2017ની વિધાનસભા ચૂંટણીમાં યુવા ત્રિપુટીની મદદથી ગુજરાતમાં કોંગ્રેસે જબરજસ્ત પ્રદર્શન કર્યું હતું. હાર્દિક પટેલ, જિજ્ઞેશ મેવાણી અને અલ્પેશ ઠાકોરનાં દમ ઉપર કોંગ્રસ ભાજપને તેનાં જ ગઢમાં મજબૂત રીતે ટક્કર આપી શક્યું. પરંતુ 2019માં અલ્પેશ ઠાકોરનો રસ્તો બિલકુલ અલગ થઈ ગયો છે. હાર્દિક ચૂંટણી નથી લડી શક્યો તો જિજ્ઞેશ મેવાણીની મહત્વાકાંક્ષા તેને રાષ્ટ્રીય રાજકારણ તરફ ખેંચી ગઈ છે. ત્યારે આપણે જોઇશું 2017માં ચમકેલાં પરંતુ 2019માં વેરવિખર થયેલાં હીરોનો આ અહેવાલ.
2017ની વિધાનસભા ચૂંટણીમાં ગુજરાતમાં કોંગ્રેસે કરેલાં ઉત્તમ પ્રદર્શન પાછળ ઘણી હદે રાજ્યનાં યુવા નેતાઓ હાર્દિક પટેલ, જિજ્ઞેશ મેવાણી અને અલ્પેશ ઠાકોરની ત્રિપુટીનો હાથ રહ્યો છે. પોત પોતાનાં સમાજમાં ગાઢ સંપર્કનાં કારણે આ યુવા નેતાઓનાં કારણે કોંગ્રેસને રાજ્યમાં ભાજપનાં મુકાબલે મજબૂતાઈથી ઊભરવામાં ઘણી મદદ મળી હતી. પરંતુ હવે જ્યારે 18 મહિના પછી લોકસભા ચૂંટણી યોજાઈ રહી છે. ત્યારે હવે સ્થિતિ ઘણી બધી રીતે બદલાઈ રહી છે. કારણ કે, અલ્પેશ ઠાકોરે કોંગ્રસનો હાથ છોડી દીધો છે. તો આ તરફ સુપ્રીમ કોર્ટ દ્વારા મહેસાણા તોફાન કેસમાં હાર્દિકની સજા માફી અરજી ગ્રાહ્ય ન રખાતાં આ વખતે તે લોકસભા ચૂંટણી લડી શકે તેમ નથી. જ્યારે જિજ્ઞેશ મેવાણી હવે રાષ્ટ્રીય રાજકારણમાં પોતાની હાજરી નોંધાવવા માટે તૈયારીમાં વ્યસ્ત થઈ ગયાં છે.
આપને યાદ હશે કે ગુજરાતની ધરતી પર પાટીદાર આંદોલને હાર્દિક પટેલને અચાનક જ ગુજરાતની રાજનીતિમાં એક મોટું નામ અર્પણ કરી દીધું હતું. રાજ્યની કુલ વસ્તીમાંથી 12 ટકા વસ્તી પાટીદાર સમાજની છે. પાટીદાર સમાજ માટે અનામતની માંગણીને લઈને હાર્દિક પટેલનાં આંદોલને તેને યુવા પાટીદાર નેતા તરીકેની ઓળખ અપાવી. હાલમાં જ હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાયો છે અને કોંગ્રેસ માટે લોકસભા ચૂંટણીનાં પ્રચારમાં તે લાગી ગયો છે.
હાર્દિક પટેલ જ્યારે પાટીદાર સમાજને અનામતની માંગણીને લઈને યુવાનેતા તરીકે ઊભરી રહ્યો હતો ત્યારે તેને સમાનાંતર ઓબીસી સમુદાયની માંગોને આગળ ધરીને સડક પર ઉતરેલા અલ્પેશ ઠાકોરે સેના બનાવીને આ દારૂબંધીવાળાં ગુજરાતમાં કરોડો રૂપિયાની હેરફેરથી ધમધમી રહેલાં દારૂનાં ધંધા સામે જબરજસ્ત અભિયાન આદરી દીધું હતું. શરાબ વિરૂદ્ધનાં આ અભિયાને રાતોરાત અલ્પેશ ઠાકોરને એક ચર્ચિત ચહેરો બનાવી દીધો. ત્યાર બાદ અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાં જોડાઈ ગયાં અને ધારાસભ્ય પણ બની ગયાં. જો કે હવે તેમણે કોંગ્રેસનો સાથ છોડી દીધો છે.
તો આ તરફ દલિતકાંડ બાદ લાંબા સંઘર્ષનાં કારણે જિજ્ઞેશ મેવાણી ગુજરાતમાં એક યુવા દલિત નેતા તરીકે ઉભરી આવ્યાં. 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે વડગામ સીટ તેમને ઓફર કરી હતી. પરંતુ જીજ્ઞેશે આ સીટ પર કોંગ્રસનાં ઉમેદવાર તરીકે લડવાનાં બદલે અપક્ષ તરીકે લડવાનું પસંદ કર્યું અને તેઓ જીતી પણ ગયાં. જો કે ગત વર્ષથી જ જિજ્ઞેશ મેવાણી રાષ્ટ્રીય સ્તરે દલિત નેતા તરીકે ઊભરી આવવાની મહત્વકાંક્ષાનાં કારણે રાજ્ય બહાર તેઓ વધારે સક્રિય જણાય છે.
હાલમાં જિજ્ઞેશ મેવાણી બિહારનાં બેગૂસરાયમાં કનૈયા કુમાર માટે પ્રચાર કરી ચૂક્યાં છે. ત્યારે હવે બદલાતા રાજકારણમાં યુવા નેતાઓની બદલાતી મહત્વાકાંક્ષાઓ શું એ મતદારોની અપેક્ષા સંતોષી શકશે કે જે અપેક્ષાએ જ તેમને જનઆંદોલન જગાડવા સક્રિય કર્યા હતાં. જનનેતા તરીકે સ્થાપિત કરી આપ્યાં હતાં?