ઓરિસ્સાનાં કોરાપૂટમાં રેલીને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે તમારો આ ચોકીદાર આપ સૌની વચ્ચે આવ્યો છે અને તમારા આશીર્વાદ લેવા આવ્યો છું. તેમણે કહ્યું કે, બે દિવસ પહેલા જ ઓરિસ્સા એક ઐતિહાસિક સિદ્ધિનો પુરાવો બન્યું છે, જેને સમગ્ર વિશ્વને ભારતની શક્તિનો પરિચ કરાવ્યો છે.
ભારત હવે અંતરિક્ષમાં પણ ચોકીદારી કરવા માટે સક્ષમ છે. દેશના ગરીબો સાથે ગદ્દારી કરી રહેલા લોકો હવે વૈજ્ઞાનિક, સેના અને નવયુવાનોનું અપમાન કરી રહ્યા છે.
તેમણે કહ્યું કે 2014માં જ્યારે હું ઓરિસ્સા આવ્યો હતો ત્યારે સંપૂર્ણ ઇમાનદારીથી, પૂરી નિષ્ઠાથી તમારી સેવા કરવામાં હું કોઈ કસર નહીં છોડું. તમારા પ્રધાનસેવક તરીકે તમારી સેવામાં મેં કોઈ કસર છોડી નથી. હું દેશનું ભ્રમણ કરીને દેશવાસીઓને ધન્યવાદ આપી રહ્યો છું. જો તમે મને આશીર્વાદ ન આપ્યા હોત તો હું કેવી રીતે કામ કરી શક્યો હોત.
પીએમ મોદીએ કહ્યું કે અમે દેશભરની મોટી પંચાયતોમાં હોસ્પિટલ ખોલવાનું કામ કરી રહ્યા છીએ. દેશભરના 17 લાખ ગરીબોને આયુષ્માન ભારતનો લાભ મળશે. પરંતુ 17 લાખ લોકોમાં ઓરિસ્સાનો એક પણ ગરીબ નથી. આવું એટલા માટે બન્યું છે કારણ કે અહીંની સરકાર આ યોજના સાથે નથી જોડાઈ રહી. ઓરિસ્સાની સરકાર આ યોજના સાથે જોડાશે તો ફક્ત ઓરિસ્સામાં જ નહી દેશની કોઈ પણ જગ્યાએ આવી વ્યક્તિને સારવાર મળી શકે છે. પરંતુ ઓરિસ્સાની સરકારને ગરીબોની ચિંતા નથી.
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે , મતદાન વખતે જ્યારે તમે પોલિંગ બૂથ પર જાઓ ત્યારે સ્પષ્ટ મન રાખીને જજો. તમારે જ નક્કી કરવાનું છે કે તમારે આતંકી ઠેકાણાઓને નષ્ટ કરનારી સરકાર જોઈએ છે કે પછી ગભરાઈને બેસનાર સરકાર જોઈએ છે. તમારે નક્કી કરવાનું છે કે તમારે નિર્ણય લેનારી સરકાર જોઈએ કે નારા લગાવનારી સરકાર. ઓરિસ્સા મજબૂત ત્યારે જ બનશે જ્યારે ભાજપ સરકાર આવશે.