આકાશમાંથી આવેલ આફતના કારણે કેટલાક પરિવારમાં માતમ છવાઈ ગયો વીજળી પડવાના કારણે જસદણમાં બે જ્યારે ગોંડલ, પંચમહાલ અને દાહોદમાં એક એક વ્યક્તિના મોત
મેઘતાંડવે પાંચ લોકોનો ભોગ લીધો
જસદણમાં બે સગીર વયના બાળકોના મોત
ગોંડલમાં જળબંબાકાર, આખું સૌરાષ્ટ્ર સરાબોર
ગુજરાત આખો ઓગસ્ટ મહિનો કોરેકોરો રહ્યા બાદ સપ્ટેમ્બર મહિનામાં મેઘરાજા મહેરબાન થયા છે. આગાહી અનુસાર અમદાવાદ, વડોદરા, રાજકતો સહિત રાજ્યના કેટલાય વિસ્તારોમાં ગઇકાલે ધોધમાર વરસાદ પડ્યો હતો. રાજ્યમાં દુકાળના ડાકલા વચ્ચે વરસાદના આગામનથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો, પરંતુ આકાશમાંથી આવેલ આફતના કારણે કેટલાક પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.
મેઘતાંડવે પાંચ લોકોનો ભોગ લીધો
ગુજરાતમાં ગઇકાલે આખો દિવસ રાજકોટમાં વરસાદ પડ્યો હતો, ગોંડલમાં સૌથી વધારે મેઘતાંડવ જોવા મળ્યો હતો જેમા ચાર ઈંચ વરસાદ બાદ ઠેર ઠેર જળબંબાકારની પરિસ્થિતિ જોવા મળી હતી. વીજળી પડવાના કારણે જસદણમાં બે જ્યારે ગોંડલ, પંચમહાલ અને દાહોદમાં એક એક વ્યક્તિના મોતના સમાચાર સામે આવી રહ્યા છે.
જસદણમાં બે સગીર વયના બાળકોના મોત
ગઇકાલે સૌથી વધારે મેઘતાંડવ સૌરાષ્ટ્રમાં થયો હતો ત્યારે જસદણમાં બે સગીર વયના બાળકોના મોતથી ચકચાર મચી ગઈ હતી. જસદણ નવાગામ વાડી વિસ્તારમાં વીજળી પાડવાના કારણે બે બાળકોના મોત થયા હતા જેમાંથી એકની ઉંમર 15 વર્ષ જ્યારે બીજાની ઉંમર 12 વર્ષ હોવાનું સામે આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર નવાગામમાં ખેતરે કામ કરી રહેલા ત્રણ યુવકો પર વીજળી ત્રાટકી હતી જે બાદ ઘટનાસ્થળે 108 દોડી આવી હતી. એક યુવકની હાલત ગંભીર છે જ્યારે બેના મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા.