નિસર્ગ વાવાઝોડાનું સંકટ ગુજરાત પરથી ટળ્યું છે પરંતુ તેની અસર સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જોવા મળી રહી છે. ભાવનગર અને અમરેલી જિલ્લાના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. ત્યારે ભાવનગરના પાલિતાણામાં નાળિયેરના વૃક્ષ પર વીજળી પડી હોવાની ઘટના કેમેરામાં કેદ થઇ છે.
પાલીતાણામાં નાળિયેરી પર વીજળી પડવાની ઘટના કેમેરામાં કેદ
સાવરકુંડલાના નાળ ગામે વીજળી પડતા 16 પશુના મોત
અમરેલી-ભાવનગર જિલ્લાના વિસ્તારોમાં વરસાદી માહોલ
ભાવનગરના પાલિતાણામાં હાઉસીંગ બોર્ડ વિસ્તારમાં આવેલા ઓમ એવન્યુ પાસે એક નાળિયેરના વૃક્ષ પર વીજળી પડી હતી. વીજળી પડવાની ઘટના કેમેરમાં કેદ થઇ છે. જોકે કોઇને જાનહાની થવા પામી નથી.
બીજી તરફ અમરેલી જિલ્લામાં પણ વીજળી પડવાની ઘટના સામે આવી છે. જેમાં સાવરકુંડલાના નાળ ગામે વીજળી પડતા 16 પશુના મોત થયા છે. ડુંગર પર માલધારી બકરીઓ ચરાવી પરત ફરી રહ્યો હતો. આ દરમિયાન વીજળી પડવાની ઘટના બની હતી. આ ડુંગરાળ વિસ્તારમાં વરસાદથી નાળ ગામની નદીમાં પુર પણ આવ્યું છે.