એક તરફ પંજાબની 13 લોકસભા સીટો પર મતદાન થઇ રહ્યું છે. ત્યારે બીજી તરફ પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહ અને મંત્રી નવજોતસિંહ સિદ્ધુ વચ્ચે ચાલી રહેલો ખટરાગ બહાર આવ્યો છે. કેપ્ટન અમરિન્દર સિંહે આજે સિદ્ધુ પર પલટવાર કરતા કહ્યું કે નવજોત સિંહ સિદ્ધુ ખુદ મુંખ્યમંત્રી બનવા માંગે છે અને મને રિપ્લેસ કરવા માંગે છે.
અમૃતસર લોકસભા સીટને લઇને નવજોતસિંહ સિદ્ધુ નારાજગી વ્યક્ત કરી ચૂક્યા છે. સિદ્ધુ ઇચ્છતા હતા કે તેમની પત્ની નવજોત કૌર સિદ્ધુને ટિકિટ મળે, પરંતુ એ બની શક્યું નહી. સિદ્ધુની સતત નિવેદનબાજી પર પલટવાર કરતા રવિવારે કેપ્ટન અમરિન્દર સિંહે કહ્યું કે મારા અને નવજોત સિંહ સિદ્ધુ વચ્ચે કોઇ નિવેદનબાજી ચાલી રહી નથી. તેમની પોતાની ઇચ્છાઓ છે. દરેક વ્યક્તિની પોતાની ઇચ્છાઓ હોય છે.
પંજાબના મુખ્યમંત્રીએ કહ્યું કે હું તેમને બાળપણથી જાણું છું. મારા અને તેમના વચ્ચે જંગ ચાલી રહી છે, પરંતુ એ ખુદ મુખ્યમંત્રી બનવા માંગે છે અને મને બદલવા માંગે છે.
પંજાબમાં મતદાન પહેલા જ નવજોત કૌર સિદ્ધુએ મુખ્યમંત્રી અને પ્રદેશ નેતૃત્વ વિરુદ્ધ મોર્ચો ખોલી નાંખ્યો હતો. નવજોત કૌર સિદ્ધુએ પંજાબના મુખ્યમંત્રી અમરિન્દર સિંહ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા આશા કુમારી પર અમૃતસરથી લોકસભા ટિકિટ નહીં આપવા પર આરોપ લગાવી વિવાદ ઉભો કર્યો હતો.