પૂર્વ અમદાવાદની વાત કરીએ તો બાપુનગર, ઠક્કરબાપાનગર, નિકોલ અને ઇન્ડિયા કોલોની જેવા વોર્ડમાં ભડકો વધ્યો છે.
બાપુનગર, ઠક્કરબાપાનગર, નિકોલ અને ઇન્ડિયા કોલોની વોર્ડના ભાજપમાં ભડકો
ભાજપના 65 ટકા કોર્પોરેટર કપાય તેવી શક્યતા
કેટલાક કોર્પોરેટર સામે સંનિષ્ઠ કાર્યકરોમાં રોષ
આગામી તા. ૬ ફેબ્રુઆરી ઉમેદવારીપત્ર ભરવાની છેલ્લી તારીખ છે. છેલ્લી ચૂંટણીમાં શહેરની કુલ ૧૯૨ બેઠક પૈકી ૧૪૨ બેઠક પર જીત મેળવનાર ભાજપ પાસે ગત ત્રણ ટર્મથી સત્તાનાં સૂત્રો છે, જોકે હવે તો ભાજપ હાઈકમાન્ડે ૧૭૨ બેઠક જીતવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. આ લક્ષ્યાંક મેળવી શકાશે કે કેમ તે તો મતદારો નક્કી કરશે, પરંતુ શિસ્તબદ્ધ ગણાતા પક્ષમાં અંદર ખાનેથી ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે, તેમાં પણ પૂર્વ અમદાવાદની વાત કરીએ તો બાપુનગર, ઠક્કરબાપાનગર, નિકોલ અને ઇન્ડિયા કોલોની જેવા વોર્ડમાં ભડકો વધ્યો છે.
બાપુનગર વોર્ડમાં ચાર કોર્પોરેટરની પેનલમાં ત્રણ કોર્પોરેટર કોંગ્રેસના છે, માત્ર એક બેઠક પર કમળ ખીલ્યું છે, જોકે આ કોર્પોરેટર પાસે મનીપાવર હોઈ તેના જોર પર સ્થાનિક કાર્યકરો સાથે ઉદ્ધતાઈથી વર્તી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. ઉપરાંત એક સ્થાનિક ધારાસભ્યનો તેમના પર હાથ હોઈ બંને વચ્ચેની મિલીભગતથી ભારે કકળાટ જોવા મળ્યો છે.
બીજી તરફ નિકોલમાં ભાજપની પેનલ છે. ચારેય બેઠક પર કમળ ખીલ્યું છે, પરંતુ એક મ્યુનિ. કમિટીનું ચેરમેનપદ ભોગવી ચૂકેલા કોર્પોરેટર વિરુદ્ધ રોષ જોવા મળે છે. તેમની ગણતરી 'સ્કાયલેબ' તરીકે થઈ રહી છે. હાલમાં પણ સંનિષ્ઠ કાર્યકરો સાથેનો ઉપરથી આવેલા આ કોર્પોરેટર વચ્ચે ગજગ્રાહ વધ્યો છે. જ્યારે ઇન્ડિયા કોલોનીમાં વોર્ડ પ્રમુખ અનુભવની દૃષ્ટિએ નવા હોવા છતાં એક ધારાસભ્ય સાથેની નિકટતાથી વોર્ડમાં વટ મારતા ફરે છે. તેઓ પોતે ટિકિટ માટેના પ્રમુખ દાવેદાર બન્યા હોઈ બીજાઓએ શું મંજીરા વગાડવા તેમ કાર્યકરોના મોટા જૂથમાં ચર્ચાઈ રહ્યું છે.
તમે બાયોડેટા આપીને છુટ્ટા, પેનલમાં નામ તમારે નથી ગોઠવવાનું પણ અમારે ગોઠવવાનું છે
બાપુનગર, ઠક્કરબાપાનગર, િનકોલ અને ઇન્ડિયા કોલોનીમાં ભાજપમાં જૂથવાદ પરાકાષ્ઠાએ પહોંચ્યો છે. સ્થાનિક ધારાસભ્યના ઘમંડથી પણ કાર્યકરોના મોટા વર્ગમાં નારાજગી ફેલાઈ છે. એક પૂર્વ ધારાસભ્ય પણ ઉદ્ધત બન્યા હોવાનું કાર્યકરોમાં ચર્ચાઈ રહ્યું છે. યુવા ચહેરાઓમાં ચૂંટણી લડવાનો ઉત્સાહ છે પણ ધારાસભ્યોની તુમાખીથી કેટલીક વખત આપસમાં જીભાજોડી થઈ રહી છે. 'તમે બાયોડેટા આપીને છુટ્ટા, પેનલમાં નામ તમારે નથી ગોઠવવાનું પણ અમારે ગોઠવવાનું છે' જેવા ધારાસભ્યના તોછડાઈભર્યા વર્તનના ઘેરા પ્રત્યાઘાત પક્ષમાં પડ્યા છે.
જોકે સી.આર. પાટીલની જાહેરાતથી પક્ષના યુવા કાર્યકરોમાં નવા ઉત્સાહનો સંચાર થયો છે. ત્રણ ટર્મથી ચૂંટાતા અને ૬૦થી વધુ ઉંમરનાને ટિકિટ નહીં આપવાના પાટીલના નિર્ણયને યુવા કાર્યકરોએ આનંદભેર વધાવી લીધો હોવાનું જાણવા મળ્યું છે. એક અંદાજ મુજબ સી.આર. પાટીલના આ નિર્ણયથી હાલના ૧૪૨ સીટિંગ કોર્પોરેટર પૈકી ૬૫ ટકાને ઘેર બેસવું પડશે. પરિવારવાદ સામે પણ ભાજપ પ્રદેશ પ્રમુખ નારાજ છે. પક્ષમાં પરિવારવાદ નહીં ચલાવી લેવાય તેવી તેમની જાહેરાતથી વર્ષોથી સત્તા સાથે સંકળાયેલાં સ્થાપિત હિતોમાં ખળભળાટ મચી ગયો છે. પક્ષના કોઈ ને કોઈ ટોચના નેતા સાથે જોડાઈને સત્તાના નાના કેન્દ્ર બનેલાં આવાં સ્થાપિત હિતોની સ્વતંત્ર ઓળખ ન હોઈ અપક્ષ તરીકે પણ ચૂંટણી લડી શકે તેમ નથી કે અન્ય પક્ષમાં જોડાઈને પણ જીતવાની ક્ષમતા ધરાવતા નથી.
ભાજપ ૧૦૦ બેઠક પરથી ૯૯ બેઠક પર જીત્યો હતો
ભાજપ પ્રદેશ પ્રમુખે સંગઠનમાં પણ યુવા નેતૃત્વને પ્રાધાન્ય આપ્યા બાદ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ યુવા ચહેરાઓને તક આપવા પર ભાર મૂક્યો હોઈ આ નવતર પ્રયોગ 'નવી દિશા, નવું નેતૃત્વ, નવું લોહી' ચીંધનારો બની રહેશે તેમ મ્યુનિ. વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. આ અભિગમની કેટલાક કેશુભાઈ પટેલની સરકાર વખતે સુરત કોર્પોરેશનમાં અપનાવાયેલી નો-રિપિટ થિયરી સાથે સરખાવી રહ્યા છે. તે સમયે ભાજપ ૧૦૦ બેઠક પરથી ૯૯ બેઠક પર જીત્યો હતો.
...તો અમને પેન્શન આપો!
૬૦ વર્ષથી ઉપરના કાર્યકરને ટિકિટ નહીં આપવાની હોઈ અનેક સિનિયર કાર્યકરો દુઃખી થયા છે. સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા મેસેજમાં તેમણે સી.આર. પાટીલની જાહેરાતને અયોગ્ય ગણાવી છે. કાં તો અમને પેન્શન આપો અથવા તો જે વૃક્ષ વાવ્યાં હોય તેનો છાંયડો ના મળે તો તેને હટાવી દો તેવો બળાપો ઠાલવ્યો છે.