લોકડાઉન વચ્ચે ગ્રાહકો માટે લોન લેવી સસ્તી થઈ ગઈ છે. દેશની મોટાભાગની ખાનગી અથવા જાહેર બેંકો લોન પરના વ્યાજ દરમાં સતત ઘટાડો કરી રહી છે. આ અંતર્ગત બે સરકારી બેંકોએ ગ્રાહકોને રાહત આપી છે. ચાલો જાણીએ આ કઈ બેંકો છે.
IOBએ એક વર્ષની લોન માટેના વ્યાજ દરને ઘટાડીને 8.15 ટકા કર્યા
BOMએ એક વર્ષના લોનના વ્યાજદર 7.90 ટકા કરી દીધા છે
આરબીઆઈએ રેપો રેટમાં 0.75 ટકાનો ઘટાડો કર્યો છે.
આ બે સરકારી બેંકો છે - ઇન્ડિયન ઓવરસીઝ બેંક (IOB) અને બેંક ઓફ મહારાષ્ટ્ર (BOM). આ બંને બેંકોએ તેમના ભંડોળના સીમાંત ખર્ચ આધારિત વ્યાજ દર (MCLR) માં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. IOBએ એક વર્ષની અવધીના લોન માટેના વ્યાજ દરમાં 0.10 ટકાનો ઘટાડો કરી 8.15 ટકા કર્યો છે. એક વર્ષના સમયગાળાના MCLR દર જ પર્સનલ, કાર અને હોમ લોન જેવી લોન માટે મુખ્ય આધાર છે.
આ સાથે બેંકે કહ્યું છે કે ત્રણ મહિનાના સમયગાળા માટેનો વ્યાજ દર વર્તમાન 8.10 ટકાથી ઘટાડીને 8.05 ટકા કરવામાં આવશે અને છ મહિનાના સમયગાળા માટે વ્યાજ દર વર્તમાન 8.15 થી ઘટાડીને 8.10 ટકા કરવામાં આવશે. તે જ સમયે તે બે વર્ષના ગાળા માટે 8.30 ટકાથી ઘટાડીને 8.20 ટકા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે બેંકનો ઘટાડેલો દર 10 મેથી લાગુ થશે.
આ જ રીતે પુણે સ્થિત બેંક ઓફ મહારાષ્ટ્રએ એક વર્ષ માટે MCLR આધારિત વ્યાજ દરને 0.10 ટકાથી ઘટાડીને 7.90 ટકા કર્યો છે. બેંક ઓફ મહારાષ્ટ્રના જણાવ્યા મુજબ, એક દિવસથી છ મહિના સુધીની લોન પર MCLRનો દર 7.40 થી 7.70 ટકા રહેશે. આ દરમિયાન સાર્વજનિક ક્ષેત્રની બીજી બેંક કેનરા બેંકે તેના MCLR દરને યથાવત રાખ્યા છે. બેંકનો એક વર્ષનો MCLR દર 7.85 ટકા છે.
MCLR એટલે શું?
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા એક પદ્ધતિ નક્કી કરવામાં આવી છે. આ હેઠળ કમર્શિયલ બેંકો લોનનો વ્યાજ દર નક્કી કરે છે. આ દર આરબીઆઈના રેપો રેટથી પ્રભાવિત છે. જો આરબીઆઈ રેપો રેટ ઘટાડે છે, તો બેન્કો પર MCLR ઘટાડવાનું દબાણ વધે છે. ખરેખર આરબીઆઈ રેપો રેટના આધારે બેંકોને ભંડોળ આપે છે. તેનો હેતુ બજારમાં રોકડનો પ્રવાહ વધારવાનો છે. તાજેતરમાં આરબીઆઈએ રેપો રેટમાં 0.75 ટકાનો ઘટાડો કર્યો છે. આ કાપ લોકડાઉનને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે.