3252 ગ્રામ પંચાયતમાં 10 ટકા અનામતનો લાભ નહીં મળેઃ પૂંજા વંશ
ગ્રામ પંચાયતની ચૂંટણીમાં OBC અનામતને લઇને ઉનાના ધારાસભ્ય પૂંજા વંશ (Punja vansh) એ CMને પત્ર લખ્યો છે. પૂંજા વંશે પત્રમાં જણાવ્યું કે, 'ચૂંટણીપંચે કલેક્ટરને પાઠવેલા પત્ર મુજબ 10 ટકા OBC અનામત નહીં રહે. 2021માં મહારાષ્ટ્ર-મધ્યપ્રદેશે OBC અનામતના અમલ માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યોને સમિતિ રચી વસ્તીના આધારે માપદંડ નક્કી કરવાનો આદેશ આપ્યો હતો. પરંતુ 6 મહિના બાદ પણ રાજ્ય સરકારે કોઈ કાર્યવાહી ન કરી.'
3252 ગ્રામ પંચાયતમાં 10 ટકા અનામતનો લાભ નહીં મળે
વધુમાં જણાવ્યું કે, '3252 ગ્રામ પંચાયતમાં 10 ટકા અનામતનો લાભ નહીં મળે. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાંથી OBC સમાજનું પ્રતિનિધિત્વ દૂર થશે.' જણાવી દઇએ કે, OBC રીઝર્વેશનનું પ્રમાણ, બેઠકનો પ્રકાર અને રોટેશન સંદર્ભે તાત્કાલિક કમિશન રચવા માંગ કરાઇ છે. OBC સમાજને અનામતનો લાભ મળે તે માટે યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરાઇ છે.
ચૂંટણી આયોગ પોતાની રીતે નિર્ણય લઈ શકે છે: રાજેન્દ્ર ત્રિવેદી
જો કે, ગ્રામ પંચાયતમાં OBC અનામત હટાવવા મામલે મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ નિવેદન આપતા જણાવ્યું કે, 'ચૂંટણી આયોગ પોતાની રીતે નિર્ણય લઈ શકે છે. નામદાર સુપ્રીમકોર્ટના આદેશનું પાલન કર્યું છે.' રાજ્ય ચૂંટણી પંચે 10 ટકા OBC અનામતને સામાન્ય બેઠક તરીકે વર્ગીકૃત કરી નાખી છે. રાજ્ય ચૂંટણી પંચે બેઠકોને સામાન્ય બેઠક તરીકે વર્ગીકૃત કરીને
ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ કરવાનો આદેશ કર્યો છે.
2021માં મહારાષ્ટ્ર-મધ્યપ્રદેશે OBC અનામતના અમલ માટે SCમાં અરજી કરી હતી
વર્ષ 2021ના અંતમાં મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં OBC અનામતના અમલીકરણ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ થઇ હતી. આથી, સુપ્રીમ કોર્ટે 19 જાન્યુઆરી 2022 ના રોજ દેશના તમામ રાજ્યોને આ નિર્ણય કરવાની ફરજ પાડવામાં આવી હતી. પરંતુ રાજ્ય સરકાર દ્વારા સુપ્રીમના ચુકાદાના છ મહિના બાદ પણ કોઈ નિર્ણય લેવામાં ન આવ્યો. આથી હવે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સુપ્રીમ કોર્ટના નિર્ણય પ્રમાણે ગુજરાતમાં હવેથી ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં પંચાયત અધિનિયમ 1993થી (Panchayat Act 1993) અમલમાં રહેલા અન્ય પછાત વર્ગો OBC માટે 10 ટકા બેઠકો અનામત નહીં રહે.
3252 ગ્રામ પંચાયતોમાં OBC અનામત વગર જ ચૂંટણી યોજાશે!
રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણીની વાત કરવામાં આવે તો જુલાઈ 2022 સુધી જ્યાં મુદ્દત પૂર્ણ થઈ રહી છે અથવા તો પ્રસંગોપાત બેઠકો ખાલી પડી છે તેવી 3252 ગ્રામ પંચાયતોમાં OBC અનામત વગર જ ચૂંટણી યોજાશે. એટલે કે 3252 ગ્રામ પંચાયતમાં 10 ટકા અનામતનો લાભ નહીં મળે. આ નિર્ણય અલ્પકાલીન છે કે લાંબા સમયનો છે તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા નથી થઈ. જો કે આ નિર્ણયથી અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અનામત બેઠકોને કોઈ અસર થશે નહીં. ઉલ્લેખનીય છે કે, પંચે અગાઉ ચૂંટણીઓ (Election of Gram Panchayats in Gujarat ) માટે આગામી સાત જુલાઈ સુધીમાં મતદારયાદીને આખરી કરવા માટે પણ કલેક્ટરોને આદેશ આપ્યાં છે.