લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ બન્ને ઉમેદવારોની યાદી જાહેર કરી રહ્યા છે. ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીના નામની પણ જાહેરાત કરવામાં આવી છે. ત્યારે જાણો રાહુલ ગાંધી ક્યાંથી લડશે...
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પહેલીવાર બે સીટો પરથી લોકસભા ચૂંટણી લડશે. તેઓ આ વખતે અમેઠીની સાથે કેરળની વાયનાડ લોકસભા બેઠક પરથી પણ ચૂંટણી લડશે.
કોંગ્રેસના સિનિયર નેતા એ.કે.એન્ટોનીએ આ અંગેની જાણકારી પત્રકાર પરિષદ યોજીને આપી. એન્ટનીએ કહ્યું કે, છેલ્લા કેટલાક સમયથી માગ ઉઠી હતી કે રાહુલ ગાંધી અમેઠી સિવાય દક્ષિણ ભારતની કોઈ સીટ પરથી ચૂંટણી લડે... કર્ણાટક, તામિલનાડુ અને કેરળથી સતત આ માગ ઉઠી હતી. જેથી આ નિર્ણય લેવામાં આવ્યો છે કે રાહુલ ગાંધી હવે કેરળની વાયનાડ બેઠક પરથી પણ ચૂંટણી લડશે.
તો બીજી બાજુ કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, કેરળની વાયનાડ સીટ સાંસ્કૃતિક અને ભૌગૌલિક રીતે પણ ખૂબ મહત્વની છે. આ સીટ કેરળ, કર્ણાટક અને તમિલનાડુને જોડે છે. જો રાહુલ ગાંધી વાયનાડથી લડે તો આ એક દક્ષિણ ભારતમાંથી પણ પ્રતિનિધિત્વ હશે.. રાહુલ ગાંધી અનેક વાર કહી ચૂક્યા છે કે અમેઠી હંમેશા તેમની કર્મભૂમિ રહેશે.
રાહુલ ગાંધી માટે અમેઠી માત્ર એક સંસદીય વિસ્તાર નથી પણ એક પરિવારની જેમ છે. તો સુરજેવાલાને જ્યારે પૂછવામાં આવ્યું કે, ભાજપનું કહેવું છે કે, રાહુલ ગાંધી એટલા માટે બીજી સીટ શોધી રહ્યા છે કારણ કે તેમને આભાસ છે કે અમેઠીમાં સ્થિતિ સારી નથી.
ત્યારે પીએમ મોદી પર કટાક્ષ કરતા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, 2014માં જ્યારે ચૂંટણી હતી ત્યારે પીએમ મોદી ગુજરાત છોડીને કેમ ભાગ્યા હતા. તેઓ વારાણસીમાં ચૂંટણી લડ્યા હતા તો શું ગુજરાતની સ્થિતિ સારી નહોતી. ભાજપે આવી વાત કરવાનું ટાળવું જોઈએ.