છત્તીસગઢના બિલાસપુરમાં 14 એપ્રિલ જ્યારે સરગુજા અને સૂરજપુરમાં 13 એપ્રિલથી લોકડાઉન કરવાનું એલાન કરવામાં આવ્યું છે.
છત્તીસગઢમાં વધુ 3 જિલ્લામાં લોકડાઉન
અત્યાર સુધી 7 જિલ્લામાં થયું લોકડાઉન
છત્તીસગઢમાં સ્થિતિ બની છે વિકટ
રાજ્યના વધુ 3 જિલ્લામાં લોકડાઉનની જાહેરાત
છત્તીસગઢમાં વકરેલા કોરોનાને કારણે વધુ 3 જિલ્લામાં સંપૂર્ણ લોકડાઉન કરવાનો નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. રાજ્યના બિલાસપુરમાં 14 એપ્રિલ જ્યારે સરગુજા અને સૂરજપુરમાં 13 એપ્રિલથી લોકડાઉન કરવામાં આવશે.
સરકારે પહેલા જ 4 જિલ્લામાં લગાવી દીધું છે લોકડાઉન
છત્તીસગઢમાં સતત કોરોના વાયરસન કેસ વધી રહ્યા છે ત્યારે લોકડાઉનમાં માત્ર ઈમરજન્સી સેવાઓને જ છૂટ આપવામાં આવી છે અને લોકોને બહાર નીકળવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે.
દેશમાં કોરોનાની બીજી લહેર સાબિત થઈ રહી છે ખતરનાક
નોંધનીય છે કે સરકારે પહેલા જ 4 જિલ્લામાં લોકડાઉન લગાવી દીધું છે અને નવા ત્રણ જિલ્લામાં લોકડાઉન લગાવાતા હવે રાજ્યના 7 જિલ્લામાં લોકડાઉન થઈ ગયું છે. એકલા છત્તીસગઢમાં 4 હજાર 654 લોકોના કોરોના વાયરસના કારણે મોત થઈ ગયા છે જ્યારે 68 હજાર 125થી વધારે એક્ટિવ કેસ છે.
ભારતમાં કોરોનાની બીજી લહેરનો કહેર
કોરોના વાયરસના કારણે દેશમાં પરિસ્થિતિ દિવસેને દિવસે ખરાબ થઈ રહી છે અને દરરોજ કેસની સંખ્યામાં ઉછાળો જોવા મળી રહ્યો છે. મહારાષ્ટ્રમાં કડક લોકડાઉનના ભણકારા થઈ રહ્યા છે ત્યારે દિલ્હીમાં પણ કડક નાઈટ કર્ફ્યૂ કરી દેવામાં આવી છે. યુપીના પણ કેટલાય જિલ્લાઓમાં નાઈટ કર્ફ્યૂ છે તથા 24 કલાકમાં ભારતમાં દોઢ લાખ કેસ સામે આવ્યા છે. ભારતમાં કોરોના વાયરસની પહેલી લહેર ચાલી રહી હતી ત્યારે તેની પિક કરતાં પણ વધારે કેસ અત્યારે સામે આવી રહ્યા છે અને કોરોના વાયરસની ચેનને તોડવા માટે રાજ્યોએ કડકાઇ દાખવી પડી રહી છે.
કોરોના વાયરસ કેસ અપડેટ
ભારતમાં આજે કોરોના વાયરસના નવા 1,52,879 કેસ સામે આવ્યા છે જે અત્યાર સુધીનો સૌથી મોટો રેકોર્ડ છે. કુલ કેસની સંખ્યા વધીને 1,33,58,805 થઈ ગઈ છે જ્યારે અત્યારે એક્ટિવ કેસની સંખ્યા પણ પહેલી વાર 11 લાખને પાર થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કારણે 839 કેસ સામે આવ્યા છે.
મહારાષ્ટ્રમાં પરિસ્થિતિ બદતર
કોરોના વાયરસથી સૌથી વધારે પ્રભાવિત રાજ્ય મહારાષ્ટ્ર છે જ્યાં સૌથી વધારે કેસ સામે આવી રહ્યા છે અને પરિસ્થિતિ ભયંકર થઈ રહી છે ત્યારે સીએમ ઠાકરેએ પણ કહી દીધું છે કે હવે સંપૂર્ણ લોકડાઉન સિવાય કોઈ રસ્તો બચ્યો નથી. રાજ્યમાં માનવામાં આવી રહ્યું છે કે એક અથવા બે સપ્તાહનું લોકડાઉન કરવામાં આવી શકે છે. શનિવારે મહારાષ્ટ્રમાં 55,441 કેસ સામે આવ્યા છે.