સોમવારે સુપ્રીમ કોર્ટમાં લોન મોરેટોરિયમ દરમિયાન મુલતવી રાખવામાં આવેલા EMI ઉપર ચડેલા વ્યાજથી મુક્તિ અંગે સુનાવણી હાથ ધરવામાં આવી હતી.
સુપ્રીમ કોર્ટ RBIની કોઈ દલીલોથી સંતુષ્ટ નહોતી. મોરેટોરિયમ દરમિયાન લોન પર ચક્રવૃદ્ધિ વ્યાજના મામલામાં કોર્ટે એમ પણ જણાવ્યું છે કે કેન્દ્ર સરકાર દ્વારા દાખલ કરાયેલ એફિડેવિટ અરજદારોએ ઉભા કરેલા ઘણા મુદ્દાઓને ધ્યાન ઉપર લેતી નથી.
આ કેસમાં ઉદ્ભવતા ઘણા મુદ્દાઓ કેન્દ્રના સોગંદનામામાં ઉકેલાયા નથી
સુપ્રીમ કોર્ટે કેન્દ્રની એફિડેવિટ અંગે નારાજગી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે આ કેસમાં ઉદ્ભવતા ઘણા મુદ્દાઓ કેન્દ્રના સોગંદનામામાં ઉકેલાયા નથી. કોર્ટે જણાવ્યું હતું કે RBI અથવા કોઈ અન્ય ઓથોરિટી દ્વારા કોઈ પરિણામી સર્ક્યુલર બહાર પાડવામાં આવ્યો નથી. સુપ્રીમ કોર્ટ દ્વારા કામત સમિતિની ભલામણો પર પણ વિચારણા કરવામાં આવશે. રિપોર્ટ પણ જરૂરિયાતમંદો સુધી પહોંચાડવાની યોજના છે.
સુપ્રીમ કોર્ટે સરકારને એક અઠવાડિયાનો સમય આપ્યો
સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે સરકારને એક અઠવાડિયાનો સમય આપ્યો અને વ્યાજ માફી કેવી રીતે લાગુ કરવી તે સમજાવવા કહ્યું. કોર્ટે કહ્યું કે તમામ એફિડેવિટ 12 ઓક્ટોબર સુધીમાં દાખલ કરવામાં આવે. આગામી સુનાવણી 13 ઓક્ટોબરે થશે. સુપ્રીમ કોર્ટે RBIને આ કેસમાં વ્યાપક જવાબ આપવા માટે એક અઠવાડિયાનો સમય પણ આપ્યો છે.
સુપ્રીમ કોર્ટે બેન્કોને અત્યારે NPA જાહેર ન કરવા જણાવ્યું
સુનાવણી દરમિયાન ન્યાયાધીશ અશોક ભૂષણએ કહ્યું કે સરકારના સોગંદનામામાં ઘણા મુદ્દાઓની ચર્ચા થઈ નથી. નોંધનીય છે કે છેલ્લી સુનાવણી દરમિયાન કોર્ટે કેન્દ્ર સરકારને 1 ઓક્ટોબર સુધીમાં સોગંદનામું આપવા સમય આપ્યો હતો. આ સાથે સુપ્રીમ કોર્ટે બેન્કોને અત્યારે NPA જાહેર ન કરવા જણાવ્યું છે.
જસ્ટિસ અશોક ભૂષણની અધ્યક્ષતામાં સુપ્રીમ કોર્ટની 3 જજોની બેંચે કોવિડ 19 મહામારીને લીધે 6 મહિનાની EMI લંબાવવાની અવધિ દરમિયાન લોન પર વ્યાજ વસૂલવા સંબંધિત અરજીઓની સુનાવણી કરી હતી.