પીએમ મોદીએ ચૂંટણી પ્રચાર અભિયાન અંતર્ગત ઝારખંડના કોડરમામાં રેલીને સંબોધન કર્યુ. ત્યારે પીએમ મોદીએ સેનાની એરસ્ટ્રાઈક પર ઉઠેલા સવાલો, આતંકવાદ, કોંગ્રેસ અને ગઠબંધનને લઈને આકરા પ્રહાર કર્યા. પીએમ મોદીએ રેલને સંબોધન દરમિયાન કહ્યું કે, મોદી જીતવાનાં છે એવું જાણતા હોવ તો પણ જંગી મતદાન કરો અને વોટિંગનો જૂનો રેકોર્ડ તૂટવો જોઈએ.
આપણે જીતવાનું છે પણ આન-બાન અને શાન સાથે. બટન દબાવીને લોકતંત્રના દેવતાનો આશીર્વાદ લો. અમે બતાવી દીધું કે લૂંટ કે કૌભાંડ વગર પણ સરકાર ચાલે છે. કોંગ્રેસ પર પ્રહાર કરતા પીએમ મોદીએ કહ્યું કે, કોંગ્રેસે પહેલા પણ મહામિલાવટનો ખેલ ખેલ્યો. દર બે ત્રણ વર્ષમાં સરકાર બદલી જાય છે.
કોંગ્રેસને આ મહામિલાવટમાં ખૂબ મજા આવે છે. કોંગ્રેસને દેશની નહીં પણ પોતાના ખેલની ચિંતા છે. કોંગ્રેસ એવું ઈચ્છે છે કે સરકાર રમકડાની જેમ ચાલે. તો આતંકવાદ અને સેના અંગે વાત કરતા કહ્યું કે, સેનામાં આપણા યુવાનો માતૃભૂમિની રક્ષા માટે જાય છે. આતંકવાદ અને નક્સલવાદનો ખાતમો થવો જોઈએ. જ્યાં ખતરો હસે ત્યાં ઘરમાં ઘૂસીને મારીશું. આ ચોકીદાર કોઈને પણ છોડશે નહીં. આમ પીએમ મોદીએ કોંગ્રેસને પણ આડે હાથ લીધી અને શાબ્દિક પ્રહાર કર્યા.