મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસના વધી રહેલા કેસોની વચ્ચે નાગપુરમાં 31 માર્ચ સુધી લોકડાઉન લંબાવી દેવાયું છે.
મંત્રી નીતિન રાઉતે લોકડાઉન વધારવાની કરી જાહેરાત
જીવન જરુરી વસ્તુઓની દુકાનો 4 વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે
નાગપુરમાં તમામ પ્રકારના પ્રતિબંધો 31 માર્ચ સુધી ચાલુ રહેશે
મહારાષ્ટ્રના મંત્રી નીતિન રાઉતે લોકડાઉન વધારવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે ફળ-શાકભાજી સહિત જીવન જરુરીયાતની વસ્તુઓની દુકાનો સાંજના 4 વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે. કોરોનાના કેસો વધી રહ્યાં હોવાને કારણે નાગપુરમાં તમામ પ્રકારના પ્રતિબંધો 31 માર્ચ સુધી ચાલુ રહેશે.
કોવિડ-19 ની ગાઈડલાઈનનો ભંગ કરનાર લોકોની સામે આકરા પગલાં ભરવાનો પોલીસને આદેશ આપી દેવાયો છે. ગાર્ડીયન મંત્રી રાઉતે પરિસ્થિતિનો તાગ મેળવવા જિલ્લાધિકારીઓ સાથે તાકીદને બેઠક કરી હતી.
રેસ્ટોરન્ટ સાંજના 7 સુધી ખુલ્લી રાખી શકાશે
મંત્રીએ જણાવ્યું કે નાગપુરમાં લોકડાઉન દરમિયાન રેસ્ટોરન્ટ સાંજના 7 સુધી ખુલ્લી રાખી શકાશે જ્યારે ઓનલાઈન ફૂડ ડિલિવરીની રાતના 11 સુધી જ મંજૂરી અપાશે. 31 માર્ચ સુધી શાળાઓ અને કોલેજો બંધ રહેશે. જે પરીક્ષાની તારીખ નક્કી કરાઈ છે તે કોવિડ-19 ની ગાઈડલાઈન અનુસાર લેવામાં આવશે. મંત્રીએ કહ્યું કે હોળી-ધૂળેટીના તહેવારોને ધ્યાનમાં રાખીને અલગથી સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રસીજર બહાર પાડવામાં આવશે.
નાગપુરમાં શનિવારે કોરોનાના 3679 નવા કેસો સામે આવ્યાં
નાગપુરમાં શનિવારે કોરોનાના 3679 નવા કેસો સામે આવ્યાં છે તો 1594 લોકો કોરોનાથી સાજા થયા છે જ્યારે 29 લોકોના મોત થયા છે. નાગપુરમાં કોરોનાથી સંક્રમિત લોકોનો આંકડો વધીને 1,89.466 થયો છે અને જિલ્લામાં હજુ 27,625 એક્ટિવ કેસ છે. કોરોનાને કારણે 4592 લોકોના મોત થયા છે.
કોરોનાના કેસો શા માટે વધ્યાં ? સમિતિની રચના કરો- દેવેન્દ્ર ફડણવીસ
બીજી બાજુ ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું કે દેશના બીજા રાજ્યોની તુલનાએ મહારાષ્ટ્રમાં કોરોનાના કેસોમાં વધારા માટે વિશેષજ્ઞોની સમિતિની રચના કરવી જોઈએ. મહારાષ્ટ્ર બીજા રાજ્યોથી અલગ નથી તો પછી અહીં સંક્રમણમાં આટલો મોટો વધારો કેમ થઈ રહ્યો છે.