં સમાવિષ્ટ ધર્મજ બૂથ નંબર-8 પર બોગસ મતદાન થયાની ફરિયાદને લઈને ફેરમતદાનનો આદેશ અપાયો હતો.
બૂથ પર વીડિયોગ્રાફીને ધ્યાને લઈને કલેક્ટરે નિર્ણય કર્યો હતો. જેમાં એક ધર્મજ બૂથ નંબર-8 પર એકની એક વ્યક્તિએ વારંવાર મતદાન કર્યુ હોવાનું ખુલ્યુ હતું. બોગસ મતદાનને લઇને ચૂંટણી અધિકારી દિલીપ રાણાએ મુખ્યચૂંટણીપંચને રજૂઆત કરી હતી. આથી રાજ્ય મુખ્યચૂંટણી અધિકારીએ ફેરમતદાનની મંજૂરી આપી હતી.
આમ, 23મીએ થયેલી બૂથ પરની ગેરરીતિને લઈ મતદાન રદ કરવામાં આવ્યુ હતુ. ગત ચૂંટણીમાં આ બુથ પર 69.46 ટકા મતદાન થયું હતું. આ બુથ પર 482 પુરુષ અને સ્ત્રી 412 મતદારો છે. ત્યારે આ વખતે કોઇ ગેરરીતિ ન થાય તેને લઇ ચૂંટણી અધિકારીઓની મતદાન પર બાજ નજર છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આજે લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કાનું મતદાન યોજાઇ રહ્યું છે. જેમાં દિલ્હી સહિત 7 રાજ્યોની 59 બેઠકો પર ચૂંટણી યોજાઇ રહી છે. જેમાં દિલ્હીની 7, બિહારની 8 અને હરિયાણાની 10 બેઠક પર મતદાન છે. તો ઝારખંડની 4 અને મધ્યપ્રદેશની 8 બેઠક પર તેમજ પશ્ચિમબંગાળની 8 અને યુપીની 14 બેઠક પર ચૂંટણીજંગ છે.