મહારાષ્ટ્રમાં કોરોનાના કેસોમા મોટો ઘટાડો થયો હોવા છતાં પણ સરકારે લોકડાઉન 15 દિવસ લંબાવી દીધું છે. રાજ્યમાં હવે 15 જુન સુધી લાગુ રહેશે લોકડાઉન.
મહારાષ્ટ્રમાં 15 દિવસ લંબાવાયું લોકડાઉન
15 જુન સુધી રહેશે અમલી
રાજ્ય સુરક્ષિત રહે તેવી અમારી કોશિશ-મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે
લોકડાઉન લંબાવવાનું કારણ આપતા મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું કે લોકડાઉનથી જે રાહત મળી છે તેને ગુમાવી દેવી નથી જોકે જે જિલ્લામાં ઓછા કેસો નોંધાશે ત્યાં થોડી છૂટછાટો આપવામાં આવશે. અમારી મુખ્ય જવાબદારી રાજ્યને કોરોનાથી સુરક્ષિત રાખવાની છે.
રાજ્યના લોકોને સંબોધિત કરતા મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું કે લોકો સતત સવાલો પૂછી રહ્યાં છે. પરંતુ રાજ્ય સુરક્ષિત રહે તેવી અમારી કોશિશ છે. કડક લોકડાઉન નહીં પરંતુ આ વખતે કડક નિયમ બનાવાયા છે. તેમણે કહ્યું કે મહારાષ્ટ્રમાં હજુ ઘણા એવા જિલ્લા છે જ્યાં નિયમો હળવા કરાયા છે અને ત્યાં કેસો વધવા લાગ્યાં છે. શહેર કરતા ગામડાઓમાં આવી સ્થિતિ વધારે જોવા મળી છે.
સીએમ ઠાકરેએ જણાવ્યું કે રાજ્યમાં વધુ 15 દિવસ લોકડાઉન લંબાવવામાં આવે છે જે 15 જુન સુધી અમલી રહેશે. જિલ્લાના કેસો પ્રમાણે કેટલીક છૂટછાટો આપવામાં આવશે. તેમણે કહ્યું કે કુદરતી હોનારત વખતે જરુરી રાહત સામગ્રીના મુદ્દે મેં તાજેતરમાં પ્રધાનમંત્રી સાથે વાત કરી છે. મને આશા છે કે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં અમને મદદ પૂરી પાડશે.
45 દિવસમાં પહેલીવાર 24 કલાકમાં સૌથી ઓછા કેસ નોંધાયા
ભારતમાં કોરોનાની બીજી લહેર હવે નબળી પડતી જોવા મળી રહી છે. રોજના આવનારા કેસમાં ઘટાડો જારી છે અને ગત 24 કલાકની અંદર દેશમાં કોરોના વાયરસના 1.73 લાખ નવા મામલા નોંધવામાં આવ્યા છે. ગત 45 દિવસોમાં પહેલી વાર છે જ્યારે કોરોનાની આટલા મામલા નોંધાયા છે. જો કે મોતના આંકડા હજું પણ 3500ને પાર છે. એક દિવસમાં દેશમાં 3617 લોકોના જીવ ગયા છે.
સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જારી કરવામાં આવેલા આંકડા મુજબ ગત 24 કલાકની અંદર કોરોનાના એક્ટિવ કેસોમાં 1 લાખ 14 હજાર 428નો ઘટાડો નોંધાયો છે. હવે દેશમાં કોરોના વાયરસના 22લાખ 28 હજાર 724 એક્ટિવ કેસ છે. ત્યારે દેશમાં કોરોનાના હાલ કુલ 3,22, 512 દર્દીએ જીવ ગુમાવી ચૂક્યા છે. આ સમયમાં કોરોનાના 2 લાખ 84 હજાર 601 દર્દી સાજા થઈ ચૂક્યા છે. અત્યાર સુધી દેશમાં 2 કરોડ 51 લાખ, 78 હજારથી વધારે કોરોનાના દર્દી સાજા થઈ ચૂક્યા છે.
સાજા થનારા દર્દીનો દર 90.80 ટકા પર પહોંચી ગયો
દેશમાં કોરોનાના સાજા થનારા દર્દીનો દર 90.80 ટકા પર પહોંચી ગયો છે. ત્યારે અઠવાડિયાનો સંક્રમણ દર 9.84 ટકા પર છે. દૈનિક સંક્રમણ દર શુક્રવારે 8.36 ટકા રહ્યો. આ સતત 5મો દિવસ છે કે જ્યારે દૈનિક સંક્રમણ દર 10 ટકાથી નીચે રહ્યો છે.