PM મોદીની તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક બાદ લગભગ એ નક્કી છે કે કોરોના વાયરસને રોકવા માટે દેશમાં જારી લૉકડાઉનને હાલ દૂર કરવામાં આવશે નહીં. રાજ્યોની સરકારોએ પણ કેન્દ્ર સરકારને લૉકડાઉન વધારાવા જણાવ્યું હતું. આ મામલે આજે મહારાષ્ટ્ર, પ.બંગાળ અને કર્ણાટક બાદ તેલંગાણાએ પણ લૉકડાઉન વધારવાની જાહેરાત કરી છે.
તેલંગાણાએ પણ લૉકડાઉન વધારવાની જાહેરાત કરી
દેશમાં આજે 4 રાજ્યોએ લૉકડાઉન આગળ વધારવાની જાહેરાત કરી છે
દેશમાં કોરોના વાયરસ સંક્રમણના કેસમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે દેશના કેટલાક રાજ્યોએ કોરોના સંકટને લઇને લૉકડાઉનની સમયમર્યાદા વધારી દીધી છે. તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવે પણ રાજ્યમાં જારી લૉકડાઉન 30 એ્પ્રિલ સુધી આગળ વધાર્યું છે. આ પહેલા પણ તેલંગાણાના મુખ્યમંત્રીએ કોરોના વાયરસના સંકટને લઇને પીએમ મોદીને લૉકડાઉન આગળ વધારવાની વાત કહી હતી.
Lockdown in Telangana to be extended till April 30: Telangana CM K Chandrasekhar Rao pic.twitter.com/EQKbz8V9VK
દેશમાં અત્યાર સુધીમાં કુલ 6 રાજ્યો લૉકડાઉન વધારવાની જાહેરાત કરી ચૂક્યા છે. દેશમાં સૌ પ્રથમ ઓરિસ્સાએ લૉકડાઉન વધારવાનું એલાન કર્યું હતું. ત્યારબાદ પંજાબ, મહારાષ્ટ્ર, પ.બંગાળ, કર્ણાટક બાદ હવે તેલંગાણાએ કોરોના મહામારીને પગલે લૉકડાઉન વધારવાની જાહેરાત કરી છે.
કર્ણાટકમાં બે સપ્તાહ સુધી લંબાવાયું લૉકડાઉન
મુખ્યમંત્રી બીએસ યેદિયૂરપ્પાએ કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે રાજ્યમાં જારી લૉકડાઉનને 30 એપ્રિલ સુધી વધારવાની જાહેરાત કરી છે. કર્ણાટકના મુખ્યમંત્રીએ કહ્યું કે પીએમ મોદીએ કહ્યું કે આવનારા બે-ત્રણ સપ્તાહ નાજુક રહેશે. તેઓએ કહ્યું કે આ દરમિયાન જાણી શકાશે કે આપણાને સફળતા મળી છે કે નહીં. જો સ્થિતિ વધારે ખરાબ થાય છે તો આપણે ગંભીર સ્થિતિનો સામનો કરવો પડશે.
પ.બંગાળમાં લૉકડાઉન 30 એપ્રિલ સુધી વધારાયું
મહારાષ્ટ્ર બાદ આજે પ.બંગાળમાં પણ લૉકડાઉન 30 એપ્રિલ સુધી વધારવાનું એલાન કર્યું છે. રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પીએમ મોદી સાથે બેઠક બાદ તેની જાહેરાત કરી છે. તેઓએ કહ્યું કે રાજ્યમાં લૉકડાઉન 30 એપ્રિલ સુધી જારી રહેશે અને તમામ શૈક્ષણિક સંસ્થાન 10 જૂન સુધી બંધ રહેશે. આ ઉપરાંત પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ લોકોને ધાર્મિક પરંપરા ઘરોમાં જ કરવાની અપીલ કરી છે.
મહારાષ્ટ્રમાં પણ 30 એપ્રિલ સુધી લૉકડાઉન યથાવત રહેશે
મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમણના વધી રહેલા કેસને પગલે લૉકડાઉન વધાર્યું છે. મહારાષ્ટ્ર સરકારે લૉકડાઉન 30 એપ્રિલ સુધી આગળ વધારવાનું જાહેર કર્યું છે. રાજ્ય વાર કોરોના વાયરસની સ્થિતિ જોઇએ તો મહારાષ્ટ્રમાં સૌથી વધારે કોરોનાના કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં શનિવારે નવા 92 કેસ નોંધાયા છે.
સમગ્ર દેશમાં કોરોના વાયરસની મહામારીને પહોંચી વળવા માટે 21 દિવસના લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી. જે સમયગાળો આગામી થોડા દિવસોમાં પૂર્ણ થતો હોવાથી પ્રધાનમંત્રી મોદીએ દેશના વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક યોજીના સમગાળાને વધારવા અંગેની ચર્ચા કરી હતી. જેમાં મોટા ભાગના રાજ્યોએ લોકડાઉનની સમયમર્યાદા વધારવા સહમત થયાં હતા.
દેશમાં સૌપ્રથમ ઓરિસ્સાએ વધાર્યું હતું લૉકડાઉન
ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયકે લૉકડાઉન સમયમર્યાદાને 30 એપ્રિલ સુધી વધાર્યું હતું. કોરોના સંક્રમણની ગંભીર સ્થિતિ જોતા સીએમ નવીન પટનાયકની અધ્યક્ષતામાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રાજ્યની કેબિનેટ બેઠક યોજાઇ હતી. આ કેબિનેટ બેઠકમાં પ્રદેશમાં લૉકડાઉનની મર્યાદા 30 એપ્રિલ સુધી વધારાવા સાથે કેન્દ્ર સરકારને લૉકડાઉન મર્યાદા 30 એપ્રિલ સુધી વધારવાની અપીલ કરાઇ હતી.
પંજાબ સરકારે પણ લૉકડાઉન સમયમર્યાદા વધારી
પંજાબ સરકારે પણ ઓરિસ્સા બાદ કોરોના મહામારીને પગલે લૉકડાઉનની મર્યાદા વધારીને 30 એપ્રિલ સુધી કર્યું હતું. આમ તે દેશનું બીજી રાજ્ય હતું જેણે લૉકડાઉન લંબાવ્યું હતું. મુખ્યમંત્રી અમરિન્દર સિંહની આગેવાનીમાં મંત્રીમંડળે પંજાબમાં લૉકડાઉન આગળ વધારવાને મંજૂરી આપી હતી.