જૈન વસ્તી ધરાવતા વિસ્તારમાં વિધર્મીને વેચ્યા ફ્લેટ
સ્થાનિકોની અનેકવાર રજૂઆત છતાં કોઇ ધ્યાન આપતુ હોવાનો આરોપ
સુરતમાં જૈન વસ્તી ધરાવતા એપાર્ટમેન્ટમાં વિધર્મીઓને ફ્લેટ વેચતા વિવાદ થયો છે. અન્ય રહીશોએ વાંધો ઉઠાવીને પ્રાંત અધિકારીને રજૂઆત કરી છે. ફ્લેટ ખરીદવા આપેલી પરવાનગીનો હુકમ રદ કરવા માંગ કરી છે. અશાંતધારાનો ભંગ કરીને પરવાનગી આપી હોવાનો આક્ષેપ કર્યો છે.
વિધર્મીને ફ્લેટ વેચાતા વિવાદ
સુરતના ગોપીપુરાની જૈન વસ્તી ધરાવતા એપાર્ટમેન્ટની આ વાત છે. અહીં 3 ફ્લેટ વિધર્મીને વેચતા વિવાદ થયો છે. અનેક વાંધા હોવા છતાં પ્રાંત અધિકારીએ વિધર્મીને ફ્લેટ ખરીદવા મંજૂરી આપી દીધી જેને સ્થગિત કરીને ફેરવિચારણા કરવાની માંગ કરી છે.
'50 જેટલી વાંધા અરજી આપવા છતાં કોઇ સાંભળતુ નથી'
આ અંગે સ્થાનિકોએ વીટીવી ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું કે અશાંતધારા મુજબ નેતાઓ ચાલતા નથી. હિંદુ હિંદુને ફ્લેટ વેચવો જોઇએ. અહીં વિધર્મીઓને ફ્લેટ આપ્યો છે. જૈન દેરાસર છે, અપાસરો છે છતાં પરવાનગી કેમ આપવામાં આવી. તમામનો વિરોધ હોવા છતાં કલેક્ટરે મંજૂરી કેવી રીતે આપી તે અમને ખબર નથી. અહીંના રહેવાસીઓએ 50 જેટલી વાંધા અરજી આપવામાં આવી છે પરંતુ પોલીસ સ્ટેશનમાંથી અરજીઓ ગુમ કરી દેવામાં આવી છે. ઘણા કાર્યક્રમો અને વિરોધ કરવામાં આવ્યા છે. અત્યાર સુધી અમે રજૂઆત કરીને થાક્યા. કોઇ કલેક્ટર સાંભળતા નથી. કલેક્ટર અને પ્રાંત અધિકારીની મિલીભગતે સોસાયટીના લોકોની સંમિતિ લીધા વિના એક દુકાન વિધર્મીને સોંપી દીધી છે. સરકારી અધિકારીઓ એકબીજાને ખો આપી રહ્યા છે. કોઇ સાચો જવાબ આપી રહ્યુ ન હોવાના સ્થાનિકોએ આક્ષેપ કર્યા.
ભૂતપૂર્વ કોર્પોરેટર પર લગાવ્યા આક્ષેપ
તો બીજી તરફ અન્ય એક સ્થાનિકે વિધર્મીઓને ફ્લેટ વેચવા અંગે ભૂતપૂર્વ કોર્પોરેટર અને હિંદુ સંગઠનના અગ્રણીની મધ્યસ્થી હોવાનો આક્ષેપ કર્યો છે. તેઓના કારણે આ પ્રકારની પ્રવૃત્તિ અહીં શરૂ થઇ હોવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો.
આ અંગે કાયદો શું કહે છે?
અશાંતધારાની કમલ 5-3ખ પેટા 4 અને 5માં મિલકત તબદીલ આપતા પહેલા વસ્તી, વિસ્તાર, ધર્મની ઓળખ-મુલ્યો બદલવા ન જોઇએ. ધ્રુવીકરણ ન થાય તે પણ જરૂરી.
શું છે અશાંત ધારો ?
જ્યાં આ કાયદો લાગુ હોય ત્યાં સ્થાવર મિલકત વેચવા અંગે ઘણા નિયમો લાગુ પડે છે
અશાંત ધારો લાગુ હોય તે વિસ્તારમાં મિલકત વેચવી હોય તો કલેક્ટરની મંજૂરી લેવી પડે છે
મિલકત કોને વેચી રહ્યા છો તે અંગેની વિગતો તંત્રને આપવી પડે છે
કલેક્ટર તમામ બાબતે યોગ્ય તપાસ કર્યા બાદ જ મિલકત વેચાણની મંજૂરી આપે છે
અશાંત ધારામાં કલેક્ટરને કેટલીક વિશેષ સત્તાઓ આપવામાં આવી છે
કોઇ મિલકતો ટ્રાન્સફર થઇ હોય તેમાં કલેક્ટર `સુઓમોટો' દાખલ કરી મિલકત પાછી અપાવી શકે
અશાંત ધારો એવા સ્થાન પર લાગુ પડે છે જ્યાં વારંવાર બે કોમ વચ્ચે તણાવ થતો હોય