ગુજરાતમાં કોરોના વાયરસની મહામારીને લઇને લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. લોકડાઉન વચ્ચે લોકોના ધંધા-રોજગાર બંધ થઇ ગયા છે. જો કે લોકડાઉન વચ્ચે ચોરીની એવી ઘટનાઓ સામે આવી રહી છે જે ચોંકાવનારી છે. અમદાવાદ શહેરની કેટલાંક વિસ્તારોમાંથી સોના-ચાંદીના ઘરેણા કે રૂપિયાની નહીં અને ન તો કોઇ વસ્તુઓની ચોરી થઇ છે. શહેરના કેટલાંક વિસ્તારોમાં તસ્કરોએ માત્રને માત્ર પાન પાર્લર પર હાથ ફેરો કર્યો છે. જેમાંથી રૂપિયાની નહીં પરતું સિગારેટ અને તમાકુની ચોરીની બનાવો સામે આવ્યાં છે.
રાજ્યના અમદાવાદ શહેરમાંથી ચોરીની ઘટનાઓ જે સામી આવી રહી છે તેને લઇને પોલીસ પણ આશ્ચર્યમાં મુકાઇ ગઇ છે. પ્રાપ્ત મળતી વિગત અનુસાર શહેરના ખાનપુર, સોલા, ઘાટલોડિયા વિસ્તારમાં પાન-પાર્લરમાંથી સિગારેટ-તમાકુની ચોરી થઇ હોવાનું સામે આવ્યું છે.
શહેરના ખાનપુરના એક પાનના ગલ્લાના તાળા તૂટ્યાા હોવાનું સામે આવ્યું છે. જેમાથી ચોરોએ દોઢ લાખથી વધુ સિગારેટ-તમાકુની ચોરી કરી છે. આમ કોરોનાના કહેર વચ્ચે લોકડાઉનમાં ચોરી માટે પાન-પાર્લરને ટાર્ગેટ બનાવામાં આવી રહ્યાં છે.
એક અહેવાલ મુજબ અમદાવાદ શહેરમાં છેલ્લા 10 દિવસમાં 4 પાન પાર્લરના તાળા તૂટેલા જોવા મળી રહ્યાં છે. જેમાં સોલા રોડ, ઘાટલોડિયા, ખાનપુર અને સેટેલાઇટમાં ચોરી થયાનું સામે આવ્યું છે. જેમાં બધા પાન-પાર્લરમાંથી સિગારેટ અને તમાકુની ચોરી થઇ છે. આ ચોરી પાછળ ચોરી કરનાર વ્યસની હોવાની શંકા છે.
અમદાવાદ શહેરના ખાનપુર વિસ્તારમાં આવેલા ક્યુ લેન્ડ પાન પાર્લરમાંથી ચોરી થઇ. આમ શહેરમાં લોકડાઉન જાહેર થતાં એકાએક જ બંધ કરાયેલી દુકાનમાં વિવિધ બ્રાન્ડની સિગારેટ તેમજ તમાકુ સહિતની અન્ય ચીજવસ્તુઓ પણ દુકાનમાં હતી.