કોરોના વાયરસ મહામારીમાં આખી દુનિયામાં વેન્ટીલેટરની ભારે અછત સર્જાઈ છે. ફેફસા ઉપર હુમલો કરતો આ વાયરસ માણસના શ્વસનતંત્રને પંગુ બનાવી દે છે. પરિણામે લોકોને વેન્ટીલેટર ઉપર ખસેડીને કૃત્રિમ શ્વાસોશ્વાસ આપવા પડે છે. જો કે ચોંકાવનારી વાત એ છે કે વેન્ટીલેટર ઉપર રાખેલા મોટી સંખ્યામાં આશરે 66%થી વધુ દર્દીઓ આખરે તો મોતને જ ભેટે છે અને જીવી ગયેલા દર્દીઓ વેન્ટીલેટર ઉપરથી બહાર આવ્યા પછી તેઓ ચાલવા કે ખોરાક ગળવા જેવી બેસિક ક્રિયાઓ પણ કરી શકતા નથી.
ઘણા ડોકટરોના મતે આપણા ફેફસાં વેન્ટીલેટર જેવા કૃત્રિમ ફુગ્ગાથી હવા ભરાવવા માટે સક્ષમ નથી
ઘણા દર્દીઓ વેન્ટીલેટરથી બહાર આવીને જીવનભર પથારીવશ થઇ જાય છે
કોવિડ 19 મહામારીએ દુનિયાભરમાં હાહાકાર મચાવ્યો છે. ગંભીર બાબત એ છે કે આ રોગની કોઈ દવા કે રસી હજુ શોધી શકાયા નથી તેથી દર્દીઓને જે લક્ષણ આવે તે પ્રમાણેનો ઈલાજ કરવામાં આવે છે કે પૈકી સૌથી વધુ દેખાતો લક્ષણ શ્વાસ લેવામાં મુશ્કેલી છે. વેન્ટીલેટર એક મિકેનિકલ સાધન છે જે ફેફસાંને ફૂલાવવામાં મદદ કરે છે.
કેવી રીતે કોરોના વાયરસ ફેફસાં ઉપર હુમલો કરે છે?
કોરોના શરીરમાં દાખલ થતા જ રોગ પ્રતિકારક શક્તિ તેની સામે ઝીંક ઝીલે છે. મોટા ભાગના કિસ્સામાં તે વાયરસને સફળતાપૂર્વક રોકી લે છે. જયારે વાયરસનું જોર વધારે હોય ત્યારે રોગ પ્રતિકારક શક્તિએ વધુ આક્રમક થવું પડે છે. ફેફસાંની અંદર ફેલાયેલા વાયરસને મારવા માટે રોગ પ્રતિકારક શક્તિ વડે કરવામાં આવતી પ્રક્રિયાઓ ફેફસાંના નાજુક બંધારણ માટે જોખમી છે. પરિણામે વાયરસ અને પ્રતિકારક શક્તિના આ યુદ્ધમાં ઝીણા તંતુઓના કદની અને ઓક્સિજનનું વહન કરતી લાખો શ્વાસ વાહિનીઓમાં સોજો આવે છે પરિણામે શરીરમાં પુરતો ઓક્સિજન ન પહોંચી શકતા શ્વાસ લેવામાં તકલીફ પડે છે.
વેન્ટીલેટર કેવી રીતે કામ કરે છે?
દર્દીના ફેફસાં જે આ સ્થિતિમાં વધુ હવા નથી ભરી શકતા તેમને વેન્ટીલેટર સાધનના કૃત્રિમ ફુગ્ગા વડે બળપૂર્વક ફૂલાવવામાં આવે છે જેથી શરીરની આવશ્યક ક્રિયાઓ ચાલુ રહે. આ માટે એક પાઈપને મોઢા વાટે ગળા સુધી ઉતારવામાં આવે છે. ઘણા દર્દીઓ આ તબક્કો આવે ત્યાં સુધી કોમામાં ચાલ્યા જાય છે.
ઘણા ડોકટરોના મતે આપણા ફેફસાં આ પ્રકારના કૃત્રિમ ફુગ્ગાથી હવા ભરાવવા માટે સક્ષમ નથી. આમ થતા ફેફસાં તેમની કુદરતી સ્થિતિ સ્થાપકતા ગુમાવી દે છે અને પરિણામે જેવું વેન્ટીલેટર હટાવે તેમ તરત દર્દીનું મોત થાય છે. જે દર્દી બચી જાય છે તેઓ ઘણી વાર એટલા નબળા થઇ જાય છે કે તેઓ બોલવું, ચાલવું, ખોરાક ગળવો, સ્નાન કરવું, રસોઈ કરવી જેવી બેસિક ક્રિયાઓ કરી શકતા નથી અને જીવનભર પથારીવશ થઇ જાય છે.
વેન્ટીલેટર તો ઉત્પાદિત થઇ જશે પણ આ સમસ્યાઓ કેવી રીતે ઉકેલાશે?
સમગ્ર વિશ્વમાં એક સમયે કોરોના સંકટ વચ્ચે વેન્ટીલેટરની ભારે અછત થઇ હતી જો કે અહેવાલો પ્રમાણે વિશ્વભરની ઓટોસેક્ટર સહિતની કંપનીઓએ મોટા પાયે આ ડિવાઈસ બનાવવાના શરુ કરી દીધા છે. હવે ડોકટરોને ફક્ત એ જ ભય છે કે વેન્ટીલેટરની સંખ્યાને તો પહોંચી વળાશે પરંતુ વેન્ટીલેટર પછીના મૃત્યુદર અને વેન્ટીલેટર પછી દર્દીના સ્નાયુઓમાં આવી જતી હંમેશા માટેની નબળાઈને કેવી રીતે સંભાળવી એ એક અગત્યનો વણઉકેલાયેલો પ્રશ્ન બની રહેશે.