ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે ભાજપ અને કોંગ્રેસ પણ વિપક્ષ તરીકે એડીચોટીનું જોર લગાવી ચૂંટણી જંગ જીતવા માંગે છે પણ BTP અને AIMIMની ટીમનું ગઠબંધન આ વખતે કોંગ્રેસને મળનારા મુસ્લિમ મતો કાપી શકે તેમ છે.
અમદાવાદ મનપાના 15 વોર્ડમાં AIMIM ચૂંટણી લડે તેવી શક્યતા
AIMIMની ટીમે સ્થાનિક મુસ્લિમ અગ્રણીઓ સાથે કરી બેઠક
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AIMIMની એન્ટ્રી થઈ છે. BTP અને AIMIM એક સાથે ચૂંટણી લડશે. AIMIM નેતા ઇમ્તિયાઝ જલીલ અને વારીશ પઠાણ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ગઠબંધન સાથે લડશે.
AIMIM એ ગુજરાતમાં પોતાની સક્રિયતા દર્શાવી
મહાનગરપાલિકાની ચૂંટણીઓમાં કોંગ્રેસને વધારે સમસ્યાનો સામનો કરવો પડી શકે તેમ છે, કારણકે અસુદ્દીન ઓવેશી ની પાર્ટી એ AIMIM એ ગુજરાતમાં પોતાની સક્રિયતા દર્શાવવાની શરૂઆત કરી દીધી છે. અમદાવાદ અને વડોદરામાં ઓવૈસી ની ટીમના સભ્યોએ સ્થાનિક મુસ્લિમ અગ્રણીઓ સાથે બેઠકો કરી હતી. જેમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત સહિત રાજ્યની અન્ય કેટલીક બેઠકો કે જ્યાં મુસ્લિમ મતદાતાઓ પ્રભુત્ત્વ માં છે અને ઓવૈસીની પાર્ટીને સમર્થન મળી શકે તેમ છે તેવી જગ્યાઓ પર ચૂંટણીમાં ઝંપલાવવાનું નક્કી કરાયું છે.
કોંગ્રેસના પરંપરાગત મુસ્લિમ મતદાતાઓમાં ભાગલા પડશે
અમદાવાદ માં સાબિર કાબલીવાલા, શમશાદ પઠાણ સહિતના અગ્રણીઓ મળ્યા હતા. જેમાં મનપા ચૂંટણી માં ઝંપલાવવા અંગે ચર્ચા થઈ. જે મુજબ અમદાવાદ મનપાના 15 વોર્ડ માં AIMIM ઝંપલાવે એવી શક્યતા દર્શાવવામાં આવી. જો આવું થશે તો કોંગ્રેસને ભારે નુકશાન વેઠવું પડી શકે છે. કારણ કે કોંગ્રેસના પરંપરાગત મુસ્લિમ મતદાતાઓ માં ભાગલા પડશે.
ક્યારે યોજાશે ચૂંટણી
રાજ્યમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને ચૂંટણી પંચે તૈયારી આરંભી દીધી છે. રાજ્યની 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત તથા 6 મહાનગર પાલીકા અને 51 નગરપાલિકાની આવનારા સમયમાં ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. ત્યારે 5મી જાન્યુઆરીએ મતદાર યાદીની પ્રાથમિક યાદી પ્રસિદ્ધ કરાશે. અને આખરી મતદાર યાદી જાન્યુઆરીના અંતિમ સપ્તાહમાં પ્રસિદ્ધ કરવામાં આવશે.