દેશભરમાં કોરોનાએ ગતિ પકડી છે. દિલ્હી, મુંબઈ, પશ્ચિમ બંગાળ, કેરળ, બિહાર, ગુજરાત, રાજસ્થાન સહિત બીજા રાજ્યોમાં પરિસ્થિતિ આઉટ ઓફ કન્ટ્રોલ થઈ રહી છે. વધી રહેલા કોરોનાના કેસોને ધ્યાનમાં લઈને મહારાષ્ટ્ર સરકારે 15 ફેબ્રુઆરી સુધી કોલેજ બંધ કરવાનો આદેશ આપી દીધો છે યુપીમાં પણ 16 જાન્યુઆરી સુધી ધોરણ 10ની સ્કૂલો બંધ રાખવાની જાહેરાત કરાઈ છે.
યુપીમાં 16 જાન્યુઆરી સુધી ધોરણ 10ની સ્કૂલો બંધ
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કોવિડના વધતા કેસોને લઈને શાળાઓ બંધ કરવાના નિર્દેશ આપ્યા છે. 16 જાન્યુઆરી, 2022 સુધીમાં યુપીમાં 10મી સુધી તમામ શાળાઓ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સીએમના આ નિર્ણય બાદ ગૃહ વિભાગના આદેશોએ કહ્યું કે ઉત્તર પ્રદેશની ધોરણ 10 સુધીની તમામ શાળાઓને 16 જાન્યુઆરી સુધી રજાઓ જાહેર કરવી જોઈએ. 11-12મા ધોરણના બાળકોને માત્ર રસીકરણ માટે જ શાળામાં બોલાવવા જોઈએ. આ બાળકોને રસીકરણના બીજા દિવસે રજા આપવામાં આવશે. બાકીના સમયગાળામાં ૧૧-૧૨મા ધોરણના વિદ્યાર્થીઓના વર્ગો ઓનલાઇન લેવામાં આવશે.
હિમાચલમાં નાઈટ કર્ફ્યુ, સિનેમા હોલ અને સ્વિમિંગ પૂલ બંધ
બુધવારે હિમાચલ પ્રદેશમાં મુખ્યમંત્રી જય રામ ઠાકુરની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાઈ હતી અને રાજ્યમાં કોવિડ-19ની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી.રાજ્યમાં કોવિડ-19 કેસોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને કેબિનેટે કેટલાક પ્રતિબંધો લાદવાનો નિર્ણય કર્યો હતો. રાજ્યમાં ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, સિનેમા હોલ, મલ્ટિપ્લેક્સ, સ્ટેડિયમ, સ્વિમિંગ પૂલ, જિમ, એન્કર વગેરે બંધ કરવા ઉપરાંત રાજ્યભરમાં રાત્રે 10 થી 5 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યુ લાદવાનો નિર્ણય કર્યો હતો. આ ઉપરાંત મેરેજ પેલેસ, બેંક્વેટ હોલ વગેરે સહિત ઇન્ડોર કેપેસિટીના 50 ટકા મેળાવડાને મંજૂરી આપવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો.
તમિલનાડુમાં 9 જાન્યુઆરીએ ટોટલ લોકડાઉન
તમિલનાડુ સરકારે 9 જાન્યુઆરીએ રાજ્યમાં ટોટલ લોકડાઉનની જાહેરાત કરી છે. આ સમય દરમિયાન જાહેર પરિવહન અને મેટ્રો નહીં ચાલે. તેમજ ફૂડ ડિલિવરી પણ રાજ્ય સરકારે પ્રતિબંધ મૂક્યો છે. રાજ્ય સરકાર દ્વારા જારી આદેશમાં એવું પણ કહેવાયું કે લગ્નમાં 100 લોકો અને અંતિમવિધિમાં ફક્ત 50 લોકોની હાજરીની મંજૂરી છે. સરકારે આગામી સમયમાં આવનાર પોંગલના તહેવારની ખાનગી કે જાહેર ઉજવણી પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે. રાજ્ય સરકારે કલેક્ટરોને આદેશ આપ્યો છે કે ભીડ ટાળવા માટે સ્થાનિક મચ્છીબજારને બીજે ક્યાંક ખસેડવામાં આવે. જોકે સરકારે દરિયા કિનારે ટહેલવાની મંજૂરી આપી છે.