મહા વાવાઝોડાને લઈને હવામાન વિભાનું મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે.. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, મહા વાવાઝોડું સૌરાષ્ટ્રના દરિયા કિનારે 7 નવેમ્બર ટકરાશે. જેની અસર કાંઠા વિસ્તારમાં દ્વારકાથી લઈને દીવ સુધી જોવા મળશે. જોકે હાલ વાવાઝોડું દરિયામાં નબળું પડી રહ્યું છે. પરંતુ તે ગુજરાતના દરિયા કિનારે તો ટકરાશે જ. જેના કારણે ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. જોકે હાલ વાવાઝોડાને લઈને તંત્રને પણ અલર્ટ કરી દેવામાં આવ્યું છે. સાથે-સાથે સુરક્ષા ટીમોને પણ દરિયા કિનારાના વિસ્તારોમાં તૈનાત કરી દેવામાં આવી છે. સાથે જ લોકોને દરિયાકાંઠા વિસ્તારોથી દૂર રહેવા માટે પણ આદેશ આપી દેવામાં આવ્યા છે.
વાવાઝોડું ટકરાય ત્યારે તમામે ઘરમાં રહેવુંઃ સુરત કલેક્ટર
રાજકોટ જિલ્લામાં તમામ અધિકારીઓ અને કર્મચારીઓની રજા રદ્દ
ગીર સોમનાથ કલેકટરની બેઠકઃ 52 ગામના લોકોનું થશે સ્થળાંતર
ગુજરાત પર 'મહા' વાવાઝોડાનો ખતરો તોળાઇ રહ્યો છે ત્યારે આ માટે વડોદરામાંથી NDRFની ટીમો રવાના થઈ છે. NDRF હેડ ક્વાર્ટર જરોદ ગામેથી ટીમો રવાના કરવામાં આવી છે. જરોદથી 10 ટીમો વિવિધ જગ્યાએ રવાના કરવામાં આવી છે. જેમાં NDRFની 8 ટીમો સૌરાષ્ટ્રમાં, 2 ટીમને દીવ માટે રવાના કરવામાં આવી છે. જ્યારે 4 ટીમ વડોદરામાં જ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. જામનગરમાં 3 ટીમ અને ગીર સોમનાથમાં 2 તથા વેરાવળમાં 2 ટીમ તૈનાત રહેશે. જ્યારે ભાવનગરમાં પણ NDRFની 3 ટીમ તૈનાત રહેશે.
સૌરાષ્ટ્રના સાગર કિનારે મહા વાવઝોડાનો ખતરો તોળાઇ રહ્યો છે. જેની સામે રાજ્ય સરકારે તમામ જિલ્લા વહીવટી તંત્રને આપાતકાલીન સલામતીનું સચોટ આયોજન ઘડી કાઢવા સુચીત કર્યા છે.
ગાંધીનગરમાં મહા વાવાઝોડને લઈને ઉચ્ચસ્તરીય બેઠક યોજાઇ હતી. મુખ્યમંત્રીએ તંત્રની સજ્જતા-સતર્કતાની સર્વગ્રાહી સમીક્ષા કરી. વાવાઝોડાની તીવ્રતા દિન-પ્રતિદિન ઘટી રહી છે. મહેસૂલ સચિવે કહ્યું કે, નાગરિકોને ભયભીત થવાની જરૂર નથી. 15 NDRF ટીમ છે હજુ વધુ 15 ટીમ આવશે. કલાકના 80થી 90 કિ.મી. ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે. 12 હજાર ઉપરાંત બોટ સહિસલામત પરત આવી છે. અમદાવાદ-વડોદરા-આણંદમાં વરસાદની સંભાવના છે. સરકારે આગોતરી તૈયારીથી સંપૂર્ણ કરી છે.
વાવાઝોડું ટકરાય ત્યારે તમામે ઘરમાં રહેવુંઃ સુરત કલેક્ટર
વાવાઝોડાને લઈને સુરતમાં કલેક્ટરની બેઠક યોજાઇ હતી. જેમાં કલેક્ટરે કહ્યું હતું કે, ઇફેક્ટ પુરી ન થાય ત્યાં સુધી માછીમારી બંધ કરવાના આદેશ કરાયા છે. વાવાઝોડું ટકરાય ત્યારે તમામે ઘરમાં રહેવું. દરિયા કિનારેના ગામોમાં શિફ્ટિંગની વ્યવસ્થા કરાશે. મનપાની ટીમ પણ તૈયાર રખાઈ છે. હાલના સંજોગોમાં કોઈ ચિંતાનુ કારણ નથી. રોડ ક્લિયરન્સ માટે પણ તૈયારી રખાઈ છે. મહત્વનું છે કે, સુરતમાં 50થી 60 કિમી ઝડપે પવન ફૂંકવાની શકયતા છે.
જામનગર જિલ્લા પ્રશાસન દ્વારા વાવાઝોડાને લઇને એકશન પ્લાન તૈયાર
જેને લઇને જામનગર જિલ્લા પ્રશાસન દ્વારા વાવાઝોડાને લઇને એકશન પ્લાન તૈયાર કરી દેવામાં આવ્યો છે. આવતીકાલ સાંજ સુધીમાં વાવાઝોડાની અસર સમુદ્ર કિનારે વર્તાશે એવી તંત્રએ આશંકા વ્યક્ત કરી છે. જો કે, વાવાઝોડાની ગતિ 40થી 50 પ્રતિ કલાક રહેવાની ધારણા વ્યક્ત કરાઇ છે. જિલ્લાના 6 નાના-મોટા બંદર પરથી માછીમારી કરવા ગયેલ તમામ બોટ પરત ફરી છે. પરંતુ 11 બોટ હજુ સમુદ્રમાં છે. વાવાઝોડાની પરિસ્થિતિને લઇને આવતીકાલે NDRFની 6 ટીમ જામનગર એરપોર્ટ પર પહોંચશે. જેમાંની 1 ટીમ જામનગર અને અન્ય ટીમ સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાં તૈનાત કરાશે. જિલ્લાના 25 ગામડાઓને લોલાઇનમાં સમાવેશ કરી હાઇ એલર્ટ કરાયા છે. જરૂર પડ્યે આ ગામડાઓમાંથી સ્થળાંતર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. અગરીયાઓને પણ સલામત સ્થળે ખસેડી લેવાયા છે તો બીજી તરફ જિલ્લાની નગરપાલિકાઓ, મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયત તેમજ અન્ય સંબંધીત વિભાગો સાથે વહીવટી તંત્રએ વાવાઝોડાની પરિસ્થિતિને પહોંચી વળવાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
ગીર સોમનાથ કલેકટરની બેઠકઃ 52 ગામના લોકોનું થશે સ્થળાંતર
અરબી સમુદ્રમાં સર્જાયેલું મહા વાવાઝોડું આગામી 6 નવેમ્બરે ગીર સોમનાથના દરિયા કિનારે ત્રાટકવાની શક્યતા છે. મહા વાવાઝોડાનો ખતરો 52 ગામો પર તોળાઈ રહ્યો છે. જેને લઈને ગીર સોમનાથના કલેક્ટરે બેઠક બોલાવી હતી. કલેક્ટરે તમામ વિભાગોને સાવચેત રહેવાની સાથે સાથે એલર્ટ રહેવા તેમજ લોકોને મદદરૂપ થવા આદેશ કર્યા હતા. આ બેઠકમાં સંવેદનશીલ વિસ્તારના લોકોના સ્થળાંતર માટે નિર્ણય કરાયો હતો. પ્રવાસીઓને હાલમાં પ્રવાસ મલતવી રાખવા અપીલ કરાઈ છે. તેમજ પ્રવાસીઓને દરિયા કિનારે ન જવા માટે અપીલ કરવામાં આવી છે.
વાવાઝોડાને લઈને ખંભાતના 15 ગામો અલર્ટ પર
વાવાઝોડાના એંધાણના પગલે ખંભાતના 15 ગામોને પણ અલર્ટ કરી દેવામાં આવ્યા છે. સાથે જ સરપંચથી લઇને તલાટી અને ઉચ્ચ અધિકારીઓને પણ ચોવીસે કલાક સ્થિતિ પર ચાપતી નજર રાખવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે. જરૂર પડે તો લોકોના સ્થળાંતર માટે શેલ્ટર હોમની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી કરીને લોકોને તાત્કાલીક સુરક્ષિત જગ્યા પર ખસેડી શકાય.
હવામાન વિભાગની આગાહી મુજબ મહા વાવાઝોડાએ પોતાની દિશા બદલી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 6 અને 7 નવેમ્બરે વાવાઝોડું દીવના દરિયા કિનારે ત્રાટકે તેવી શક્યતાઓ છે. જેને લઈને દીવ પ્રસાશને હાઈ અલર્ટ જાહેર કર્યું છે. તંત્ર દ્વારા 8 રેસ્ક્યૂ ટીમો તૈનાત કરવામાં આવી છે. તેમજ એક કોલ સેન્ટર પણ ઉભું કરાયું છે. આ ઉપરાંત માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. તેમજ દીવનાં તમામ દરિયાકાંઠા અને તેની પર ચાલતા વોટર સ્પોર્ટ્સ બંધ કરી દેવામાં આવ્યાં છે. તમામ બીચ ખાલી કરાવી દેવાયા છે. આમ, મહા નામના વાવાઝોડાથી ઓછામાં ઓછું નુકસાન થાય તેવા પ્રયાસો હાલ દીવ પ્રસાસન દ્વારા હાથ ધરાયા છે. જો કે બીચ પર ચાલતા વોટર સ્પોર્ટસ બંધ કરાતા રાઈડ ચલાવતા માલિકોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.
દમણનું તંત્ર પણ એલર્ટ મોડ પર
સંઘપ્રદેશ દમણમાં પણ મહા વાવાઝોડાની અસર વર્તાવાની શક્યતા સેવાઈ રહી છે. જેને લઈને દમણ પ્રશાસન દ્વારા લોકોને જરૂરી સૂચના આપવામાં આવી છે. પ્રદેશના તમામ માછીમારોને દરિયો નહીં ખેડવાની સૂચના આપવામાં આવી છે. સાથે જ જે માછીમારો દરિયામાં માછીમારી માટે ગયા છે તે તમામ માછીમારોને કિનારે પરત ફરવા તાકીદ કરવામાં આવી હતી. જેના કારણે દમણના મોટાભાગના માછીમારો કિનારે પરત આવી ગયા છે. જેથી દમણના દરિયા કિનારે મોટી સંખ્યામાં બોટનો ખડકલો લાગ્યો છે. સાથે સાથે પર્યટકોને પણ દરિયાકિનારે નહીં જવા માટે સૂચના આપવામાં આવી છે. આમ, મહા વાવાઝોડાની આગાહીને પગલે સંઘપ્રદેશ દમણમાં પણ તંત્ર અલર્ટ મોડ પર છે.
ભરૂચનો વમલેશ્વર હોડી ઘાટ બંધ કરાયો
મહા વાવાઝોડાની લઈને હાંસોટના વમલેશ્વર હોડી ઘાટ બંધ કરાયો છે. હોડી ઘાટ બંધ થતાં 250થી વધુ પરિક્રમા વાસીઓ પરત ફર્યા હતા. દરિયાઇ મુસાફરી માટે તંત્રએ મનાઈ ફરમાવી છે. વમલેશ્વરથી મીઠી તલાવડી સુધી હોડી મારફતે પરિક્રમા વાસીઓ જાય છે. ત્યારે હવે અરબી સમુદ્રમાં વાતાવરણ શાંત પડ્યા બાદ પરિક્રમા શરૂ થશે.
પોરબંદરમા ચોપાટી પર જવા પ્રતિબંધ
આગામી 6થી 8 નવેમ્બર સુધી પોરબંધરમાં ચોપાટી પર જવા પ્રતિબંધ છે. જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પડાયું છે. મહા વાવાઝોડાને લઈને જાહેરનામુ બહાર પાડ્યુ છે.
રાજકોટ જિલ્લામાં તમામ અધિકારીઓ અને કર્મચારીઓની રજા રદ્દ
મહા વાવાઝોડાનું સંકટ ઉત્તર અને દક્ષિણ ગુજરાતથી આગળ વધીને સૌરાષ્ટ્ર તરફ વધી રહ્યું છે. જેને લઈને રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર અલર્ટ થયું છે. તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. તમામ અધિકારીઓ તેમજ કર્મચારીઓની રજા રદ્દ કરાઈ છે અને સ્ટેન્ડ ટુ રહેવા માટે સૂચના આપવામાં આવી છે. જિલ્લાની સાથે સાથે તમામ તાલુકા લેવલે પણ 24 કલાક કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે. વાવાઝોડાની અસર જિલ્લાના મુખ્ય 5 તાલુકામાં થવાની શક્યતા સેવાઈ રહી છે. જેમાં ગોંડલ, જેતપુર, ઉપલેટા, ધોરાજી અને જામકંડોરણાનો સમાવેશ થાય છે. આથી સ્થાનિક લોકોને પણ સાવચેત કરાયા છે.
અમરેલી અને પોરબંદરમાં પણ તંત્ર અલર્ટ થઈ ગયું છે. તંત્ર દ્વારા દરિયા કિનારા પર સુરક્ષા તો વધારી દેવામાં આવી જ છે. સાથે-સાથે દરિયા કિનારાની આસપાસ કાચા મકાનોમાં રહેતા લોકોનું સ્થળાંતર પણ શરૂ કરૂ દેવામાં આવ્યું છે. તંત્ર દ્વારા લોકોના સ્થળાંતરની કામગીરી હાથ ધરવામાં આવી છે. તો આવતીકાલથી નિચાણવાળા તમામ વિસ્તારોને પણ ખાલી કરાવવામાં આવશે. જેથી કરીને વાવાઝોડું ત્રાટકે તો મોટી નુકસાની વેઠવી ન પડે. કોઈપણ પ્રકારનું જાન-માલનું નુકસાન ન થાય.