સાબરમતી નદીની પેલે પારનો પશ્ચિમ વિસ્તાર ભાજપનો ગઢ રહ્યો છે.
મેયર ગૌતમ શાહ અને મીનાક્ષી પટેલ ચૂંટણી લડવાનાં નથી
રાજકીય હાર-જીતનાં સમીકરણ જળવાઈ રહેવાનાં
તારા-મારા'ની બૂમો ઊઠી રહી છે તેને લઈને 'સારા' દાવેદારો હાંસિયામાં ધકેલાશે
અનેક વર્ષોથી સાબરમતી નદીની પેલે પારનો પશ્ચિમ વિસ્તાર ભાજપનો ગઢ રહ્યો છે. પશ્ચિમ અમદાવાદ તરીકે ઓળખાતા આ વિસ્તારમાં મ્યુનિ. તંત્રના વહીવટી દૃષ્ટિએ પશ્ચિમ ઝોન, ઉત્તર-પશ્ચિમ ઝોન અને દક્ષિણ-પશ્ચિમ ઝોન- એમ ત્રણ ઝોન છે, જે પૈકી ફક્ત મક્તમપુરા વોર્ડ કોંગ્રેસના પંજામાં છે, તો સરખેજમાં પંજાનું આંશિક પ્રભુત્વ છે. તે સિવાયના તમામ વોર્ડ અને જૂની બોપલ-ઘુમા નગરપાલિકા વિસ્તારમાં અત્ર-તત્ર-સર્વત્ર કમળ છવાયું છે. આ ચૂંટણીમાં પણ ભાજપ માટે પશ્ચિમ અમદાવાદ પ્રજામાં એન્ટિઇન્કમબન્સી હોવા છતાં પણ જીતની દૃષ્ટિએ સલામત છે.
તારા-મારા'ની બૂમો ઊઠી રહી છે તેને લઈને 'સારા' દાવેદારો હાંસિયામાં ધકેલાશે
ચૂંટણીરૂપી વૈતરણીને ભાજપ આ વિસ્તારમાં સહેલાઈથી તરી જાય તેમ હોવા છતાં ઉમેદવારોની પસંદગીના મામલે છેવટે ધાર્યું ધણીનું થાય તેમ ચર્ચાઈ રહ્યું છે. આનો બીજો અર્થ એ થાય છે કે ભય, ભૂખ અને ભ્રષ્ટાચારને દૂર કરવાનો દાવો કરનાર તેમજ લાગલગાટ અમદાવાદના રાજસિંહાસન પર છેલ્લાં ૧૫ વર્ષથી બિરાજનાર ભાજપ તરફથી લોકોને સ્વચ્છ અને યુવા પ્રતિભાશાળી ચહેરાની ઉમેદવાર તરીકે ભેટ મળવાની નથી. અત્યારે જે રીતે 'તારા-મારા'ની બૂમો ઊઠી રહી છે તેને લઈને 'સારા' દાવેદારો હાંસિયામાં ધકેલાશે.
રાજકીય હાર-જીતનાં સમીકરણ જળવાઈ રહેવાનાં
પશ્ચિમ અમદાવાદમાં ભાજપનું પ્રભુત્વ કોઈ પણ જાતના વાદ વિવાદ વચ્ચે જળવાઈ રહ્યું છે. ભાજપના પરંપરાગત હરીફ કોંગ્રેસને તો આજે પણ દાવેદારોનાં ફાંફાં પડી રહ્યાં છે. તેનું મુખ્ય કારણ આ સમગ્ર વિસ્તારમાં શાસક ભાજપ સામે પ્રજામાં એક અથવા બીજા પ્રકારનો અસંતોષ હોવા છતાં હરીફ પક્ષ કોંગ્રેસની વોર્ડ સ્તરની લોકલક્ષી સમસ્યામાં દાખવવામાં આવતી નિષ્ક્રિયતા છે. કોંગ્રેસની ઘોર બેદરકારીથી આ વખતે પણ રાજકીય હાર-જીતનાં સમીકરણ જળવાઈ રહેવાનાં છે.
બીજી તરફ ભાજપમાં જેટલું ચળકે તેટલું સોનું નથી, કેમ કે મ્યુનિ. ભાજપમાં અનેક જૂથ છે. શહેર ભાજપ સાથે હજુ હાલમાં ઘર ભેગી થયેલી ચૂંટાયેલી પાંખનું સંકલન નથી. નવા શહેર પ્રમુખ નીમવાની હાઈકમાન્ડને ફરજ પડી રહી છે. ચૂંટણી જાહેર થઈ છે તેમ છતાં આવી સ્થિતિ હોય તે કંઈ પક્ષ માટે રાહત આપનારી બાબત નથી.
રાજ્યના એક નેતાનું કદ ઘટ્યું
મ્યુનિ. ભાજપમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, રાજ્યનાં પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલથી લઈને સુરેન્દ્ર પટેલ, પ્રદીપસિંહ જાડેજા, કૌશિક પટેલ અને આઇ. કે. જાડેજા તરફી જૂથ છે. જે તે સમયે જે તે નેતા તરફી જૂથની ભાજપમાં બોલબાલા જોવા મળી જ છે. એટલે ભાજપ જૂથવાદથી ક્યારેય મુક્ત રહ્યો નથી. હાલના સમયમાં કેન્દ્રના ઉચ્ચ સ્તરના નેતાનું પ્રભુત્વ છવાયું છે અને રાજ્યના એક નેતાનું કદ ઘટ્યું છે એટલે જે તે વોર્ડની પેનલમાં જે નામનો સમાવેશ કરાશે, તેમાં છેલ્લું મતું તો કેન્દ્રના ઉચ્ચ સ્તરના નેતાનું જ લાગશે.
જે બેઠક દલિત ઉમેદવાર માટે અનામત છે તે બેઠક પર ડો. કિરીટ સોલંકીના અભિપ્રાયને મહત્ત્વ અપાશે. અમદાવાદ પશ્ચિમના સંસદ સભ્ય એવા ડો. કિરીટ સોલંકીનું વજન વધ્યું હોવાની પણ ચર્ચા છે.
મેયર ગૌતમ શાહ અને મીનાક્ષી પટેલ ચૂંટણી લડવાનાં નથી
ભાજપ હાઈકમાન્ડ દ્વારા ટિકિટ ફાળવણી વખતે ઘાટલોડિયા વિધાનસભા બેઠકના વોર્ડના કેટલાક કોર્પોરેટરની બાદબાકી કરાય તેવી પણ અટકળો ઊઠી છે. જોકે આરએસએસ સાથે સંકળાયેલા દેવાંગ દાણી જેવા કોર્પોરેટરને સાચવી લેવાશે. પૂર્વ મેયર બીજલ પટેલને ટિકિટ મળવાની શક્યતા દિન પ્રતિદિન ધૂંધળી થતી જાય છે. અન્ય પૂર્વ મેયર અમિત શાહ ટિકિટ મેળવે તેમ લાગે છે. જ્યારે પશ્ચિમ અમદાવાદમાંથી ચૂંટાયેલા અન્ય મેયર ગૌતમ શાહ અને મીનાક્ષી પટેલ ચૂંટણી લડવાનાં નથી.
શહેરના રાજકારણમાં પશ્ચિમ અમદાવાદ હંમેશાં છવાયેલું રહ્યું છે એટલે નવી ટર્મમાં પશ્ચિમ અમદાવાદમાંથી ચૂંટાયેલા કોર્પોરેટરના મ્યુનિ. કોર્પોરેશનમાં ઊંચા હોદ્દા જળવાઈ રહેશે, જેના કારણે પણ કોર્પોરેટર બનવાની ભારે સ્પર્ધામાં સારા ઉમેદવારને બદલે તારા-મારા ઉમેદવારો લોકોને લમણે લખાય તો નવાઈ પામવા જેવું નથી.