સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસનો કહેર યથાવત્ જોવા મળી રહ્યો છે. જેને લઈને દેશભરમાં 21 દિવસનું લોકડાઉન કરવામાં આવ્યું છે. લોકડાઉનનું ચુસ્તપણે પાલન થાય તે માટે પોલીસ 24 કલાક પોતાની ફરજ અદા કરી રહી છે. પરંતુ હજુ પણ લોકોમાં લોકડાઉનની ગંભીરતા જોવા મળતી નથી. કામ વગર બહાર ફરતા જોવા મળે છે. ત્યારે રાજ્યના DGP શિવાનંદ ઝાએ આ અંગે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.
લૉકડાઉનનું અમલીકરણ જરૂરી
પોલીસને સહકાર આપો
લૉકડાઉન લક્ષ્મણ રેખા છે !
રાજ્યમાં કોરોના કેસ વધ્યા છે. ત્યારે તંત્રની ચિંતા પણ વધી છે. બીજી તરફ ખોટી રીતે બહાર નીકળતા લોકો તંત્રની ચિંતામાં વધારો કરી રહ્યા છે. લોકડાઉનનો ભંગ કરતા લોકોને રાજ્યના DGP શિવાનંદ ઝાએ વધુ એકવાર ઘરમાં રહેવાની અપીલ કરી હતી. સાથે જ ચેતવણી પણ આપી હતી કે જે લોકો કારણ વગર બહાર નીકળશે તેમના વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.
DGPએ શું કહ્યું ?
કાયદા અને વ્યવસ્થા મુદ્દે DGPની પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, રાજ્યમાં નવા કેસ લોકલ સંક્રમણથી વધી રહ્યા છે. આ સ્થિતિમાં લોકડાઉનનું કડક અમલ કરાવવું જોઈશે. ચાર મનપાના કડક અમલ માટે સૂચના આપી છે. લોકોને અપીલ છે પોલીસને સહયોગ આપો. લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવા માટે અપીલ કરી છે. પાલિકા વિસ્તારમાં મંજૂરી વિના વાહનો પર પ્રતિબંધ મૂકાયો છે. કારણ વિના લોકો બહાર નીકળશે તો કાર્યવાહી થશે. ગ્રામ્ય વિસ્તારમાં સંક્રમણ ન ફેલાય તે માટે સૂચના આપી છે. ગામડાઓમાં લોકડાઉનના કડક અમલ માટે સરપંચોને સૂચના આપી છે. પોલીસ પણ ગામડાઓમાં પેટ્રોલિંગ કરી રહી છે.
અમદાવાદ મનપા કમિશનરનું નિવેદન
અમદાવાદમાં સતત કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યા છે. આજે અમદાવાદમાં 11 નવા કેસ નોંધાયા છે. જેમાંથી 10 જેટલા લોકોનું તબલીગી જમાત સાથે સંકળાયેલા હોવાનું સામે આવ્યું છે. ત્યારે તંત્ર દ્વારા અમદાવાદના તમામ જમાતીઓને હાલ કોરોન્ટાઈન કર્યા છે. લોકડાઉન મામલે AMC કમિશનર વિજય નેહરાએ પ્રતિક્રિયા આપી છે કે, અમદાવાદના જે વિસ્તારમાં લોકડાઉનનું ચૂસ્ત પાલન થયુ નથી, તે વિસ્તારમાં કોરોનાના કેસમાં વધારો થયો છે. જે વિસ્તારમાં લોકડાઉનનું પાલન થયુ તે વિસ્તારમાં કોરાનાના દર્દીઓની સંખ્યામાં વધારો થયો નથી.