મહારાષ્ટ્રમાં કોરોના સંકટ સતત વધી રહ્યું છે જે બાદ અકોલામાં પણ લોકડાઉન લગાવી દેવામાં આવ્યું છે આ સિવાય પૂણેમાં નાઈટ કર્ફ્યૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કેસમાં વધારો
પૂણેમાં નાઈટ કર્ફ્યૂ લાગ્યું
નાગપુર બાદ અકોલામાં પણ લોકડાઉન
અકોલામાં લોકડાઉન
મહરાષ્ટ્રમાં કોરોના વાયરસનું સંકટ તેજીથી વધી રહ્યું છે. નાગપુર બાદ અકોલામાં પણ લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો છે. અકોલામાં શુક્રવારે સાંજે 8 વાગ્યાથી સોમવારે સવારે 8 વાગ્યા સુધી લોકડાઉનનો નિર્ણય લેવાયો છે.
પૂણેમાં નાઈટ કર્ફ્યૂ
નાગપુર અને અકોલા સિવાય પૂણેમાં નાઈટ કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યું છે. પૂણેમાં 11 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યૂ લગાવી દેવામાં આવશે. આટલું જ નહીં 31મી માર્ચ સુધી શાળા અને કૉલેજને બંધ કરી દેવાના આદેશ આપવામાં આવ્યા છે. શહેરમાં રાત્રે 10 વાગે જ હોટેલને બંધ કરાવી દેવામાં આવશે અને આ જ નિયમ મોલ અને થિયેટરમાં પણ લાગુ કરવામાં આવશે.
કોરોનાનો ફૂંફાડો
નોંધનીય છે કે ભારતમાં કોરોના વાયરસનું સંકટ ફરી વધી રહ્યું છે. કોરોના વાયરસના વધતાં કેસને જોતાં લોકોના મનમાં ભય પેસી રહ્યો છે ત્યારે ભારતમાં છેલ્લા 24 કલાકમાં 23 હજારથી પણ વધારે કેસ સામે આવ્યા છે જે છેલ્લા ઘણા દિવસમાં સૌથી મોટો આંકડો છે.
ગુજરાત સહિતના રાજ્યોમાં ટેન્શન વધ્યું
ભારત સરકાર અનુસાર દેશમાં મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, કર્ણાટક, ગુજરાત અને તમિલનાડુ એવા રાજ્યો છે જ્યાં કોરોના વાયરસના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. ભારતમાં હાલમાં જેટલા એક્ટિવ કેસ છે તેના 71.69 ટકા કેસ માત્ર કેરળ અને મહારાષ્ટ્રના જ છે.
કેન્દ્ર પણ ચિંતિત
દેશના આ રાજ્યો પર કેન્દ્ર સરકાર પણ ખાસ નજર રાખી રહી છે ત્યારે દેશમાં આશરે 2 લાખ જેટલા એક્ટિવ કેસ છે જેના લીધે ટેન્શનમાં વધારો થયો છે.