ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર ચાલી રહી છે ત્યારે ઈલાહાબાદ હાઇકોર્ટે ઉત્તરપ્રદેશ સરકારને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.
2-3 સપ્તાહ લોકડાઉન પર વિચાર કરે સરકાર : હાઇકોર્ટ
એક વર્ષથી સંક્રમણ, કોઈ સુવિધા વધી નથી : હાઇકોર્ટ
રસ્તા પર કોઈ માસ્ક વગર દેખાયું તો પોલીસ સામે જ કાર્યવાહી : હાઇકોર્ટ
ઈલાહાબાદ હાઇકોર્ટે યુપી સરકારને તતડાવી
કોરોના વાયરસના કારણે દેશભરના જુદા જુદા રાજ્યોમાં અનેક પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યા છે ત્યારે ઉત્તર પ્રદેશમાં વધતાં કોરોના વાયરસને જોતાં ઈલાહાબાદ હાઇકોર્ટે રાજ્યની યોગી સરકારને લોકડાઉન પર વિચાર કરવા માટે નિર્દેશ આપ્યા છે. કોર્ટે કહ્યું કે રાજ્યની સરકાર કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને પ્રભાવિત શહેરોમાં 2થી 3 અઠવાડિયાનું પૂર્ણ લોકડાઉન લગાવવા પર વિચાર કરે. સાથે જ હાઇકોર્ટે સરકારને ટ્રેકિંગ, ટેસ્ટિંગ અને ટ્રીટમેન્ટની યોજના પર તેજી લાવવા તથા મેદાનોમાં કોવિડ કેર ઊભા કરવા માટે નિર્દેશ આપ્યા છે. અદાલતે કહ્યું કે કે જરૂર પડે તો સરકાર વધુ સ્ટાફની તૈનાતી કરી શકે છે. નોંધનીય છે એ આ મુદ્દે હાઇકોર્ટે 19 એપ્રિલના રોજ એફિડેવિટ માંગ્યું છે.
માસ્ક વગર કોઈ દેખાયું તો પોલીસ પર એક્શન લઈશું : હાઇકોર્ટ
હાઇકોર્ટની બેન્ચ દ્વારા સુનાવણીમાં કોર્ટે કહ્યું કે કોઈ પણ વ્યક્તિ માસ્ક વગર દેખાવું ન જોઈએ નહીં તો કોર્ટ પોલીસ સામે કાર્યવાહી કરશે. સરકાર વ્યવસ્થા કરે કે સામાજિક અને ધાર્મિક આયોજનોમાં 50થી વધારે લોકો સામેલ ન થાય.
માણસ હશે તો અર્થતંત્ર ફરી બેઠું થઈ જશે : હાઇકોર્ટ
કોર્ટે પોતાના નિર્દેશમાં કહ્યું કે વિકાસ તો લોકો માટે છે, જો માણસ જ નહીં રહે તો વિકાસનો શું અર્થ? સંક્રમણ ફેલાયું ને એક વર્ષ થઈ ગયું છે પણ સારવાર માટે કોઈ સુવિધા વધારી શકાઈ નથી. જીવન રહેશે તો અર્થવ્યવસ્થા ફરી સારી થઈ જશે. નોંધનીય છે કે હાઇકોર્ટે 19 એપ્રિલે પ્રયાગરાજના ડીએમ અને રાજ્યના CMOને કોર્ટમાં હાજર રહેવાના આદેશ આપ્યા છે.