હરિયાણામાં પંચાયતની ચૂંટણી નજીક આવતાં જ દુષ્કર્મના કેસમાં દોષી ગુરમીત રામ રહીમ પેરોલ પર જેલમાંથી બહાર આવ્યો છે. આ દરમિયાન રામ રહીમ ઓનલાઈન સત્સંગ કરી રહ્યો છે. સૌથી આશ્ચર્યની વાત એ છે કે, 18 ઓક્ટોબરે બાગપતમાં યોજાયેલા સત્સંગ કાર્યક્રમમાં ભાજપના મોટા નેતાઓએ હાજરી આપી હતી અને રામ રહીમના આશીર્વાદ લીધા હતા.
દુષ્કર્મના કેસમાં દોષિત ગુરમીત રામ રહીમના 40 દિવસના મંજૂર થયા છે પેરોલ
પેરોલ પર જેલમાંથી બહાર આવી કરી રહ્યો છે 'વર્ચ્યુઅલ સત્સંગ'
બાગપતમાં યોજાયેલા સત્સંગમાં ભાજપના મોટા નેતાઓએ આપી હાજરી
દુષ્કર્મનો દોષી ગુરમીત રામ રહીમ જેલમાંથી પેરોલ પર બહાર આવીને ઓનલાઈન સત્સંગ કરી રહ્યો છે. 18 ઓક્ટોબરના રોજ ગુરમીતે ઉત્તર પ્રદેશના બાગપતથી એક 'વર્ચ્યુઅલ સત્સંગ'નું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં હરિયાણા ભાજપના મોટા નેતાઓએ હાજરી આપી હતી. રામ રહીમના આ ઓનલાઈન કાર્યક્રમમાં પંચાયતની ચૂંટણીના ઉમેદવારો પણ પહોંચ્યા હતા અને રામ રહીમના આશીર્વાદ લીધા હતા. મહત્વનું છે કે, રામ રહીમ પોતાના આશ્રમમાં બે મહિલા શિષ્યો સાથે દુષ્કર્મ કરવા બદલ 20 વર્ષની જેલની સજા ભોગવી રહ્યો છે. ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ રામ રહીમને 2017માં દોષિત ઠેરવવામાં આવ્યો હતો.
ગુપ્તાએ રામ રહીમને 'પિતાજી' કહીને સંબોધ્યા હતા
રામ રહીમ સાથે ઓનલાઈન સંવાદ કરતી વખતે કરનાલના ભાજપના મેયર રેણુ બાલા ગુપ્તાએ રામ રહીમને 'પિતાજી' કહીને સંબોધ્યા હતા. ગુરમીત રામ રહીમના કાર્યક્રમમાં ભાગ લેનારા ભાજપના નેતાઓમાં કરનાલ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર રેણુ બાલા ગુપ્તા, ભાજપના જિલ્લા પ્રમુખ યોગેન્દ્ર રાણા, ડેપ્યુટી મેયર નવીન કુમાર અને સિનિયર ડેપ્યુટી મેયર રાજેશ કુમાર સામેલ છે.
પિતાજી તમારા આશીર્વાદ હંમેશા બન્યા રહેઃ મેયર
મેયર રેણુ બાલા ગુપ્તાએ રામ રહીમ સાથે વાત કરતા કહ્યું, "પિતાજી તમારા આશીર્વાદ હંમેશા બન્યા રહે. તમે જ્યારે કરનાલ આવ્યા હતા ત્યારે તમે સ્વચ્છતાનો જે સંદેશ આપ્યો હતો, તેનાથી કરનાલ આગળ વધ્યું છે. તમે ફરી કરનાલ આવો અને દરેકને તમારા આશીર્વાદ આપો.' આના જવાબમાં રામ રહીમે કહ્યું હતું કે, "તમને બધાને ઘણા આશીર્વાદ. તમે બધા જવાબદાર લોકો આખા દેશને ચમકાવો અને તેને આગળ લઈ જાવ."
હરિયાણામાં યોજાશે પંચાયતની ચૂંટણી
તમને જણાવી દઈએ કે, ડેરા પ્રમુખ રામ રહીમને એવા સમયે પેરોલ આપવામાં આવ્યો છે, જ્યારે હરિયાણામાં થોડા દિવસોમાં પંચાયતની ચૂંટણી યોજાવા જઈ રહી છે. આની સાથે જ કરનાલ હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરની વિધાનસભા બેઠક પણ છે. હરિયાણા સરકારે ગુરમીત રામ રહીમના પેરોલને 'રૂટિન પ્રક્રિયા' ગણાવી છે. જણાવી દઈએ કે હરિયાણાની આદમપુર સીટ પર 3 નવેમ્બરે પેટાચૂંટણી યોજાવાની છે. આ વિસ્તાર હિસાર જિલ્લામાં આવે છે અને અહીં બાબા રામ રહીમનો સારો પ્રભાવ છે.
ચૂંટણી સાથે કોઈ લેવાદેવા નથી
ડેપ્યુટી મેયર નવીન કુમારે કહ્યું કે, 'મને 'સાધ સંગત' વતી સત્સંગ માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. યુપીથી ઓનલાઈન સત્સંગ કરવામાં આવ્યો હતો. મારા વોર્ડમાં ઘણા લોકો બાબા સાથે જોડાયેલા છે. અમે સામાજિક સબંધથી કાર્યક્રમમાં પહોંચ્યા હતા. તેનો આગામી ચૂંટણી અને ભારતીય જનતા પાર્ટી સાથે કોઈ લેવાદેવા નથી.'
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેઓ ચૂંટણી જીતવા માટે રામ રહીમના આશીર્વાદ ઈચ્છે છે? ત્યારે નવીન કુમારે કહ્યું કે, 'ચૂંટણી કોણ જીતે છે તે માત્ર જનતા જ નક્કી કરે છે.'