મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના વધતાં કેસના કારણે ફરીથી લોકડાઉન લગાવી શકાય છે. રાજ્યના ઉપમુખ્યમંત્રીએ આ મુદ્દે ચેતવણી આપી છે.
મહારાષ્ટ્રમાં કોરોના વાયરસ બેકાબૂ
ફરીથી લોકડાઉન લાગે તેવા અણસાર
અજીત પવારે કહ્યું 2 એપ્રિલ સુધી નજર રાખીશું
સરકાર પાસે બીજો કોઈ રસ્તો નથી : પવાર
મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના વધતાં કેસ વચ્ચે ઉપમુખ્યમંત્રી અજીત પવારે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે અમે રાજ્યમાં કોરોના વાયરસની પરિસ્થિતિને મોનીટર કરી રહ્યા છે. 2 એપ્રિલ સુધી નજર રાખવામાં આવશે. જૉ લોકો કોરોના ગાઈડલાઇનનું પાલન નહીં કરે તો સરકાર પાસે લોકડાઉન સિવાય કોઈ જ રસ્તો નહીં બચે.
પરિસ્થિતિ બગડી તો પહેલા જ લાગુ કરી દઇશું લોકડાઉન : પવાર
તેમણે આજે ચેતવણી આપતા કહ્યું કે બધા જ મેડિકલ સ્ટાફ અને અન્ય અધિકારીઓને સલાહ આપવામાં આવે છે કે કોરોના વાયરસના આંકડા વધી જશે તો કડક લોકડાઉન લાગુ કરી દેવામાં આવશે અને તે મુદ્દે શુક્રવારે નિર્ણય લેવામાં આવશે. પરંતુ જૉ પરિસ્થિતિ બગડી તો તે પહેલા પણ લોકડાઉન લાગુ કરી શકાય છે.
નવી ગાઈડલાઇન જાહેર
કોરોના વાયરસના વધતાં કેસ વચ્ચે અજીત પવારે આજે રાજ્યમાં નવી ગાઈડલાઇનનું એલાન કર્યું છે. રાજ્યમાં મોલ, માર્કેટ, સિનેમા હૉલ દરેક જાહેર જગ્યા પર 50 ટકા ક્ષમતા સાથે કામ કરવાના આદેશ આપવાં આવ્યા છે. લગ્નમાં 50 લોકોથી વધારે લોકોને પરવાનગી આપવામાં આવશે નહીં. મહારાષ્ટ્રમાં હોળી પર પણ લોકોને ભીડ ભેગી ન કરવા માટે ચેતવણી આપી દેવામાં આવી છે.
ભારતમાં કોરોનાનો કહેર
દેશમાં કોરોના વાયરસના કારણે ફરીથી બીજી લહેર આવી છે અને માર્ચ મહિનાની શરૂઆતથી જ કોરોના વાયરસની બીજી લહેરનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે કોરોના વાયરસના કેસ દરરોજ ભારતમાં રેકોર્ડ તોડી રહ્યા છે.
ભારતમાં કોરોના વાયરસના કેસમાં સતત ઉછાળો આવી રહ્યો છે. શુક્રવારે જાહેર કરવામાં આવેલા આંકડાઓ અનુસાર એક દિવસમાં 59 હજાર 118 કેસ સામે આવ્યા છે. ઓકટોબર મહિના આટલા કેસ સામે આવતા હતા અને આટલા મહિનાઓ બાદ ફરી ઓકટોબર મહિના જેવો જ કહેર ભારતમાં ફરી જોવા મળી રહ્યો છે. દેશમાં એક દિવસમાં 257 લોકોના મોત થયા છે જ્યારે 32 હજાર 987 લોકોએ કોરોના વાયરસને મ્હાત આપી છે.
કોરોના વાયરસની આ બીજી લહેરમાં ચિંતાનો વિષય છે કે આ વાહતે કોરોનામાં નવા મ્યુટેન્ટ કેસ સામે આવી રહ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે પણ સ્વીકાર્યું છે કે ભારતમાં યુરોપ અને આફ્રિકન દેશોના વેરિયન્ટ આવી ગયા છે.
મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ
હોળીના તહેવાર પહેલા દેશમાં કોરોના વાયરસની રફતાર બેકાબૂ થઈ રહી છે. ભારતની રાજધાની દિલ્હી અને મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. મહારાષ્ટ્રના ઘણા બધા જિલ્લાઓમાં પ્રતિબંધો લગાવી દેવામાં આવ્યા હોવા છતાં કોરોના કેસ વધી રહ્યા છે.
લોકડાઉન લાગ્યું છતાં આ હાલ
દેશમાં કોરોના વાયરસની બીજી લહેર ચાલી રહી છે. કોરોના વાયરસની બીજી લહેર સૌથી વધારે હાહાકાર મહારાષ્ટ્રમાં જોવા મળી રહ્યો છે. મહારાષ્ટ્રમાં પ્રતિદિન કોરોના વાયરસના કેસ એક નવો રેકોર્ડ સર્જી રહ્યા છે. બુદવારે કોરોના વાયરસના 31 હજાર કેસ સામે આવ્યા હતા તો ગુરુવારે કોરોના વાયરસના નવા કેસનો આંકડો તો 35 હજારને પણ પાર થઈ ગયો. ગુરુવારે મહારાષ્ટ્રમાં 35 હજાર 952 કોરોના વાયરસ કેસ સામે આવ્યા છે જ્યારે 111 લોકોના મોત થયા છે.
મુંબઈમાં મહામારીનો કહેર
મહારાષ્ટ્રમાં મુંબઈ શહેરમાં સૌથી વધારે કહેર જોવા મળી રહ્યો છે. મુંબઈમાં એક દિવસમાં 5500ની ઉપર કેસ સામે આવ્યા છે જયારે 14 લોકોના મોત થાય છે. મહારાષ્ટ્રમાં અત્યારે અડધી ડઝન શહેરોમાં લોકડાઉન લાગી ગયું અને એમાં પણ બીડ જેવા શહેરોમાં તો સંપૂર્ણ લોકડાઉન કરવામાં આવ્યું છે.