જુનાગઢઃ આજથી વનરાજનું વેકેશન શરૂ થશે. આજથી સાસણમાં સિંહ દર્શન બંધ રહેશે. તેમજ સફારી માટેના રૂટ બંધ કરી દેવાશે. 15 જૂનથી 16 ઓક્ટોબર સુધી વનરાજનું વેકેશન રહેશે. જો કે પ્રવાસીઓ માટે દેવળીયા પાર્ક ચાલુ રહેશે.
ઉલ્લેખનિય છે કે ચોમાસાની સીઝન મોટાભાગના વન્યજીવો માટે સંવનનકાળ હોવાથી વન્યજીવોને ખલેલ ન પહોંચે તે માટે સાસણના જંગલમાં ચોમાસાનું ચાર માસનું વેકેશન રાખવામાં આવે છે. આ વેકેશન 16 ઓકટોબરે પુરૂ થશે. ચોમાસાની સિઝન સિંહો દિપડા હરણ સાબર ચીંકારા સહીતનાં મોટા ભાગના વન્યજીવો માટે સંવનન કાળ હોય છે.
તેથી ખલેલ ન પહોંચે તે માટે વનવિભાગ દ્વારા પ્રવાસીઓને સિંહ દર્શન અને સફારી માટે લઈ જતી જીપ્સીના તમામ રૂટો બંધ રાખવામાં આવે છે. વળી ચોમાસાની સીઝન દરમ્યાન જંગલના તમામ રસ્તાઓ કાચા હોવાથી મોટા પ્રમાણમાં ધોવાણ પણ થઈ જાય છે જેથી વાહનો લઈને અવર જવર કરવી શકય નથી.
પ્રવાસીઓને સિંહદર્શન માટે સાસણમાં માત્ર દેવળીયા પાર્ક જ ખુલ્લુ રાખવામાં આવે છે. જો ભારે વરસાદ હોય તો દેવળીયા સફારી પાર્ક પણ બંધ કરી દેવામાં આવે છે.