બનાસકાંઠામાં આકાશી આફતે ખેડૂતોને તારાજ કરી મૂક્યા છે. ખેડૂતો માંડ રાહતનો શ્વાસ લે ત્યાં તીડ તેમને દોડતા કરી દે છે. પાછતરૂં ચોમાસુ, કમોસમી વરસાદ અને તીડ તેમજ ઠારે બનાસકાંઠાના ખેડૂતોની ખેતીને બરબાદ કરી નાંખી છે. ખેતરમાં ચોમાસુ, શિયાળુ બેય પાક તારાજ થઈ ગયા છે. છેલ્લા પાંચ દિવસથી તીડ બોલાવી રહ્યા છે ત્રાહિ ત્રાહિ.
તીડને કારણે ઉભો મોલ ભેરાઈ રહ્યો છે
બનાસકાઠામાં જીરાનો પાક ખાસ ફેલ જઈ રહ્યો છે
દવાના છંટકાવ છતા તીડ નથી ગાંઠી રહ્યા
બનાસકાંઠામાં તીડના ત્રાસથી ખેડૂતો પાયમાલ થઇ ગયા છે. તીડનું અન્ય એક ઝૂંડ આવતા પાકને પારાવાર નુકસાન થયું છે. જો કે તીડનો નાશ કરવા માટે દવાનો છંટકાવ કરતાં પાંચ તાલુકાના ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે.
જીરાના પાકને ભયંકર નુકસાન
વાવ પંથકમાં કુંડાળીયા રાધાનેસડા તીડના કારણે સૌથી મોટું નુકસાન થયું છે. ખાસ કરીને જીરાના પાકને વધુ નુકસાન થયું છે. ઉભુ જીરૂ ખરી પડ્યુ છે તો વળી ક્યાં જીરાને ઉગતું જ ડામી દીધું હોય તેવો ઘાટ ઘડાયો છે.
તીડને નાથવા રાજ્ય સરકારની ટીમ સ્ટેન્ડ ટુ
તીડના નાસ માટે રાજ્ય સરકારે 15 ટીમને કામે લગાડી છે. જેના દ્રારા દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. પણ તીડ કોઈને ગાંઠવાનું નામ નથી લઈ રહ્યા અને આ તીડ જ્યાંથી પસાર થાય છે ત્યાં પાછળ ખેતરોને ભેરી મૂકે છે.
ખેડૂતોની મુશ્કેલીઓ વધી
આપને જણાવી દઈએ કે,ફરી એકવાર તીડનું આક્રમણ થતાં ખેડૂતોની મુશ્કેલીઓ વધી હતી. અંદાજે 3 કિલોમીટરના અંતરમાં તીડનું ઝુંડ દેખાયું હતું. તીડોના આક્રમણથી ખેડૂતોના શિયાળુ પાકને ભારે નુકસાન થયું છે. જેને લઈને ખેડૂતોમાં ભયનો માહોલ સર્જાયો છે.
સરકાર ચૂકવશે નુકસાનીની સહાય
ઉત્તર ગુજરાતમાં તીડના કારણે પાકમાં થયેલા નુકસાનને લઇ સરકારે ખેડૂતોને સહાય કરવાનો નિર્ણય કર્યો છે. હાલ નુકસાનીનો સર્વે પૂર્ણ કરી દેવામાં આવ્યો છે. કુલ 15 તાલુકાના 285 ગામમાં નુકસાન થયું છે. બનાસકાંઠાના 280 અને પાટણના 5 ગામમાં મોટું નુકસાન થયું છે.
જેને લઇ પ્રતિહેક્ટર રૂ.18500ની સહાય આપવામાં આવશે. બનાસકાંઠાના બનાસકાંઠાના 24,472 હેક્ટરમાં નુકસાન થયું છે. જ્યારે પાટણ જિલ્લાના 5 ગામમાં 750 હેક્ટર નુકસાન થયું છે. ત્યારે કુલ 11 હજાર ખેડૂતોને સહાયનો લાભ મળશે.