રાજુલાના એક ગામમાં ખુબ જ ભયંકર ઘટના સામે આવી છે. સિંહણ પોતાના બચ્ચા સાથે આવીને પાંચ વર્ષના બાળકને ફાડી ખાધો હોવાની ઘટના સામે આવી છે. વનવિભાગથી લઈને તમામ લોકો આ ઘટનાને પગલે દોડતા થઈ ગયા છે.
સિંહણે બાળકને ફાડી ખાધુ
બાળક ગૂમ થયા બાદ થઈ હતી શોધખોળ
સિંહણ ઉપર શું થશે કાર્યવાહી
રાજુલા તાલુકાના ઉંચેયા-ભચાદર ગામ વચ્ચે ઝુપડામાંથી 5 વર્ષના બાળકને મોડીરાત્રે સિંહણે બોચીથી પકડી દૂર સુધી ઢસડી ગઇ હતી. ત્યાર બાદ બાળકને ફાડી ખાધું હતું. સિંહણની સાથે સિંહબાળ હોવાનું પણ અનુમાન છે. પરિવારજનોએ સવારે બાળકની શોધખોળ હાથ ધરતા મૃતદેહ મળી આવ્યો હતો. સિંહણે બાળકનો એક પગ કરડી ખાધો હતો અને અડધું માથું જ જોવા મળ્યું હતું. વન વિભાગને જાણ થતા ટીમ દોડી આવી હતી અને બાળકના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડી સિંહણની શોધખોળ હાથ ધરી છે.
સિંહણે બાળકને ફાડી ખાધુ
રાજુલાના ઉંચેયા-ભચાદર ગામની સીમમાં સોમવારે રાતનો આ બનાવ છે. એક સિંહણ તેના સિંહબાળ સાથે આવી પહોંચી હતી. આ સમયે ઝૂંપડામાં રહેલા એક બાળકને સિંહણ મોઢાથી પકડીને દૂર ઢસડી ગઈ હતી. જે બાદમાં સિંહણે બાળકને ફાડી ખાધું હતું.
બાળક ગૂમ થયા બાદ થઈ હતી શોધખોળ
પરિવાર એક ઝૂંપડામાં રહેતો હતો. બાળક ગુમ થયા બાદ પરિવારે તેની શોધખોળ શરૂ કરી હતી. જે બાદમાં વહેલી સવારે ઝૂંપડા નજીકથી બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. સિંહ આવ્યાની જાણ થતાં આસપાસના લોકો જાગી ગયા હતા અને બાળકને બચાવવા પણ દોડ્યાં હતાં. જોકે, લોકો કંઈ કરે તે પહેલા જ સિંહણે બાળકને ફાડી ખાધું હતું. સિંહ બાળકનો એક પગ અને અડધું માથું કરડી ખાધું હોવાનું જાણવા મળ્યું છે.
વનવિભાગના અધિકારીઓ ઘટના સ્થળે
આ બનાવની જાણ વન વિભાગને કરવામાં આવતા વનવિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. જે બાદમાં અધિકારીઓએ બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની કાર્યવાહી શરૂ કરી હતી. નોંધનીય છે કે ગત વર્ષે સિંહે મનુષ્ય પર હુમલો કરીને ફાડી ખાધાના બેથી ત્રણ બનાવો સામે આવ્યા હતા.
સિંહણ ઉપર શું થશે કાર્યવાહી
મનુષ્યને ફાડી ખાવાના કેસમાં વનવિભાગ તરફથી જે તે સિંહને કેદ કરવામાં આવે છે. જે બાદમાં તેના મળનો અભ્યાસ કરીને તેણે મનુષ્યનું માંસ આરોગ્યું છે કે નહીં તેની તપાસ કરાતી હોય છે. એટલું જ નહીં પકડાયેલા સિંહોને અમુક સમય સુધી દેખરેખ હેઠળ રાખવામાં આવતા હોય છે. જે બાદમાં તેને મુક્ત કરવા કે નહીં તેની નિર્ણય લેવાતો હોય છે.