દેશમાં વધી રહેલા કોરોના કેસના મુદ્દે આજે ફરીથી વધુ એકવાર પીએમ મોદીએ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં લોકડાઉનને લઈને પણ તેમણે મહત્વનું નિવેદન આપ્યું હતું.
મહામારીના સમયમાં આજે PM મોદીએ 14મી વખત દેશના તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી હતી. PM મોદીએ મુખ્યમંત્રીઓ સાથે વાત કરતા કોરોનાની બીજી લહેરને કેવી રીતે પહોંચી વળીશું તેના વિશે વિચાર-વિમર્શ કર્યુ હતું. તેમણે રાજ્યોમાં શાસન સ્તર પર ફરી એક વખત સુધાર કરવાની મુખ્યમંત્રીઓને સલાહ આપી હતી.
હાલ લૉકડાઉનની જરૂર નથી : PM મોદી
PM મોદીએ મુખ્યમંત્રીઓની બેઠક દરમ્યાન કહ્યું હતું કે હાલની પરિસ્થિતિ જોતા દેશમાં સંપૂર્ણ લૉકડાઉનની જરૂર નથી. નાઈટ કર્ફ્યૂ જ હાલમાં યોગ્ય છે. નાઈટ કર્ફ્યૂને બદલે હવે કોરોના કર્ફ્યૂ શબ્દનો પ્રયોગ આપણે કરીએ.
PM મોદીએ કહ્યું હતું કે આ બીજી લહેર પહેલાં કરતા વધારે ખતરનાક છે. આવામાં વૅક્સિન કરતા ટેસ્ટિંગની વધારે ચર્ચા કરવી પડશે અને તેના પર સૌથી વધુ ફોકસ કરવું પડશે. માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન નક્કી કરો તો તેમાં એક પણ વ્યક્તિ ટેસ્ટિંગ વગરનો ન રહે તેવી સતર્કતા રાજ્યોએ રાખવી પડશે. ટ્રેકિંગ અને ટેસ્ટિંગ જેટલું સફળ બનાવશો તો રાજ્યોને પરિણામો જલ્દીથી સારા મળશે.
માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન પર ધ્યાન આપવું જરુરી
પીએમ મોદીએ કહ્યું કે દુનિયાભરમાં નાઈટ કર્ફ્યુનો સ્વીકાર કરવામા આવ્યો છે. કોરોનાના અટકાવ માટે માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન પર ધ્યાન આપવું જરુરી છે. પીએમે કહ્યું કે આ વખતે આપણી પાસે કોરોનાની સામે લડવાના તમામ ઉપાયો ઉપલબ્ધ છે. હવે તો વેક્સિન પણ છે. તેમ છતાં પણ ઘણા લોકો બેદરકાર બની રહ્યાં છે.
70 ટકા આરટી-પીસીઆર ટેસ્ટનું લક્ષ્ય
વડાપ્રધાને કહ્યું કે આપણું ટાર્ગેટ 70 ટકા સુધી આરટી-પીસીઆર ટેસ્ટનું લક્ષ્ય ચાલુ રાખવાનું છે. કોરોનામાંથી બહાર નીકળવાનો રસ્તો વધારે ટેસ્ટિંગ છે. પોઝિટીવિટી રેટ વધતા ગભરાવાની જરુર નથી. જ્યારે ટેસ્ટ થશે ત્યારે ઉપાય મળી રહેશે.
11થી 14 એપ્રિલ ત્રણ દિવસ ટીકા ઉત્સવ બનાવીએ
PM મોદીએ મુખ્યમંત્રીઓને પૂછ્યું કે શું આપણે 11 એપ્રિલ જ્યોતિબા ફૂલેની જન્મજયંતિ છે અને 14 ડો. આંબેડર જ્યંતિ છે ત્યારે આ ત્રણ દિવસને આપણે રસીકરણ માટે ટીકા ઉત્સવ તરીકે ઉજવીએ. આ ત્રણ દિવસ દરમ્યાન 45થી વધુ ઉંમરની વધુમાં વધુ વ્યક્તિઓને રસી આપીએ. આ દરમ્યાન ઝીરો રસીનો બગાડ થાય તેવું નક્કી કરીએ.
તત્કાળ ઉપાય કરવાની જરુર-અમિત શાહ
બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે કોરોનાના કેસો વધી રહ્યાં છે તેથી તત્કાળ ઉપાય કરવાની જરુર છે. તેમણે કહ્યું કે દેશમાં 9 કરોડ કરતા પણ વધારે લોકોનું રસીકરણ થયું છે. દેશમાં અત્યારે 45 વર્ષથી વધારે વયના લોકોનું ટીકાકરણ ચાલી રહ્યું છે તેને થોડા સમયમા પુરુ કરી લેવામાં આવશે.