હાલ દેશમાં લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે દેશની મોટાભાગની બેંકો ગ્રાહકોની સુવિધા માટે કેટલાક પગલાં લઈ રહી છે. ત્યારે હવે આ લિસ્ટમાં HDFC બેંકનું નામ પણ જોડાઈ ગયું છે. આ બેંકે તેના ગ્રાહકોને મોટી રાહત આપી છે. જેમાં સસ્તા વ્યાજદરે લોન અને કેશ ઉપાડવાની સુવિધામાં ફેરફાર કર્યો છે.
લોકડાઉનમાં બેંકો ગ્રાહકોને આપી રહી છે આ સુવિધા
HDFC બેંકે ગ્રાહકોને આ બે ભેટ આપી
એસબીઆઈ દ્વારા 10 દિવસની અંદર બે વાર વ્યાજ દરમાં ઘટાડો કરાયો
તમને જણાવી દઈએ કે, હવે HDFCના ગ્રાહકોને પૈસા ઉપાડવા માટે એટીએમ જવાની જરૂર નથી. ઘરની બહાર જ ગ્રાહકોને આ સુવિધા મળી જશે. HDFC બેંકે દેશભરમાં મોબાઈલ એટીએમની વ્યવસ્થા કરી છે. આ સુવિધા હેઠળ હવે ગ્રાહકો ઘરઆંગણે ઉભેલી વેનમાંથી કેશ ઉપાડી શકશે. જોકે, આ એટીએમ ક્યાં મૂકવામાં આવશે તેનો નિર્ણય સંબંધિત શહેરોની પાલિકાઓ સાથે વાતચીત બાદ લેવામાં આવશે. બેંકે આપેલી માહિતી મુજબ મોબાઇલ એટીએમ ચોક્કસ સ્થળે ચોક્કસ સમય માટે રાખવામાં આવશે. આ સમયગાળા દરમિયાન, મોબાઇલ એટીએમ સવારે 10થી સાંજના 5 દરમિયાન 3-5 સ્થળોએ રહેશે.
લોન સસ્તી થઈ
એચડીએફસી બેંકે લોન પરના વ્યાજમાં 0.20 ટકાનો ઘટાડો કર્યો છે, આ ઘટાડા બાદ, એક દિવસ માટે એટલે કે એમસીએલઆર 7.60 ટકા વ્યાજદર રહેશે અને એક વર્ષના માટે 7.95 ટકા વ્યાજદર હશે. મોટાભાગની લોન એક વર્ષના એમસીએલઆર સાથે જોડાયેલી છે. બેંકની આ પહેલથી ટર્મ લોન લેવી સસ્તી થશે. આ સિવાય પહેલાથી લોન ચલાવતા લોકોની ઇએમઆઈ પણ ઓછી થશે.
ઉલ્લેખનીય છે કે, એચડીએફસી પહેલાં એસબીઆઈ, બેંક ઓફ ઇન્ડિયા, કેનરા બેંક, બેંક ઓફ બરોડા, પીએનબી, યૂનિયન બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ મહારાષ્ટ્રમાં પણ વ્યાજદરમાં ઘટાડો કરવામાં આવ્યો છે. એસબીઆઈ દ્વારા 10 દિવસની અંદર બે વાર વ્યાજ દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે.