કોંગ્રેસ પાર્ટીનાં અધ્યક્ષ સતત ત્રણ વખત અમેઠીમાં ચૂંટણી જીત્યાં બાદ ચોથી વખત હારનો સામનો કરવો પડ્યો છે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની પોતાની બીજી ઈનિંગમાં રાહુલને હરાવવા સફળ રહ્યાં હતાં. ભલે રાહુલ વાયનાડથી ચૂંટણી જીત્યા પણ પરંપરાગત અમેઠીની સીટ ગુમાવવાનો વારો જરૂર આવ્યો છે. 42 વર્ષમાં પહેલી વાર ગાંધી પરિવારનો કોઈ સભ્ય અહીંથી હાર મેળવી છે.
મલ્લિકાર્જુન ખડગેને પોતાની રાજકીય કરિયરમાં પહેલી વાર હારનો સામનો કરવો પડ્યો છે. કર્ણાટકની ગુલબર્ગા સીટ પરથી હારનાર મલ્લિકાર્જુન કોંગ્રેસ સંસદીય દળનાં નેતા છે ત્યારે તેની હાર મોટો ફટકો છે. 2014માં ખડગે મોદી લહેર સામે તરી ગયા હતાં પણ 2019માં મોદી સુનામી સામે ટકી ન શક્યાં.
મધ્યપ્રદેશની ગુના બેઠક પર ત્રણ દાયકા બાદ ભાજપે કબ્જો મેળવ્યો છે. 2014માં તો સિંધિયા મોદી લહેર વચ્ચે પણ આ સીટ બચાવવામાં સફળ રહ્યાં હતાં. પરંતુ આ વખતે બચાવી ન શક્યાં. છેલ્લાં 70 વર્ષમાં સિંધિયા રાજઘરાનાનો આ પહેલો પરાજય છે. કોંગ્રેસે તેમને પૂર્વી યૂપી જીતવાની જવાબદારી પણ સોંપી હતી. તો મધ્યપ્રદેશની અન્ય સીટો જીતાડવાનો પણ કારભાર હતો. લગભગ ત્રણ દાયકા પછી પેલેસ બહારનો કોઈ ઉમેદવાર જીતવામાં સફળ રહ્યો છે.
મોદીની પ્રચંડ સુનામીમાં કોંગ્રેસનાં 9 પૂર્વ મુખ્યમંત્રી પણ પોતાની સીટ બચાવી નથી શક્યાં. જેમાં દિગ્વિજય સિંહ, શીલા દિક્ષિત, હરીશ રાવત, ભુપેન્દ્ર સિંહ હુડ્ડા, અશોક ચવ્હાણ, સુશિલકુમાર શિંદે, મુકુલ સંગમા. નબામ તુકી અને વીરપ્પા મોઈલીનો સમાવેશ થાય છે. તો કોંગ્રેસ ઉપરાંત અન્ય દળનાં પૂર્વ મુખ્યમંત્રી એચ.ડી.દેવગૌડા, શિબુ સૌરેન અને બાબુલાલ મરાંડીની પણ હાર થઈ છે.
ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસની કમાન સંભાળી રહેલાં રાજબબ્બરને પણ ફતેહપુર બેઠક પરથી હારનો સામનો કરવો પડ્યો છે. યૂપીમાં કોંગ્રેસ બે બેઠકોથી ઘટીને એક બેઠક પર પહોંચી ગઈ છે. તો હરિયાણા કોંગ્રેસનાં અધ્યક્ષ અશોક તંવરની પણ સિરસા બેઠક પરથી હાર થઈ છે. આ ઉપરાંત મુંબઈ કોંગ્રેસનાં નવનિયુક્ત અધ્યક્ષ મિલિંદ દેવરાને મુંબઈ દક્ષિણ સીટ પરથી શિવસેનાએ હરાવી દીધાં છે. તો ગુજરાત કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ ભરતસિંહ સોલંકીને પણ આણંદ બેઠક પરથી હારી ગયા છે. પંજાબના ગુરદાસપુરના સાંસદ અને પ્રદેશ અધ્યક્ષ સુનિલ જાખડને પણ સની દેઓલ સામે હારનો સામનો કરવો પડ્યો છે.