સુરતમાં પ્રથમવાર લીવર ટ્રાન્સપ્લાન્ટ થયું 3 વર્ષથી લીવરની બીમારીથી પીડાતા ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયાને મળી નવી જિંદગી, 9 કલાક ચાલી સર્જરી
સુરતમાં પ્રથમવાર લીવર ટ્રાન્સપ્લાન્ટ કરાયું
જાણીતા ઉદ્યોગપતિમાં કરાયું લીવર ટ્રાન્સપ્લાન્ટ
ગોવિંદભાઈ ધોળકિયાને મળ્યું નવજીવન
રાજ્યમાં સુરત અંગદાન કરવામાં મોખરે છે. ત્યારે સુરતમાં પ્રથમ વાર લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે. સુરતના જાણીતા હીરા ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયાના લીવરનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી કિરણ હોસ્પિટલમાં લીવર ટ્રાન્સપ્લાન્ટનું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. વલસાડના યોગ ટીચર બ્રેઇન ડેડ જાહેર થતા તેમનું લીવર ગોવિંદભાઈ ધોળકિયામાં ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું. આપને જણાવી દઈએ કે, ગોવિંદભાઈ ધોળકિયા છેલ્લા 3 વર્ષથી લીવરની બીમારીથી પીડાતા હતા.
9 કલાક ઓપરેશન ચાલ્યુ
કતારગામની કિરણ હોસ્પિટલમાં આશરે 9 કલાક લાંબુ ઓપરેશન ચાલ્યુ હતું, જેમાં ડોકટરોની ટીમે આકરી મહેનત બાદ સુરતમાં પ્રથમવાર લીવર ટ્રાન્સપ્લાન્ટ કર્યું હતું. હાલ સુધીમાં 2000થી વધુ લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરનાર જાણીતા સર્જન ડો. રવિ મોહન્કાએ આ શસ્ત્રક્રિયા સેકસેસ રીતે કરી હતી. જણાવી દઈએ કે ગોવિંદભાઈ ગુજરાતમાં રામમંદિર નિર્માણ નિધિના અધ્યક્ષ છે અને તેમણે રામમંદિર માટે રૂ. 11 કરોડનું દાન પણ કર્યું છે, જેથી એ પણ કહી શકાય કે દાનના બદલામાં કુદરત તરફથી તેમણે નવજીવન મળ્યું છે.
વલસાડની શિક્ષિકા અકસ્માતનો ભોગ બની હતી, દાન કરેલા અંગોથી ગોવિંદભાઇ ધોળકીયાને લીવર આપવાનું નક્કી કર્યું
વલસાડના યોગ ટીચર રંજનબેન ચાવડા બ્રેઇન ડેડ જાહેર થયા હતા. ગત 30 સપ્ટેમ્બરે ધરમપુર ચોકડી પાસે ભયવાહ અકસ્માતમાં રંજનબેનના માથે મોટી ઈજાઓ થઈ હતી. જે બાદ તમને ગંભીર હાલતમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ખબર પડી હતી કે મગજમાં લોહીનો ગઠ્ઠો, સોજો તથા ફ્રેકચર છે. બાદમાં હજુ બે દિવસ પહેલા જ તેમને બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા. જે બાદ પરિવારે મોટો નિર્ણય કર્યો હતો અને કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કર્યું હતું, અને આ રીતે લિવર ગોવિંદભાઈ ધોળકિયાને આપવાનું નક્કી થતાં આજે સફળ ઓપરેશન દ્વારા એક જિંદગીને નવજીવન અપાયું છે.