2020ના નવા વર્ષમાં જાન્યુઆરીથી જ સરકારી બેન્કો પોતાના ગ્રાહકોને વ્યાજદરમાં ઘટાડાની ફરી એક વાર ભેટ સોગાદ આપી શકે છે. સરકાર અને રિઝર્વ બેન્ક ઇચ્છે છે કે નવા વર્ષમાં બેન્ક લોન સસ્તી કરવામાં આવે. આ માટે રિઝર્વ બેન્ક અને વિવિધ સરકારી બેન્કો સાથે વાતચીત ચાલી રહી છે.
સરકાર અને રિઝર્વ બેન્ક ગ્રાહકોના હિતમાં લેશે નિર્ણય
જાન્યુઆરીમાં સસ્તી થશે લોન
વિવિધ સરકારી બેન્કો સાથે ચાલી રહી છે વાત
સૂત્રોના જણાવ્યા અનુસાર ક્રેડિટ ગ્રોથ વધારવા માટે તેમજ માર્કેટમાં મની ફ્લો વધારવા માટે બેન્કોને એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓ પોતાની બેલેન્સશીટ જોઇને લોન સસ્તી કરે. ડિસેમ્બરમાં આરબીઆઇએ રેપો રેટમાં કોઇ ફેરફાર કર્યો ન હતો, પરંતુ આરબીઆઇના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે આરબીઆઇ રેપો રેટમાં 1.35 ટકાનો કાપ મૂકી ચૂકી છે, જ્યારે તેની સામે બેન્કોએ નવી લોન પર વ્યાજદરમાં માત્ર 0.44 ટકાનો જ ઘટાડો કર્યો છે. આનો અર્થ એ થયો કે જેટલા પ્રમાણમાં રેપો રેટ ઘટ્યો છે એટલા પ્રમાણમાં બેન્કોએ વ્યાજદર ઘટાડીને લોન સસ્તી કરી નથી.
સૂત્રોના જણાવ્યા અનુસાર કંઇ નહીં તો કમસેકમ બેન્કોને હવે 0.10થી 0.15 ટકા સુધી લોન સસ્તી કરવી પડશે. એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર ડિસેમ્બરની મોનેટરી પોલિસી બાદ કેટલીક બેન્કે વ્યાજદર ઘટાડ્યા છે, પરંતુ તે પૂરતા નથી. આથી બેન્કોને એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓ લોન હજુ સસ્તી કરવા વિચારણા કરે અને નવા વર્ષ 2020માં લોનને સસ્તી કરવા માટેની કાર્યવાહીનો અમલ કરે.
સ્મોલ સેવિંગ અને ડિપોઝિટ રેટમાં ઘટાડો થઇ ચૂક્યો છે
સ્મોલ સેવિંગ અને ડિપોઝિટ રેટમાં ઘટાડો થઇ ચૂક્યો છે અને તેથી બેન્કો માટે લોન સસ્તી કરવાનો માર્ગ મોકળો બની ગયો છે. આરબીઆઇએ કેટલીક મોટી સરકારી બેન્કોને જણાવ્યું છે કે હવે તેઓ પોતાની બેલેન્સશીટ જોઇને નવા વર્ષમાં હોમ લોન સહિત અન્ય લોન પર વ્યાજદર ઘટાડીને સસ્તી કરે.