આઝમગઢમાં પીએમ નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ અને મહાગઠબંધનને આડેહાથે લીધું હતું. મોદીએ કહ્યું, યાદ કરો, આઝમગઢની શાખ સાથે આ લોકોની સરકાર હતી ત્યારે કેવી રમત રમાતી હતી. કોઈ પણ આતંકી હુમલાના છેડા આઝમગઢ સાથે જ જોડાતા હતા. 2014 બાદ આઝમગઢના છેડા આતંકી સાથે નથી જોડાતા.
મોદીએ કહ્યું કે, 2014માં દેશમાં કોઈ પણ આતંકી હુમલો થાય તો તેનો છેડો આઝમગઢ સુધી પહોંચતો હતો. પરંતુ 2014 બાદ એવું પરિવર્તન આવ્યું છે કે, દેશના મોટા મોટા શહેરોમાં બોમ્બ ધડાકા બંધ થઈ ગયા છે. આતંકીઓ જમ્મુ-કાશ્મીર કે પછી સરહદી વિસ્તારોમાં જ સમેટાઈ ગયા છે. અમે પાકિસ્તાનમાં ઘૂસીને આતંકીઓને માર્યા છે. એક સમયે દુનિયા આપણી સાથે ઊભી રહેવા માટે ખચકાતી હતી.
આજે મસૂદ જેવા આતંકીઓ સામે દુનિયા આપણાં પક્ષમાં ઊભી છે. આને કહેવાય મજબૂત સરકાર. આ મહામિલાવટી લોકોએ દેશને ખતરામાં મૂકી દીધો છે. આ લોકોએ પાકિસ્તાનને ભારત પર હાવી થવાની તક આપી છે. પોતાની સરકારના કામો ગણાવાતા મોદીએ કોંગ્રેસ, સપા અને બસપાએ ધર્મ-જાતિના આધારે તમારી પાસે મત માગ્યા પરંતુ ક્યારે આ સરકારે તમારા સ્વાસ્થ્યની ચિંતા કરી છે ? તમારા આ સેવકે દરેક ગરીબ પરિવારને વિનામૂલ્યે સારવારની સુવિધા આપી છે.
પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, તમારા આ સેવકે દર વર્ષે 5 લાખ સુધીના મફત સારવારની વ્યવસ્થા કરી છે. આયુષ્માન ભારત યોજનાથી તમારી સારવાર પણ વિનામૂલ્યે થઈ શકશે. પરંતુ સ્પીડ બ્રેકર દીદીએ તેના પર બ્રેક લગાવી દીધી છે. આવી અસંવેદનશીલ માનસિકતાને જળમૂડમાંથી ઉખાડી ફેંકવી જરૂરી છે. જ્યારે આપણા વીરજવાનો પાકિસ્તાનના આતંકીઓને ઘરમાં ધુસીને પછાડી રહ્યા હતા ત્યારે દીદીને આતંકીઓની લાશો જોવી હતી. જ્યારે આખો દેશ સર્જિકલ સ્ટ્રાઈક મનાવી રહ્યો હતો ત્યારે દીદીએ બંગાળની સરકારને આવું કરવાની ના પાડી દીધી હતી. લોકસભા ચૂંટણીના 2019ના છઠ્ઠા તબક્કાની લડાઈમાં પીએમ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.