હરિયાણાની ડાંસર સપના ચૌધરીએ દિલ્હી ભાજપ અધ્યક્ષ મનોજ તિવારી સાથે મુલાકાત કરી છે. મનોજ તિવારીનાં ઘર પર જ સપના ચૌધરીએ રવિવારનાં રોજ મુલાકાત કરી હતી. મનોજ તિવારીએ આની પુષ્ટિ પણ કરી છે. તેઓએ જણાવ્યું કે, હું સપનાનાં સંપર્કમાં છું, બે-ત્રણ દિવસમાં કોઇ સારા સમાચાર આવી શકે છે.
કોંગ્રેસમાં શામેલ થવાંથી ઇન્કાર કરી ચૂકેલ સપના ચૌધરીની ભાજપમાં શામેલ થવાની અટકળોની વચ્ચે મનોજ તિવારીનું નિવેદન સામે આવ્યું છે. 'સપના ચૌધરી ભાજપમાં શામેલ થઇ ગઇ છે અથવા તો આગળ થશે'નાં સવાલ પર મનોજ તિવારીએ જણાવ્યું કે, એ તો આવનારો સમય જ જણાવશે.
તમને માલૂમ હશે કે રવિવારનાં રોજ એક પ્રેસ કોન્ફરન્સ કરીને સપનાએ કોંગ્રેસમાં શામેલ થવાની વાતથી ઇન્કાર કરી દીધો હતો. તેઓએ કહ્યું હતું કે, મીડિયામાં પોતાની સાથે જોડાયેલ તસ્વીરો પણ હાલમાં ફેલાઇ રહી છે કે જે જૂની છે.
તેઓએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, 'મારી કોંગ્રેસમાં જવાની કોઇ જ ઇચ્છા નથી. હું કોંગ્રેસનો પ્રચાર નહીં કરું અને મારી રાજ બબ્બર સાથે કોઇ જ મુલાકાત નથી થઇ. તેઓએ કહ્યું હતું કે, હું એક કલાકાર છું અને રાજનીતિમાં જવું અથવા ચૂંટણી લડવાની હાલમાં કોઇ જ ઇચ્છા નથી.'
તમને જણાવી દઇએ કે શનિવારનાં સાંજે એવાં સમાચાર મીડિયામાં ચાલ્યાં હતાં કે હરિયાણાની ડાંસર સપના ચૌધરી કોંગ્રેસમાં શામેલ થઇ ગઇ. યૂપી કોંગ્રેસ સચિવ નરેન્દ્ર રાઠી સાથે સપનાનાં ફોટા પણ વાયરલ કરીને એવો દાવો કરવામાં આવ્યો હતો કે ઉત્તર પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ રાજ બબ્બરનાં ઘર પર સપનાને પાર્ટીનું સભ્યપદ આપવામાં આવ્યું છે.
એમ પણ સાથે કહેવામાં આવ્યું કે સપનાને કોંગ્રેસ મથુરાથી સિટ આપી શકે છે પરંતુ મોડી રાત્રે કોંગ્રેસ મથુરાથી મહેશ પાઠકને ઉમેદવાર તરીકે ઘોષિત કરી દીધાં હતાં. ત્યાર બાદથી એવાં અનુમાન પણ લગાવવામાં આવી રહ્યાં છે કે સપના આખરે ક્યાંથી ચૂંટણી લડશે.