લોકસભા ચૂંટણી 2019 માટે 19 મે પશ્ચિમ બંગાળની 9 સીટો માટે મતદાન યોજાય એ પહેલા રાજકીય ઘમાસાણ સર્જાયું છે. બીજેપી અધ્યક્ષ અમિત શાહના રોડ શોમાં હિંસા થયા બાદ ચૂંટણી પંચે કડક કાર્યવાહી કરી છે. ચૂંટણી પંચે આવતી કાલે રાત્રે 10 વાગ્યા બાદથી ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ લાદી દીધો છે.
ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળના પ્રિન્સિપલ સેક્રેટરી અને પશ્ચિમ બંગાળના ગૃહ સચિવને પણ હટાવી દીધા છે. ઉપરાંત સોશિયલ મીડિયા પર વીડિયો અપલોડ કરવા પર પ્રતિબંધ લાદ્યો છે. જેથી પ.બંગાળમાં 17મીએ આચારસંહિતા લાગુ પડવાની હતી તેના બદલે એક દિવસ પહેલાં જ લાગુ પડી ગઈ છે. આ જોતાં કહી શકાય કે હાલમાં દેશમાં રાજકીય ઘમાસાણ ચરમસીમાએ પહોંચ્યું છે.
ઉલ્લેખનીય છે કે મગંળવારે કોલકત્તામાં બીજેપી અધ્યક્ષ અમિત શાહના મેગા રોડ શોમાં હિંસા ફાટી નીકળી હતી. રોડ શોમાં ટીએમસીઅને બીજેપી સમર્થકો વચ્ચે અથડામણ સર્જાઇ હતી. જે બાદથી મમતા બેનર્જી અને અમિત શાહ સામ સામે આવી ગયા છે. બંને પાર્ટી તરફથી રાજકીય નિવેદન બાજી થઇ રહી છે. સૂત્રોનું માનીએ તો, અમિત શાહના રોડ શો દરમિયાન થયેલી હિંસા મામલે ભાજપના વરિષ્ઠ નેતા ઉપરાષ્ટ્રપતિને મળ્યા.
પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં ભાજપના પ્રમુખ અમિત શાહના રોડ શો દરમિયાન થયેલી હિંસાના મામલે હવે રાજકીય સંગ્રામ છેડાયો છે. હિંસાને લઇને ભાજપે પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજી અને તૃણમૂલ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા. મમતા બેનરજીએ ભાજપને ચેતવણી આપતાં જણાવ્યું છે કે તમારા લોકોનું નસીબ સારું છે કે હું અહીં શાંત બેઠી છું, અન્યથા હું એક સેકન્ડમાં દિલ્હીમાં ભાજપના કાર્યાલય અને તમારાં ઘરો પર કબજો કરી શકું છું.
મમતા બેનરજીએ ભાજપના અધ્યક્ષ પર ઉગ્ર પ્રહારો કરતાં જણાવ્યું હતું કે શું અમિત શાહ ભગવાન છે? કે તેમની વિરુદ્ધ કોઇ દેખાવો કરી શકે નહીં? શું અમિત શાહ એટલા અસભ્ય છે કે તેમણે વિદ્યાસાગરની પ્રતિમા તોડી નાખી? અમિત શાહ પોતાની જાતને શું સમજે છે? વિદ્યાસાગરની પ્રતિમા તોડનારાં બહારી તત્ત્વો હતાં. ભાજપ આ બહારી તત્ત્વોને પ્રતિમા તોડવા માટે જ લાવ્યો હતો.